ગુજરાતમાં કોરોના અંત તરફ, 9 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ

ગુજરાતમાં કોરોના અંત તરફ, 9 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ
  • રાજ્યભરમાં કોરોનાના કેસો કાબૂમાં આવી રહ્યા છે, રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે
  • ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 96 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જ્યારે કે 2,234 બેડ ખાલી છે
  • અત્યાર સુધીમાં ગુજરાતમાં 7,14,131 ફ્રન્ટલાઈન કોરોના વર્કર્સને રસી આપવામાં આવી

અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાને માત આપવા દેશભરમાં વિશ્વનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. ત્યારે બીજીતરફ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે. રાજ્યભરમાં કોરોનાથી થતા મૃત્યુદર પર કાબૂ મેળવવામાં લગભગ સફળતા મળી રહી છે. છેલ્લા અનેક દિવસોથી કોરોનાના કેસો પ્રતિદિન 250 ની આસપાસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિ હાર્યો નથી. એટલે કે કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યની હાલની સ્થિતિની વાત કરીએ તો ભાવનગર કોર્પોરેશન સહિત 9 જિલ્લાઓમાં એકપણ કોરોનાના નવા દર્દી નોંધાયા નથી. આ 9 જિલ્લાઓમાં અમદાવાદ, બનાસકાંઠા, બોટાદ, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.

રાજ્યભરમાં એકતરફ કોરોનાના કેસો (corona case) કાબૂમાં આવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યભરમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ 97.65% પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા કેસો (gujarat corona update) ની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 255 નવા કેસ નોંધાયા હતા, જેની સામે કાલે 495 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા હતા.

આ પણ વાંચો : સગા ભાઈએ સગપણને સાંકળે બાંધ્યું, ભૂકંપ બાદ પાગલ થયેલ યુવાનને 9 વર્ષ સુધી બાંધી રાખ્યો

અત્યાર સુધીમાં કોરોનાના કેસોની સંખ્યાની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,64,165 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 2,58,068 લોકોએ કોરોનાને (corona virus) માત આપી છે. તો 4,397 લોકો કોરોના સામે જિંદગીનો જંગ હાર્યા છે. રાજ્યભરમાં સતત રિકવરી રેટ વધી રહ્યો છે, ત્યારે હાલ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે. ગઈકાલના આંકડાઓ મુજબ, હાલ રાજ્યભરમાં માત્ર 1800 એક્ટિવ કેસો છે. જેમાંથી 1,774 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે માત્ર 26 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. બીજી તરફ દેશભરમાં અત્યાર સુધી કોરોનાના 10,858,753 કેસો નોંધાયા છે, જેમાંથી 10,55,979 લોકોએ કોરોનાને માત આપી. તો 1,55,285 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

આ પણ વાંચો : સુરતના બંગલાઓમાં બને છે પોર્ન ફિલ્મો, મુંબઈના બહુચર્ચિત પોર્ન રેકેટમાં તનવીરની ધરપકડ

કોરોના કેસો મામલે રાજ્યભરમાં અમદાવાદ સૌથી વધુ ચર્ચિત શહેર રહ્યું. અમદાવાદ (Ahmedabad) ની વાત કરીએ તો અત્યાર સુધી કોરોનાના 57,500 કેસો નોંધાયા છે, જેમાંથી 54,853 લોકો સ્વસ્થ થયા. કોરોનાથી અમદાવાદમાં 2,246 લોકોના દુખદ મોત નિપજ્યા છે. કોરોનાના હાલ માત્ર 401 એક્ટીવ કેસો છે. અમદાવાદમાં 67 ખાનગી કોવિડ હોસ્પિટલો (covid hospital) હજુ પણ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ છે. આ 67 ખાનગી હોસ્પિટલમાં 2,330 બેડ સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 96 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જ્યારે કે 2,234 બેડ ખાલી છે. આ બેડની સ્થિતિ જોઈએ તો ખાનગી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનના 32 બેડ ભરાયેલા છે. જ્યારે કે 977 બેડ ખાલી છે. HDU બેડની વાત કરીએ તો, 36 બેડ ભરાયેલા છે અને 732 બેડ ખાલી છે. ICU વિથઆઉટ વેન્ટીલેટરના 355 બેડ ખાલી છે. જ્યારે કે, 17 બેડ પર જ હાલ દર્દીઓ સારવાર હેઠળ છે. તો ICU વિથ વેન્ટીલેટર પર માત્ર 11 જ દર્દીઓ સારવાર હેઠળ છે. 170 બેડ ICU વિથ વેન્ટીલેટરના ખાલી છે.

આ પણ વાંચો : ગાંધીનગરના ઇતિહાસમાં પહેલીવાર જમીનની રેકોર્ડ બ્રેક ભાવે હરાજી થઈ

કોરોનાને માત આપવા દેશભરમાં પ્રધાનમંત્રી મોદીએ 16 જાન્યુઆરીથી રસીકરણ (vaccination) ની શરૂઆત કરાવી હતી. રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 7,14,131 ફ્રન્ટલાઈન કોરોના વર્કર્સ (corona warriors) ને રસી આપવામાં આવી છે. ગઈકાલે રાજ્યના 883 રસીકરણ કેન્દ્રો પર 53,615 ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી હતી.

કોરોનાના ઘટતા કેસો અંગે વાત કરતા જાણીતા ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ કહે છે કે, છેલ્લા અનેક દિવસોથી રાજ્યભરમાં સારી સ્થિતિ જોવા મળી છે. લોકો સામાન્ય રીતે માસ્ક પહેરેલા નજરે પડે છે. નાઈટ કર્ફ્યું (night curfew) ના કારણે એક સમયે વણસેલી સ્થિતિ ફરી સંપૂર્ણ કાબૂમાં જોવા મળી છે. શહેરીજનો જો આ રીતે જ કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે તો હાલ જોવા મળતી રાહત આગામી દિવસોમાં પણ બની રહેશે. જો કે અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં કોર્પોરેશનના ઈલેક્શનના તેમજ કેટલીક જિલ્લા પંચાયતમાં પણ ઈલેક્શન છે. આ સમય દરમિયાન તમામ પક્ષના કાર્યકરોને એક જ વિનંતી કરવાની રહી કે સૌ કોઈ સંયમ જાળવે, પ્રચારની કામગીરી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનો પ્રયાસ કરે જેથી કોરોનાને આપણી આસપાસમાં પ્રસરતો રોકી શકીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news