આનંદો! ઝીંગાની ખેતી અને ઝીંગામાં રોગ સામે રક્ષણ આપવા વીમા પોલીસી જાહેર

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુજરાતને સૌથી મોટો એટલે કે 1600 કિમીનો દરિયા કાંઠો છે.

આનંદો! ઝીંગાની ખેતી અને ઝીંગામાં રોગ સામે રક્ષણ આપવા વીમા પોલીસી જાહેર

ધવલ પરીખ/નવસારી: ભારતમાં મત્સ્યોદ્યોગના વિકાસની નવી દિશા કંડારી રહેલી મોદી સરકારે દક્ષિણ ગુજરાતમાં ઝડપીથી વિકસી રહેલી ઝીંગાની ખેતીને પ્રોત્સાહન આપવા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત ઝીંગા ખેડૂતોના સંમેલનમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ઝીંગા ઉછેરમાં આવતી સમસ્યાઓના નિરાકરણ લાવવાના પ્રયાસો સાથે ઝીંગાને વીમા સુરક્ષા આપવા નવી વીમા પોલીસી જાહેર કરવામાં આવી હતી. 

નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીક્ષા ખંડમાં ICAR ના માર્ગદર્શનમાં CIBA અને NFDB વચ્ચે થયેલા કરાર અંતર્ગત આજે ઝીંગા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુજરાતને સૌથી મોટો એટલે કે 1600 કિમીનો દરિયા કાંઠો છે. પણ અહીં પરંપરાગત રીતે જ મચ્છીમારી થતી હતી.

હવે જ્યારે ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઝીંગા ઉછેરમાં વધારો થયો છે. ત્યારે સરકાર માછીમારોને ખાસ કરીને ઝીંગાની ખેતી કરતા ખેડૂતોને આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રયાસરત છે. સરકાર દ્વારા મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. જેથી ઝીંગામાં આવતા રોગનો ફોટો પાડીને એમાં અપલોડ કરતા જ રોગ વિશેની સંપૂર્ણ માહિતી અને તેને અટકાવવા માટે ક્યા પગલા લેવા એનું માર્ગદર્શન મળી રહેશે. સાથે જ ઝીંગા ઉછેર સાથે જ એને સંલગ્ન ઘણા ઉદ્યોગ છે. 

જેના માટે પણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો, માછીમારો અને આંતરપ્રિન્યોર્સને દરિયાની ખેતીમાં સારી સમૃદ્ધિ હોવાની વાત સાથે સાહસ ખેડવા આહ્વાન કર્યુ હતુ. જ્યારે ઝીંગાની ખેતી માટે વીમા પોલિસી પણ જાહેર કરી હતી. જેમાં ઝીંગામાં થતા રોગોને પણ આવરી લેવામાં આવ્યા હોવાની વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાતમાં 1 લાખ હેકટર જગ્યામાં ઝીંગાની ખેતી માટેનો સ્કોપ છે. પરંતુ હજી પણ ઝીંગા ખેડૂતોની અછત છે. બીજી તરફ ઝીંગાના તળાવો માટે પ્લોટ ફાળવણી સાથે એના ઉછેર મુદ્દે પણ અનેક પ્રશ્નો છે. દરિયો ખેડતા માછીમારોની પણ બંદર સાથે તેના વિકાસ, ડીઝલ સબસીડી, માછલીઓના પોષણક્ષમ ભાવ મળવા જેવા અનેક પ્રશ્નો છે. જેનું નિરાકરણ લાવવા માટે પણ માછીમારો પ્રયાસરત છે. ત્યારે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી અભિભૂત થયેલા માછી આગેવાનોએ માછલીઓમાં થતા રોગના નિવારણ માટે જાહેર કરેલ મોબાઈલ એપ્લિકેશનને આવકારી હતી. 

તેમજ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સાંસદ સી. આર. પાટીલના આશ્વાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગુજરાતનો મત્સ્યોદ્યોગ વિભાગ ઝીંગાના તળાવોને કારણે દરિયાના પાણીના ભરાવા મુદ્દે પણ સંશોધન કરી ઝીંગાના ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે સુમેળ જળવાયેલો રહે એવા પ્રયાસો કરી રહ્યું છે.

ઝીંગા ઉછેરમાં આંધ્રપ્રદેશ બાદ ગુજરાત બીજા નંબરે છે અને દુનિયામાં ભારત બીજા ક્રમે છે. ત્યારે ઝીંગાની ખેતીને પ્રાધાન્ય આપવા સાથે જ સીફૂડનો ઉપયોગ વધે તેમજ વિશ્વમાં ભારત પ્રથમ નંબરે આવે એવા પ્રયાસો ભારત મંત્રાલય કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news