ગુજરાતમાં 'ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ' નું સૂરસૂરિયું! ઝી 24 કલાકે કર્યો મોટો ઘટસ્ફોટ

ઝી 24 કલાક દ્વારા શહેરના જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર ચકાસણી કરવામાં આવી જે દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર હજુ પણ કેટલાક બાળકો કઈક વેચતા તો કેટલાક બાળકો ભિક્ષા માગતા પણ નજરે પડ્યા.

ગુજરાતમાં 'ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ' નું સૂરસૂરિયું! ઝી 24 કલાકે કર્યો મોટો ઘટસ્ફોટ

અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં આવેલા જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા અથવા કોઈ ચીજ વેચતા અનેક બાળકો નજરે પડતા હોય છે. આવા બાળકો ભિક્ષાને બદલે શિક્ષા મેળવે એવા સ્વચ્છ આશયથી AMC સંચાલિત સ્કૂલ બોર્ડ, ગુજરાત હાઇકોર્ટના લીગલ સેલ ઓથોરિટી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે માર્ચ 2022 માં 10 સિગ્નલ બસ શરૂ કરાઈ હતી. શહેરના ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા બાળકો માટે શરૂ કરાયેલું આ અભિયાન રંગ લાવી રહ્યું છે. પરંતુ હજુ પણ અનેક બાળકો અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા નજરે પડી રહ્યા છે. જે અંગે ઝી 24 કલાકે જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર હાલની સ્થિતિની કરી ચકાસણી.

ઝી 24 કલાક દ્વારા શહેરના જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર ચકાસણી કરવામાં આવી જે દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર હજુ પણ કેટલાક બાળકો કઈક વેચતા તો કેટલાક બાળકો ભિક્ષા માગતા પણ નજરે પડ્યા. AMC સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા કરાઈ રહેલા પ્રયાસોમાં સફળ તો જરૂર કહી શકાય પરંતુ હજુ પણ થોડી વધારે મહેનતની જરૂર કેટલાક ટ્રાફિક સિગ્નલ પર હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ 2022માં શહેરના ટ્રાફિક સિગ્નલથી 139 બાળકોને ચિન્હિત કરાયા બાદ નવા શૈક્ષણિક સત્રમાં વધુ 125 બાળકો ચિન્હિત કરવામાં આવ્યા હોવા છતાં હજુ પણ કેટલાક બાળકો સુધી પહોંચવામાં તંત્ર અસફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

માર્ચ 2022માં શરૂ થયેલી સિગ્નલ બસ યોજના જેમાં પ્રથમ વખતના જ 139 બાળકોને ટ્રાફિક સિગ્નલ પરથી ચિન્હિત કરી તેમને ભીક્ષાને બદલે શિક્ષાના માર્ગ પર લાવવામાં આવ્યા હતા. આ બાળકોને ત્રણ મહિના બાદ અભ્યાસ કરાવી, પ્રવેશોત્સવ યોજી નજીકની સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી સિગ્નલ બસ માટે શહેરના ટ્રાફિક સિગ્નલ પરથી વધુ 125 બાળકો ચિન્હિત કરાયા અને સિગ્નલ બસ મારફતે તેમને તેમાં બેસાડી નજીકની શાળામાં અભ્યાસ કરવાઇ રહ્યો છો. મધ્યાહન ભોજન તેમને આપવામાં આવે છે પરંતુ હજુ પણ કેટલાક બાળકો ટ્રાફિક સિગ્નલ પર જોવા મળતા હોવા અંગે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને જ્યારે અમે કર્યો ત્યારે તેમણે કહ્યું કે દસ સિગ્નલ બસથી શરૂ થયેલું અભિયાન હાલ બાર બસ સુધી પહોંચ્યું છે. 

અમદાવાદના પ્રગતિનગર અને સાબરમતી વિસ્તારમાં એક એક બસ ઉમેરવામાં એવી છે. એક બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એવા અભિગમથી કામ કરી રહ્યા છીએ. જે બાળકો અમને મળ્યા એમને અમે હાલ શિક્ષણ આપી રહ્યા છીએ. હજુ પણ જે બાળકો સિગ્નલ ઉપર ભિક્ષા માંગતા હશે તેમનો નવા શૈક્ષણિક વર્ષમાં સમાવેશ કરીશું. કોઈપણ બાળક સિગ્નલ ઉપર ભિક્ષા નાં માંગે અથવા બિનજરૂરી પ્રવૃત્તિ ન કરે તે માટે સ્કૂલ બોર્ડની આખી ટીમ પ્રયત્નશીલ રહેશે.

અમદાવાદમાં જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા 250 જેટલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં હાલ સફળતા તો મળી છે, પરંતુ હજુ પણ છૂટી ગયેલા અને ટ્રાફિક સિગ્નલ પર દેખાતા આ બાળકો સુધી તંત્ર પહોંચે તો આગામી સમયમાં શિક્ષણથી વંચિત રહેલા બાળકો પણ શિક્ષણ મેળવી સમાજ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જરૂર છે નવા સત્રનો ઇંતેજાર કરવાને બદલે બાળક સિગ્નલ પર ભિક્ષા માગતું નજરે પડે ત્યારે તરત જ તેને તે સમયે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news