અમદાવાદના બે ચહેરા : રિવરફ્રન્ટની ચકચકિત ઈમેજ બાદ સાબરમતી નદીના પ્રદૂષણના દ્રશ્યો જોશો તો વિશ્વાસ નહિ થાય

Ahmedabad News : કોના પાપે સાબરમતી નદી બની રહી છે પ્રદૂષણનો પર્યાય?... નદીમાં બેરોકટોક ઠલવાતું કેમિકલયુક્ત, સિવરેજનું પાણી... AMC પણ ટ્રીટ કર્યા વિનાનું સિવરેજનું પાણી છોડે છે!... નદીના પાણીમાં જીવલેણ બેકટેરિયા સહિતની ગંદકીમાં વધારો
જવાબદારી માટે એકબીજાને ખો આપતાં AMC-ઉદ્યોગો

અમદાવાદના બે ચહેરા : રિવરફ્રન્ટની ચકચકિત ઈમેજ બાદ સાબરમતી નદીના પ્રદૂષણના દ્રશ્યો જોશો તો વિશ્વાસ નહિ થાય

Sabarmati River Pollution અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદની સાબરમતી નદી બે કારણોસર ચર્ચામાં રહે છે. એક કારણ છે નદીના કાંઠે બનાવેલો રિવરફ્રન્ટ અને બીજું કારણ છે નદીમાં ફેલાવવામાં આવતું બેફામ પ્રદૂષણ. હાઈકોર્ટે અનેક વખત સરકાર અને સ્થાનિક તંત્ર સામે આકરું વલણ દાખવ્યું છે, જો કે તંત્રને કોઈ ફરક નથી પડતો. નદીમાં કેમિકલ અને ટ્રીટ કર્યા વિનાનું ગટરનું પાણી સતત ઠલવાતું જ રહે છે. ત્યારે અમે આપને આ અહેવાલમાં બતાવીશું સાબરમતી નદીની દુર્દશા અને તેની પાછળનાં કારણો, કેવી રીતે સાબરમતીને પ્રદૂષણની નદી બનાવી દેવાઈ છે તે પણ જોઈએ. 

સાબરમતી નદી કેમ બની રહી છે પ્રદૂષણનો પર્યાય? નદીને સ્વચ્છ રાખવામાં કેમ તંત્રને રસ નથી? હાઈકોર્ટની ફટકાર છતા કેમ તંત્ર જાગતું નથી? આવા સવાલ દરેક અમદાવાદીના મનમાં ઉઠે છે. રિવરફ્રન્ટ અને વોકવેને કારણે સાબરમતી નદીની રોનક વધી છે. અહીંથી સાબરમતીનો નજારો જ કંઈક ઓર હોય છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બંને પ્રોજેક્ટ પર ગર્વ લેતા થાકતું નથી. જો કે રિવરફ્રન્ટ પૂરો થાય ત્યારબાદ જે દ્રશ્યો સર્જાય છે, તેના પર કોઈ ગર્વ ન લઈ શકે, ન તો એેએમસી કે ન તો અમદાવાદીઓ. આ દ્રશ્યો સાબરમતીની ઓળખ જ બદલી નાંખે છે. નદીમાં સતત પ્રદૂષણ ઠલવાતું રહે છે. નદીનાં શુદ્ધીકરણ માટે AMCનાં શાસકોના દાવા પોકળ સાબિત થાય છે.

GIDCનું કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના જ બેફામ રીતે નદીમાં ઠલવાતું રહે છે. નવાઈની વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે નદીમાં સુઅરેજ વોટર છોડે છે. જેના કારણે નદીના પાણીમાં જીવલેણ બેકટેરિયા સહિતની ગંદકી વધી રહી છે. જેનો ભોગ અમદાવાદ જિલ્લાનાં 40થી વધુ ગામના ખેડૂતો અને લોકો બની રહયા છે. 

આ પણ વાંચો : 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીના પાણીમાં “બાયોલોજીકલ ઓક્સિજન ડીમાન્ડ” એટલે કે BOD અને “કેમીકલ ઓક્સિજન ડિમાન્ડ” એટલે કે CODના જે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, તેના કરતા અનેકગણી વધુ માત્રામાં BODઅને COD સાબરમતીના પાણીમાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુઅરેજ વોટર ટ્રીટમેન્ટ માટે 800 એમએલડી ક્ષમતાના કુલ 25 પ્લાન્ટ બનાવ્યા છે. તેમ છતાં દરરોજ ૩૦૦ થી ૪૦૦ એમએલડી સુઅરેજનું પાણી ટ્રીટ કર્યા વિના સીધું જ નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે પાણીમાં બીઓડી અને સીઓડીની માત્રા અનેક ગણી વધી જાય છે. 

