ડાકોરમાં VIP દર્શન પર EXCLUSIVE ખુલાસો: 'મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર, કમાણી પર નહીં'

ડાકોરમાં ભગવાનનાં દર્શન માટે 500 રૂપિયાની રકમ અંગે ફેર વિચારણા કરવા મંદિર ટ્રસ્ટ તૈયાર છે. ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગતે ZEE 24 કલાકને કહ્યું મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર છે, કમાણી પર નહીં.

ડાકોરમાં VIP દર્શન પર EXCLUSIVE ખુલાસો: 'મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર, કમાણી પર નહીં'

Gujarat Tourism: ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ડાકોર મંદિરમાં VIP એન્ટ્રીની સુવિધા શરૂ થઈ છે. ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા લેવાનો ટેમ્પલ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો છે, જેના કારણે ભક્તોનું દિલ દુભાયું છે. ત્યારે ડાકોર મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા VIP સુવિધાઓના વિવાદ પર ZEE 24 કલાક દ્વારા એક્સક્લુસિવ ખુલાસો કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગત સાથે ZEE 24 કલાકે વાતચીત કરી હતી. જેમાં મંદિર દ્વારા આ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? તેના પાછળનું શું તર્ક છે? તે તમામ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.

ડાકોરમાં હાલ VIP દર્શન મુદ્દે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે. આખરે વીઆઈપી દર્શનની પ્રથા ક્યાંથી આવી અને કેવી રીતે આવી? ગુજરાતના કોઈ પણ મંદિરમાં વીઆઈપી દર્શનની પ્રથા જોવા નથી મળતી જેના કારણે હાલ મોટો હોબાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ખરેખર વીઆઈપી દર્શન પાછળની કહાની શું છે? અને તેના પાછળનો ઉદ્દેશ્ય શું છે? કે પછી વીઆઈપી દર્શનની એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે શું આ તમામ સવાલોના જવાબ પરિન્દુ ભગતે જણાવ્યા છે.

VIP દર્શનના નામે શરૂ થયેલો વિવાદ શું છે?
મંદિર ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગત આ વિવાદ મુદ્દે જણાવ્યું હતું કે, કે આ વીઆઈપી શબ્દ ક્યાંય છે જ નહી. મંદિર તરફથી જે નિર્ણય કે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેમાં ક્યાંય વીઆઈપી શબ્દનો ઉલ્લેખ નથી. કોઈ પણ ટ્રસ્ટી કે સભ્ય દ્વારા આ વીઆઈપી શબ્દ વાપરવામાં આવ્યો નથી.

આ વ્યવસ્થા પાછળનું કારણ શું છે?
પરિન્દુ ભગતે જણાવ્યું કે, ઘણા બધા વૈષ્ણવો અને તેમાં પણ વડીલ વૈષ્ણવો દર્શન કરવા માટે આવે છે. જેમાં બહેનો હોય કે ભાઈઓ હોય, જે વર્ષોથી દર્શન કરવા માટે આવે છે. હવે જ્યારે તેમની શારીરિક અક્ષમતા છે, આવા લોકોને સનમુખ દર્શન કરવાની માંગણી આવતી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખીને, મંદિરની ઝાળીથી બહાર ગર્ભગૃહમાં કોઈનો પ્રવેશ નથી. જાળીની બહાર એટલે કોઈ વીઆઈપી નથી. એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, ગયા અઠવાડિયે નાણામંત્રી નિર્મલા સીતારમણ દર્શન કરવા આવ્યા હતા, ત્યારે પણ તેમણે જાળીની બહારથી જ દર્શન કર્યા હતા. તેઓ ગર્ભગૃહમાં ગયા નહોતો. ત્યારબાદ અમે વિચાર કર્યો કે આપણે આવા દર્શનની વ્યવસ્થા કરીએ. આ દર્શનની વ્યવસ્થામાં અમારા ત્રણ મુદ્દા સ્પષ્ટ છે. પહેલો મુદ્દો કે આખી દર્શનની વ્યવસ્થા ટ્રાન્સપરન્ટ રહેશે, જેમાં મંદિરની એપ કે રજિસ્ટ્રેશન કરી એમાં રજીસ્ટ્રેશન સાથે દર્શન થશે. બીજી વસ્તુ દર્શનની સમય મર્યાદા બે મિનિટથી વધારે રહેશે નહીં. કોઈ ઉભું રહેશે નહીં અને અશક્ત માણસો ભગવાનની સામે સનમુખ દર્શન કરવા માટે રજીસ્ટ્રેશન હશે તો તેમણે રિસીપ્ટ આપીને કરવા દેવામાં આવશે.

આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો? 500 રૂપિયા પાછળની શું છે હકીકત
તેમણે જણાવ્યું કે 500 રૂપિયા લઈને ન્યોછાવર તરીકે નક્કી કર્યા છે. ભાઈઓ માટે 500 રૂપિયા અને બહેનો માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 500 રૂપિયા અને 250 રૂપિયા સિવાય પણ અમુક એવા સંજોગોમાં પૈસા લીધા વિના પણ આ દર્શન કરાવી શકાશે. પૈસા એ ડાકોર માટે કોઈ અગત્યની વસ્તુ નથી. મંદિર કમાવવા બેઠું નથી. મંદિરની જ્યારે 5-7 કરોડની આવક છે ત્યારે મહિનાના 5-7 લાખ માટે મંદિર કેમ આવું કરે? મંદિર હંમેશાં આપવામાં માને છે. અમે ક્યારેય જાહેરાત નથી કરતા. અમે તો મંદિરમાં આવેલા પત્રિકાથી લઈને તમામ પૈસાનો લાડુ તરીકે પ્રસાદ આપીએ છીએ.

તેમણે જણાવ્યું હતું કે, આ પૈસાનો ઉપયોગ યાત્રાળુઓની સુવિધા વધે એની પાછળ જ વાપરવામાં આવશે. ડાકોરમાં ભગવાનનાં દર્શન માટે 500 રૂપિયાની રકમ અંગે ફેર વિચારણા કરવા મંદિર ટ્રસ્ટ તૈયાર છે. ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગતે ZEE 24 કલાકને કહ્યું હતું કે મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર છે, કમાણી પર નહીં. 

ડાકોરમાં VIP દર્શન માટે ચાર્જ
ડાકોરમાં VIP દર્શન માટે રૂ.500 અને રૂ.250 નક્કી કરવામાં આવતાં ભક્તો-સેવકો નારાજ જોવા મળ્યા છે. મહત્વનું છે કે ડાકોર મંદિરમાં 500 અને 250 રૂપિયામાં વીઆઈપી દર્શન  કરવાનો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો હાલમાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભક્તોએ મંદિરના મેનેજરને આવેદન પત્ર આપ્યું!
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 500 રૂપિયાને અઢીસો રૂપિયામાં કરાવવામાં આવતા વીઆઈપી દર્શનનો વિરોધ જોવા મળ્યો છે. હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં વિરોધ પ્રકટ કરવા પહોંચ્યા. તેઓએ ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ ના નારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે મંદિરના મેનેજરને આવેદન પત્ર આપવામાં આવ્યું. સાથે જ આવેદનમાં સાંજે છ વાગ્યા સુધીમાં નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. એસોસિયેશનના સરપંચો અને યુવાનો દ્વારા આ નિર્ણયને મનસ્વી નિર્ણય ગણાવવામાં આવ્યો છે. તો બીજી તરફ, ડાકોરમાં vip દર્શનને લઈને હોબાળો થયો હતો. મંદિર પરિસરમાં આવેદન પત્ર આપવા આવેલા લોકોને કર્મચારી દ્વારા બહાર કાઢવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ બાદ આવેદનપત્ર આપવા આવેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. 

આ પ્રકારના ચાર્જ પણ વસૂલાશે
મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.

VIP એન્ટ્રીથી ભક્તજનોમાં નારાજગી
એક ભક્તે જણાવ્યું કે, ભગવાનના નામથી જે વેપાર ચાલુ કર્યા છે ​એ ખૂબ જ નિંદનીય છે. આવું હોવું જ ન જોઈએ, ભગવાન બધા માટે સરખા છે. આ આસ્થાનું સ્થાન છે. ભક્તોનું દિલ દુભાય છે, આથી આ પ્રથા તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ એવી અમારી ઈચ્છા છે. જ્યારે અન્ય એક ભક્તજને જણાવ્યું હતું કે હાલ જે કલ્ચર ચાલી રહ્યું છે એ અયોગ્ય છે. ભક્તો પાસેથી નાણાં ઉઘરાવી દર્શન કરાવવાં એ યોગ્ય નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news