‘રખડતા મહેમાન’ ફાધર વાલેસનું સ્પેનમાં નિધન, ગુજરાત સાથે હતો અનોખો નાતો

ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. પરંતુ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રેમ હતો.

‘રખડતા મહેમાન’ ફાધર વાલેસનું સ્પેનમાં નિધન, ગુજરાત સાથે હતો અનોખો નાતો

ઝી વેબ ડેસ્ક, અમદાવાદ:  ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. પરંતુ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રેમ હતો. 1945માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. 1949માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. અને 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. 1960થી 1982 દરમ્યાન અમદાવાદની સેંન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા.

જીવન ઘડતર ના ધ્યેયથી સદાચાર, તરુણાશ્રમ , ગાંધીજી અને નવી પેઢી , ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક પણ આપ્યો છે.

ફાધર વાલેસ જ્યારે 10 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેશીન આંતરવિગ્રહના કારણે ઘર છૂટી ગયું હતું. અને તેઓ ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા હતા.  15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી અને 1949માં તેઓ ભારત આવ્યા. ત્યારબાદ તેમણે 1973માં તેમણે અમદાવાદની પોળોમાં વિહારયાત્રાની શરૂઆત કરી અને પરિવારો સાથે રહીને ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા.  તેમણે અંગ્રેજી ભાષામાં 70થી વધુ પુસ્તકો લખ્યા છે જ્યારે 25થી વધુ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખ્યા છે. 

ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ગુજરાતી સાહિત્ય જગતને તેમની ખોટ હંમેશા રહેશે.

પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.
ૐ શાંતિ...

— Vijay Rupani (@vijayrupanibjp) November 9, 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર-લેખક ફાધર વોલેસના દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુખ્યમંત્રીએ શોકાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે, ફાધર વોલેસ જન્મે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષા સાહિત્યમાં પોતાની લેખની અને પુસ્તકો-નિબંધ-પ્રવાસ વર્ણન દ્વારા સવાયા ગુજરાતી તરીકે એક આગવી છાપ ઉપસાવી હતી. સદ્દગતના અવસાનથી ગુજરાતી સાહિત્ય-લેખન જગતને મોટી ખોટ પડી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વ. ફાધર વોલેસના આત્માની પરમશાંતિની પ્રાર્થના પણ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news