અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 કામદારોના મોત

અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 કામદારોના મોત
  • આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આસપાસના ગોડાઉન પર પણ થઈ હતી. અડધા કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ધડાડો સંભળાતા જ લોકોમા નાસભાગ મચી હતી, અને લોકો સ્થળ છોડીને દોડવા લાગ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ગોડાઉનના પત્થરો ચારેતરફ ઉડીને પડ્યા હતા

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં પિરાણા પીપલજ રોડ ઓર આવેલી કાપડના ગોડાઉનમાં બપોરે આગનો બનાવ બન્યો હતો. પીપલજ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળે દોડી હતી અને આગ પર કાબૂ લેવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. ફાયર વિભાગમાંથી 17 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 લોકોના મોત નિપજ્યા છે. 

આ પણ વાંચો : બનાસ ડેરીમાં ફરીથી સત્તા પર આવ્યા શંકર ચૌધરી

વર્ણન ન કરી શકાય એટલો ભયંકર હતો બ્લાસ્ટ 
પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આસપાસના ગોડાઉન પર પણ થઈ હતી. અડધા કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ધડાડો સંભળાતા જ લોકોમા નાસભાગ મચી હતી, અને લોકો સ્થળ છોડીને દોડવા લાગ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ગોડાઉનના પત્થરો ચારેતરફ ઉડીને પડ્યા હતા. સમગ્ર વિસ્તારમા પત્થરો ઉડ્યા હતા. તો અન્ય ગોડાઉનની છતના પોપડા પણ ઉખડી ગયા હતા. તો સામેના ગોડાઉનની પાણીની ટાંકી પણ તૂટી પડી હતી. ઐ ગોડાઉન બટાભાઈ ભરવાડ નામના શખ્સનું હોવાનું સામે આવ્યું છે, તેણે આ ગોડાઉન ભાડે આપ્યું હોવાનું કહેવાય છે. 

ફસાયેલા 17 લોકોને બહાર કઢાયા 
આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામા આવ્યા હતા. ફસાયેલા 17 લોકોને કાટમાળમાઁથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં નજમુનિયા શેખ, રાગિણી ક્રિશ્યન અને જેક્વેલિન ક્રિશ્ચયન હોવાનું સામે આવ્યુ છે. આ મૃતકો કોણ છે તે હજી જાણવા મળ્યું નથી. 

હજી પણ વધુ લોકો કાટમાળમાં ફસાયા છે 
તો કાટમાળ નીચે હજી પણ લોકો ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યુ છે. બ્લાસ્ટ વિશે સાંભળીને ગોડાઉનમાં કામ કરતા લોકોના પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે, હાલ કેટલા લોકો અંદર છે અને ફસાયેલા છે તે હજી જાણવા મળ્યુ નથી. જોકે, ફાયર વિભાગ દ્વારા કોઈ એક સભ્યને અંદર જવા દેવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરાઈ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news