હવે થયો પસ્તાવો કે હું ખોટો અને ભાજપ સરકાર સાચી હતી, ધારાસભ્ય બનતાં જ બદલાયા સૂર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે 2015 થી 2017 દરમિયાન રાજ્યમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલનને કારણે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાની ખુરશી ગુમાવવાની નોબત આવી હતી

હવે થયો પસ્તાવો કે હું ખોટો અને ભાજપ સરકાર સાચી હતી, ધારાસભ્ય બનતાં જ બદલાયા સૂર

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મંગળવારે પાટીદાર આંદોલનમાં પોતાના સ્ટેન્ડ બદલ દિલગીરી વ્યક્ત કરી છે. વિધાનસભાના બજેટ સત્રમાં જ્યારે હાર્દિક પટેલ પહેલીવાર બોલવા માટે ઊભા થયો ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યારે હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો એ આસાન કામ છે, પરંતુ અહીં બેઠા પછી લાગે છે આ સહેલું કામ નથી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે 2015 થી 2017 દરમિયાન રાજ્યમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલનને કારણે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાની ખુરશી ગુમાવવાની નોબત આવી હતી. ત્યારે હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે અનામતની માંગ કરી રહ્યો હતો અને સરકાર પાસે પાટીદાર સમાજને OBC (અન્ય પછાત વર્ગ)માં સમાવવાની માંગ કરી હતી. 

આ આંદોલન બાદ હાર્દિક દેશભરમાં યુવા નેતા તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારે હાર્દિકના આંદોલનથી ગુજરાત સરકાર હચમચી ગઈ હતી. ત્યારબાદ હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના કેસ હજુ પેન્ડિંગ છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 'દેખીતી રીતે જ્યારે અમારું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે કોઈપણ ભોગે કાયદો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે અમે વિચાર્યું હતું કે ગૃહમાં બેસીને કાયદો બની જશે. આ કોઈપણ ચર્ચા વિના થશે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ગૃહમાં ઇમ્પેક્ટ ફીનો મુદ્દો હોયા કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાના મુદ્દે ચર્ચા થઈ છે. જેમાં વિપક્ષ પણ પોતાના અભિપ્રાય આપી રહ્યું છે અને શાસક પક્ષ પણ જુદી જુદી વાતો કરી રહ્યું છે. 

હાર્દિકે આ વાત પર ઉમેર્યું હતું કે, આજે મને સમજાયું કે તમે રસ્તા પરથી માત્ર લડાઈ કરી શકો છો, ભાષણ આપી શકો છો, માર્ચ કરી શકો છો અને આંદોલન કરી શકો છો.પરંતુ જ્યારે વિભિન્ન મુદ્દાઓ પર કાયદો બનાવવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે કેટલી કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. માત્ર ગુજરાતી વિષય ફરજિયાત કરવા માટે કાયદો બનાવવો સરળ લાગે છે, પરંતુ જુઓ તેમાં કેવી જોગવાઈ છે. એટલે કે, રસ્તા પર લડવું સરળ છે, પરંતુ ઘરમાં બેસીને કાયદો બનાવવો મુશ્કેલ છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બિલ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવામાં મદદ કરશે. તેનાથી આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બનશે. જો કે આ સંબોધન દરમિયાન હાર્દિક પટેલે કાયદા બનાવવાની પ્રક્રિયાને અઘરી ગણાવી હતી અને કહ્યું હતું કે રસ્તા પર ઉભા રહીને કંઈપણ કહેવું ખૂબ જ સરળ છે. અગાઉ, ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેર સિંહ ડીંડોરે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવાનું બિલ રજૂ કર્યું હતું. ગુજરાતી લેખકો ઘણા સમયથી આ મુદ્દાની માંગ કરી રહ્યા છે. મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ બિલ શૈક્ષણિક સત્ર 2023-24થી લાગુ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news