રહેણાંકમાં સોલાર રૂફટોપ લગાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ! લાઈટ બીલ બચાવવા તમે પણ કરો ટ્રાય

Solar Roof Top: રાજ્યમાં મે-૨૦૨૩ અંતિતની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ ૧૬૧૯.૬૬ મેગાવૉટની ક્ષમતા ધરાવતી ૪,૧૧,૬૩૭ સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. ૨૬૦૭.૮૪ કરોડ સબસિડી ચુકવવામાં આવી છે. 

રહેણાંકમાં સોલાર રૂફટોપ લગાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ! લાઈટ બીલ બચાવવા તમે પણ કરો ટ્રાય

Solar Roof Top:/ગાંધીનગરઃ “સૂર્ય ગુજરાત” રેસિડેન્સિયલ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપ લગાવવામાં ૮૧ ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. રાજ્યમાં અત્યાર સુધીમાં રહેણાંક વિસ્તારમાં ૪ લાખથી વધુ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

  • રહેણાંકમાં સોલાર સિસ્ટમની સ્થાપનાથી ૧૬૧૯ મેગાવૉટથી વધુ ઊર્જા પેદા કરાઈ
  • રાજ્યમાં રહેણાંક હેતુના ગ્રાહકોને અત્યાર સુધીમાં રૂ. ૨૬૦૦ કરોડથી વધુ સબસિડી ચુકવાઈ
  • વીજ ગ્રાહકો દ્વારા ઉત્પાદિત વધારાની વીજળી વીજવિતરણ કંપની રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટના દરે ખરીદે છે 
  • માત્ર સ્વદેશી બનાવટના સોલાર સેલ અને સોલાર મોડ્યુલને જ મંજૂરી થકી ઘરેલૂ ઊત્પાદનને વેગ મળ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ, ૨૦૨૩ અંતિતની સ્થિતિએ સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ફેઝ-૨ અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ ૧૮૬૧.૯૯ મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી છે. તે પૈકી ૧૫૦૭.૭૧ મેગાવૉટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના ૮૧ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે.

રાજ્યમાં મે-૨૦૨૩ અંતિતની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ ૧૬૧૯.૬૬ મેગાવૉટની ક્ષમતા ધરાવતી ૪,૧૧,૬૩૭ સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. ૨૬૦૭.૮૪ કરોડ સબસિડી ચુકવવામાં આવી છે. 

રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઊર્જા ઊત્પન્ન કરી સ્વ-વપરાશ ઉપરાંતની વધારાની સૌર ઊર્જા ગ્રીડમાં વેચી આવક મેળવી રહ્યાં છે. વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂ. ૨.૨૫ના દરે ખરીદવામાં આવે છે.

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપની અરજી કરવા, ઇન્સ્ટોલેશન કરવા અને કાર્યરત વિવિધ કામીગીરીની દેખરેખ માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઝડપી અમલીકરણ માટે ઓનલાઈન અરજીની નોંધણી માટે દસ્તાવેજી પુરાવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપના વિશાળ કામના ઝડપી અમલીકરણ માટે ૭૨૮ એજન્સીઓને નિયત કરાઈ છે. આ એજન્સી દ્વારા રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન બાદ પાંચ વર્ષ માટે ફ્રી મેઇન્ટેનન્સ પૂરું પાડવામાં આવે છે. રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમની કામગીરીની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વીજ વિતરણ કંપનીના ઇજનેર દ્વારા સોલાર પીવી મોડ્યુલોનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે.આ યોજના માટે નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા દૈનિક પ્રગતિનું મોનીટરીંગ કરવામાં આવે છે. 

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમમાં ઊપયોગમાં લેવામાં આવતા સોલાર સેલ અને સોલાર મોડ્યુલ્સ ભારતમાં બનાવવામાં આવે છે. એટલે કે સોલાર સેલ અને સોલાર મોડ્યુલ બિનભારતીય બનાવટના મંજૂર કરાતા નથી.આનાથી ભારતમાં સોલાર સેલ અને મોડ્યુલ્સના ઘરેલૂ ઊત્પાદનને વેગ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.૦૫-૦૮-૨૦૧૯ના રોજ ‘સૂર્ય-ગુજરાત યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર ૧ કિલોવૉટ  કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી શકે છે. તેના માટે તેના કરારીય વિજભાર(સેંક્શન લૉડ)ની મર્યાદા લાગુ પડશે નહીં. જોકે સબસિડી વધુમાં વધુ ૧૦ કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.

આ યોજના અંતર્ગત રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલાર સિસ્ટમના મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે, સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રાજ્ય સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું છે. જેમાં ૩ કિલોવૉટ  સુધી નિયત કરેલ કિંમતના ૪૦ ટકા સબસિડી તથા ૩ કિલોવૉટથી વધુ અને ૧૦ કિલોવૉટ  સુધી ૨૦ ટકા સબસિડી આપવામાં આવે છે. અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા ૧૦ કિલોવૉટ કરતા ઓછી હોય તો, અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતામાં વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા ૩ કિલોવૉટ સુધી હોય તો માત્ર વધારેલી સોલાર ક્ષમતા પર ૪૦ ટકા સબસિડી મળવાપાત્ર છે અને જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા ૩ કિલોવૉટથી વધુ અને ૧૦ કિલોવૉટ કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર ૨૦ ટકા સબસિડી મળવા પાત્ર છે. 

ગ્રુપ હાઉસિંગ સોસાયટી (GHS) કે રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન(RWA)ની સોસાયટીની લાઇટ, સોસાયટીનુ વોટરવર્કસ, લિફ્ટ, જીમ, સ્વીમિંગ પુલ, બગીચો વગેરે જેવી સહિયારી (કોમન) સુવિધાઓના વીજ જોડણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા ૨૦ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટની ક્ષમતા ઘર દીઠ ૧૦ કિલોવૉટની મર્યાદામાં વધુમાં વધુ કુલ ૫૦૦ કિલોવૉટ સુધી સબસિડીને પાત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news