એક મતદાર પણ બાકી ન રહે... કોઈ ટાપુ પર તો કોઈ દુર્ગમ જંગલમાં, આ છે ગુજરાતના વિશેષ મતદાન મથકો

Gujarat Elections 2022 : આ છે ગુજરાતના 12 વિશેષ મતદાન મથકો, એક મતદાર માટે પણ શું કરવુ પડે છે તે જાણશો તો કહેશો કે વાહ... આ મતદાન મથકો ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે

એક મતદાર પણ બાકી ન રહે... કોઈ ટાપુ પર તો કોઈ દુર્ગમ જંગલમાં, આ છે ગુજરાતના વિશેષ મતદાન મથકો

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં ગુજરાતના મતદારોની યાદીથી લઈને મતદાન મથકો તથા તેની વ્યવસ્થા અંગેની માહિતી આપી. ત્યારે તેમણે ગુજરાતના વિશેષ મતદાન મથકોની પણ યાદી જાહેર કરી છે, જે ખાસ છે. જેમાંથી કેટલાક મતદાન બૂથ એવા છે જેમાંથી કોઈ જંગલમાં ઉભા કરાયા છે, તો કોઈ ટાપુ પર.... 

માત્ર એક મતદાર માટે મતદાન મથક
જિલ્લોઃ ગીર સોમનાથ, (મતદાન મથક : ૩-બાણેજ), ૯૩-ઉના
ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે 2007 થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.

42 મતદારો માટે ખાસ બુથ
જિલ્લોઃ ગીર સોમનાથ, (મતદાન મથક : રાસપ નેસ લીલિયા), ૯૩-ઉના
રાસપ નેસ લીલિયા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં ૨૦૦૭ થી ૨૩ પુરૂષો અને ૧૯ મહિલા મતદારો મળી માત્ર ૪૨ મતદારો માટે એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

સિદીઓ માટે પહેલીવાર બૂથ
જિલ્લોઃ ગીર સોમનાથ, (મતદાન મથક : ૯૨, ૯૩, ૯૪ માધુપુર – જાંબુર), ૯૧-તલાળા
૧૪મી અને ૧૭મી સદી દરમિયાન ભારતમાં ગુલામ તરીકે આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. 

દરિયાથી છુટા પડેલા ટાપુ પર મતદાન બૂથ
જિલ્લોઃ અમરેલી, (મતદાન મથક : શિયાળબેટ ટાપુ (૫ બુથ)), ૯૮-રાજુલા

શિયાળબેટએ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે, જે અમરેલી જીલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭૫.૩૨ હેક્ટર છે, જેમાં ૮૩૨ જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ ૫૦ કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં ૪,૭૫૭ મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને ૦૫ મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે. તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી "કોઈ મતદાર બાકી રહે નહી" તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે.

પહેલીવાર શિપિંગ કન્ટેનમાં મતદાન બૂથ
જિલ્લોઃ ભરૂચ, (મતદાન મથક : આલીયાબેટ), ૧૫૧-વાગરા

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં ૧૧૬ પુરૂષ અને ૧૦૧ સ્ત્રી મળી કુલ ૨૧૭ મતદારો છે. આલિયાબેટ અગાઉ ૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ૬૮-કલાદ્રા-૦૨નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવ્યા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે ૮૨ કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી છે અને આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ મતદાન કરી શકશે. ગુજરાત કેવી રીતે સુલભ ચૂંટણીના સૂત્રને સુનિશ્ચિત કરી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે.

અનોખા બેટ પર મતદાન બુથ
જિલ્લોઃ મહીસાગર, (મતદાન મથક : રાઠડા બેટ), ૧૨૩-સંતરામપુર

રાઠડા બેટ એ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર ૩૭૬ પુરૂષ અને ૩૩૬ સ્ત્રી મળી લગભગ ૭૧૨ મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. આ બેટ શૅડો એરિયામાં પણ આવે છે અને તેથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ પણ આપવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ AMFની ખાતરી કરવામાં આવે છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.

દુર્ગમ પહાડી અને જંગલ વચ્ચે ઉભુ કરાશે મતદાન બુથ
જિલ્લોઃ નર્મદા, (મતદાન મથક : ૪/૩૧૮ - ચોપડી -૨), ૧૪૯- ડેડિયાપાડા

નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડી (પી.એસ નં. ૦૩) થી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-૦૨ (પી.એસ નં. ૦૪) બનાવવામાં આવ્યું છે, જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર ૧૨૧ મતદારો (૬૮ પુરૂષો અને ૬૩ મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર ૩૭ કિલોમીટર છે. સુલભ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોનું આ ઉદાહરણ છે.

જંગલ વચ્ચે બુથ
જિલ્લોઃ પોરબંદર, (મતદાન મથક : ૬૪– સતવિરડા નેસ, ૬૫ – ભુખાબારા નેસ, ૬૬ – ખારાવિરા નેસ), ૮૪- કુતિયાણા

પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને ગાઢ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે કે ૬૪-સતવિરડાનેસ (૮૭૬ મતદારો), ૬૫-ભુખાબારાનેસ (૫૭૭ મતદારો) અને ૬૬-ખારાવીરાનેસ (૭૪૦ મતદારો); આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો વિસ્તાર હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

દરિયાથી 10 કિમી દૂર મતદાન બુથ
જિલ્લોઃ દેવભૂમિ દ્વારકા, (મતદાન મથક: ૭૨ – અજાડ ટાપુ), ૮૧-ખંભાળીયા

૭૨ – અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧ – ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુના દરિયા કિનારાથી લગભગ ૧૦ કિ.મી. દૂર આવેલું છે. મતદાનના દિવસ પહેલા જ ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.

દુર્ગમ જંગલ વચ્ચે બુથ
જિલ્લોઃ દેવભૂમિ દ્વારકા, (મતદાન મથક : ૩૦૭ – કિલેશ્વર નેસ), ૮૧-ખંભાળીયા

૩૦૭–કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧–ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે નેસ વિસ્તારમાં બરડા માઉન્ટેનના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.

આ બુથ પર બોટથી જવાય છે 
જિલ્લોઃ દેવભૂમિ દ્વારકા, (મતદાન મથક : ૧૫ થી ૧૯ - બેટ દ્વારકા – ૧થી૫), ૮૨-દ્વારકા

૧૫ થી ૧૯ – બેટ ૧, ૨, ૩, ૪ અને ૫ મતદાન મથકો દેવભૂમિ દ્વારકાના ૮૨–દ્વારકા મતવિસ્તારમાં આવેલા છે. આ કચ્છના અખાતના મુખ પર એક વસવાટવાળો ટાપુ છે, જે ઓખાના દરિયાકિનારે ૦૩ કિ.મી. દૂર આવેલો છે. તેમાં ૦૫ (પાંચ) મતદાન મથકો સાથે ૫,૬૦૫ મતદારો છે. મતદાન મથકો સુધી જવાનો એકમાત્ર રસ્તો બોટ છે.

નેસ વિસ્તારમાં મતદાન બુથ
જિલ્લોઃ જુનાગઢ, (મતદાન મથક : ૨૯૫ – કનકાઇ), ૮૭-વિસાવદર

ઊંડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સ્થિત છે. સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news