કચ્છના ધોરડોમાં ગાલા ડિનરમાં ગુજરાતી થાળી પીરસાઈ, આ કાર્યક્રમો જોઈ વિદેશી મહેમાનો અભિભૂત

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડ્ડી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

કચ્છના ધોરડોમાં ગાલા ડિનરમાં ગુજરાતી થાળી પીરસાઈ, આ કાર્યક્રમો જોઈ વિદેશી મહેમાનો અભિભૂત

ઝી બ્યુરો/કચ્છ: કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા. 

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિ
કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડ્ડી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર,પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા.

"વસુધૈવ કુટુમ્બકમ" નૃત્ય છવાયું
જયતુ જયતુ ગુજરાત ગીત અને નૃત્યથી આ રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મહિલાઓએ કચ્છી ગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિ અને કલાને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા મહેમાનો સમક્ષ ઉજાગર કરી હતી. બાદમાં મહિલાઓના વૃંદે રજૂ કરેલી નર્મદા અષ્ટકમની પ્રભાવશાળી પ્રસ્તુતિએ ઉપસ્થિત સર્વના મન મોહી લીધા હતા. સીદીઓના ધમાલ નૃત્ય બાદ જી-૨૦ના લોગો "વસુધૈવ કુટુમ્બકમ"ની થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યું, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.

કલકત્તા તેમજ વિદેશના બે શેફનું સ્ટેજ પર બહુમાન
આ નૃત્યને અતુલ્ય પ્રતિભાવ મળ્યો હતો. વિદેશ મંત્રાલયના ડી. ડી.જી., આઈ.સી.સી.આર. અભયકુમાર તેમજ અન્ય મહાનુભાવોએ આ ગ્રુપના કલાકારોને સ્ટેજ પર જઈને બિરદાવ્યા હતા. આ અવસરે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગાલા ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ વિદેશી મહેમાનોને પીરસવામાં આવી હતી. આ વાનગીઓ બનાવનારા કલકત્તા તેમજ વિદેશના બે શેફનું સ્ટેજ પર બહુમાન કરાયું હતું.

વિવિધ અધિકારીઓ ઉપસ્થિત
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, કેન્દ્રીય નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લ, ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેકટર આલોક પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news