વિધાનસભાની વાતઃ લીમખેડામાં આ વખતે કોનું ચાલશે રાજ? જાણો બેઠકનું ગણિત અને રાજકીય સમીકરણો

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ હવે 2022 ની ચૂંટણીઓમાં પણ લીમખેડા ભાજપને વફાદાર રહેશે કે અન્ય કોઈ પક્ષ ભાજપના ગઢમાં ગાબડું પાડશે? ભાજપ માટે ઉમેદવારની પસંદગી એકમાત્ર ચેલેન્જ હોય એમ લાગે છે જયારે અન્ય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મેહનત કરવી પડશે.

વિધાનસભાની વાતઃ લીમખેડામાં આ વખતે કોનું ચાલશે રાજ? જાણો બેઠકનું ગણિત અને રાજકીય સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની વધુ સિટો જીતવી હોય તો આદિવાસીઓના મત તમારી તરફ કરવા પડે. દાહોદ જિલ્લો એટલે આદિવાસીઓનો ગઢ અને ભાજપ પણ વર્ષોથી આદિવાસીઓને ખુશ રાખતું આવ્યું છે. સામે આદિવાસીઓએ પણ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે. પરંતુ આ વખતે ભાજપ માટે જીતવું થોડુ ભારે પડી શકે તેવી રાજકીય સ્થિતી સર્જાઈ છે. લોકો શાસક પક્ષથી નિરાશ છે સ્થાનિકોનું કહેવું છે કે પાયાની સુવિધાઓ અને વર્ષો જુના પ્રશ્નોનું હજુ પણ નિરાકરણ આવ્યું નથી. તેની સીધી અસર મતદાન પર અને મતદારોના માનસ પર થઈ શકે છે. આ વખતે લીમખેડામાં પણ ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. ત્યારે જાણીએ વિધાનસભાની વાતમાં કરીએ લીમખેડા બેઠકની વાત...

લીમખેડામાં વર્ષોથી કોનો છે દબદબો?
જસવંત સિંહ ભાભોર રાજકારણમાં આવતા પહેલા શિક્ષક હતા. પહેલા સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. 2014માં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સામાન્ય ચૂંટણી જીતી હતી. તેઓ "લો-પ્રોફાઇલ" નેતા છે, તેમની ગણના પાયાના મૂળ કાર્યકરો એટલે કે શ્રમિકો સાથે સંપર્કમાં રહેતા નેતા તરીકે કરવામાં આવે છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને 2014માં કેન્દ્રીય મંત્રી મંડળમાં આદિજાતિ રાજ્ય મંત્રી બનાવાયા હતા, પરંતુ 2019માં બીજી વખત ચુંટાયા પછી તેમને કંન્દ્રીય મંત્રી મ્ંડળમાં સમાવાયા નથી છતાં તેઓ પક્ષ માટે ખુબ ઉત્સાહથી કામ કરતા રહેવા માટે માનીતા છે.

લીમખેડામાં મતદારોનું ગણિતઃ
લીમખેડા વિધાનસભા બેઠકમાં કુલ 218203 મતદાર છે જેમાંથી 108081 પુરુષ મતદાર અને 110116 મહિલા મતદાર છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લીમખેડા બેઠક માટે દાહોદની બેઠક જેટલો ભય નથી. હાલના દાહોદ લોકસભાના મંત્રી જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્ય રહી ચુક્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં લીમખેડા બેઠકનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ     વિજેતા ઉમેદવાર                                   પક્ષ
2017     શૈલેષભાઇ ભાભોર                           ભાજપ
2012     ભાભોર જશંવતસિંહ સુમનભાઈ         ભાજપ
2007     બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ          આઇએનસી
2002     બાબુભાઈ સોનિયાભાઈ ભાભોર         ભાજપ
1998     નાગરસિંહ ગુલાબસિંહ પસ્યા             કોંગ્રેસ
1995     રાયસિંહ કુકાભાઈ પરમાર                ભાજપ
1990     પસ્યા નાગરસિંહ ગુલાબસિંહ             જેડી
1985     પસ્યા વીરસિંગભાઈ ભુલાભાઈ          કોંગ્રેસ
1980     પસ્યા વીરસિંગભાઈ ભુલાભાઈ           કોંગ્રેસ
1975     મહાનિયા વીરસિંહ ગંગાજીભાઈ         એનસીઓ
1972     વીરસિંગ ગંગજી મોહાનિયા              એનસીઓ
1967     વી.બી.પસ્યા                                એસડબલ્યૂએ
1962     બાડિયા મુલા ગુદયા                      એસડબલ્યૂએ

2017માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. 2017માં ભારતીય જનતા પાર્ટીના ભાભોર શૈલેષભાઈ સુમનભાઈએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તડવી મહેશભાઈ રતનસિંહને 19314 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. આ અગાઉ 2012માં ભાભોર જશંવતસિંહ સુમનભાઈ કોંગ્રેસના બારિયા પુનાભાઈ જેસિંહભાઈને 15330 મતથી હરાવીને લીમખેડાના ધારાસભ્ય બન્યા હતા. જે આજે 17મી લોકસભામાં દાહોદ જિલ્લાના ભાજપના સંસદસભ્ય છે. જસવંત સિંહ ભાભોર ગુજરાતના એક લોકપ્રિય આદિવાસી નેતા છે. તેઓ સ્વચ્છ અને સુલભ પ્રકૃતિ માટે ઓળખાય છે.

2017 જશવંત સિંહ ભાભારોના ભાઈએ મારી બાજી-
જશવંતસિંહ ભાભોરના સગાભાઈને લીમખેડા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ વિજયી પણ થયા હતા. લીમખેડા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં જ યોજાયું હતું. વળી, ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભા લીમખેડાના મતદારોને રિઝવવામાં સફળ રહયું છે.

હવે 2022 ની ચૂંટણીઓમાં પણ લીમખેડા ભાજપને વફાદાર રહેશે કે અન્ય કોઈ પક્ષ ભાજપના ગઢમાં ગાબડું પાડશે? ભાજપ માટે ઉમેદવારની પસંદગી એકમાત્ર ચેલેન્જ હોય એમ લાગે છે જયારે અન્ય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મેહનત કરવી પડશે. જોકે લીમખેડા બેઠક પર ભાજપની પકડ છે, છતાં ભાજપ 2022માં 150થી વધુ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે, ત્યારે મધ્યઝોનમાં 40 પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લીમખેડા વિસ્તારમાંથી સમરસિંહ પટેલ વરણી થઇ હતી. 2021માં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં લીમખેડા તાલુકા પંચાયતની 24 પૈકી 2 બેઠકો બિનહરીફ સાથે 23 બેઠક ભાજપે કબજે કરતા લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું હતું. તો આ તરફ આપ પાર્ટીએ દાહોદ જિલ્લાના ગામોમાં પાણી, સિંચાઈ, આવાસ યોજના વગેરે સરકારી યોજનાઓનો લાભ મળતો નથી અને આદિવાસી સમાજને થતો અન્યાય રોકવા આમ આદમી પાર્ટી કાર્યરત છે એવો સંદેશ જનતાને આપ્યો હતો.  

 

2022ની વિધાનસભામાં શું છે મીજાજ-
સ્થાનિકો સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું છેકે, આ વખતનું રાજકિય વાતાવરણ ખૂબ અસમજસ ભર્યું છે. 3 પક્ષ છે પરંતુ લીમખેડા વિધાન સભાની જો વાત કરવામાં આવે તો ત્યાં ઘણા સમયથી ભાજપનો દબદબો રહ્યો છે અને જસંવત ભાભોરનું પણ વર્ચસ્વ વધુ છે એટલે ભાજપને આ સીટ જીતવામાં વધુ મહેનત કરવી પડે તેમ લાગતું નથી હા રાજકિય વાયરાના કારણે વોટીંગમાં 2થી3 ટકા વધ-ઘટ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news