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માપદંડ અનુસાર એક લીટર પાણીમાં વધુમાં વધુ ૧૦ મીલીગ્રામ BOD અને પ૦ મીલીગ્રામ COD હોવા જાઈએ. જેની સામે સાબરમતી નદીમાં BOD અને COD ની માત્રા અનેકગણી વધુ છે. જુની બે સ્ટોર્મ વોટર લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી પપ૦ અને સીઓડી ૧૪૪૮ જયારે નવી બે સ્ટ્રોમ લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી ૧૬પ અને સીઓડી ૩૮પ છે. ચોંકાવનારી બાબત એ છે કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી સ્ટોર્મ વોટર લાઈનોમાં પણ કેમીકલ સાથેનું પાણી છોડવામાં આવે છે. 

તંત્રની બેદરકારીના પરીણામે જ એસટીપીમાંથી ટ્રીટ થયેલ સુઅરેજ વોટરમાં બીઓડીની માત્રા વધુ હોવાનું સાબિત થયું છે. તેથી સાબરમતી નદીનું પાણી પીવાના, ન્હાવાના તેમજ ખેતીમાં ઉપયોગ કરવા લાયક પણ નથી.

આ પણ વાંચો : 

સાબરમતી નદીમાં જ્યાંથી કેમિકલ અને ડ્રેનેજના પાણી ઠલવાય છે તે શાસ્ત્રી બ્રીજ નજીકના ડિસ્ચાર્જ પોઇન્ટની ઝી 24 કલાકની ટીમે મુલાકાત લીધી. મ્યુનિસિપલ કોર્પોરેશની ટીમે આ દરમિયાન નદીમાં પાણીના સેમ્પલ લીધા હતા. 24 જાન્યુઆરી 2023 ના રોજ પૂર્વનાં ઉદ્યોગોનુ પાણી ઠાલવતી મેગાની પાઇપલાઇન અને નારોલ તરફના ઉદ્યોગોનુ પાણી ઠાલવતી લાઇનમાંથી આ સેમ્પલ લેવાયા હતા. 

આ સેમ્પલનાં લેબોરેટરી રિપોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. પાણીમાં જુદા જુદા ઘટકોનું પ્રમાણ નિયત માત્રાથી અનેક ગણું વધારે હતું. સાબરમતી નદીમાં ઠલવાતા મેગા પાઈપ લાઈનના પાણીનો ટેસ્ટ રિપોર્ટ જોઈએ તો તેમાં ટોટલ ડિઝોલ્ડ સોલિડ્સ એટલે કે TDS 2100 મિલીગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ 9474 હતું. જ્યારે BOD 30ની જગ્યાએ 156 મિલીગ્રામ પ્રતિ લીટર હતું. આ પાણીમાં COD 250 મિલીગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ 506 મિલીગ્રામ પ્રતિ લીટર હતું. જ્યારે ક્લોરાઈડ 1000 મિલીગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ 3650 મિલીગ્રામ પ્રતિ લીટર હતું. જ્યારે સલ્ફેટ 1000 મિલીગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ 1503 મિલીગ્રામ પ્રતિ લીટર હોવાનું સામે આવ્યું છે. 

હવે જો નારોલ ટેક્સટાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વિરો મેનેજમેન્ટ લાઈનની વાત કરીએ તો તેમાં ટીડીએસ 2100 મિલીગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ 3924 મિલીગ્રામ પ્રતિ લીટર હતું, જ્યારે ક્લોરાઈડ 1000 મિલીગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ 1700 મિલીગ્રામ પ્રતિ લીટર હતું.  

નવાઈની વાત એ છે કે કોર્પોરેશને પાણીનાં જે સેમ્પલ લીધા હતા, તે ઉદ્યોગોનાં ટ્રીટમેન્ટ કર્યા પછીનાં  પાણીનાં હતા...જે તંત્ર અને ઉદ્યોગોની પ્રદૂષણ નિયંત્રણની કામગીરી અંગે ઘણું બધુ કહી જાય છે. જો કે કોર્પોરેશનનાં સત્તાધીશો આ વાત સ્વીકારવા તૈયાર નથી...તો સામે વિપક્ષે સત્તા પક્ષનાં દાવાને ખોટા ગણાવ્યા છે.

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, AMC અને જુદા જુદા ઔદ્યોગિક સંગઠનોને સતત ફટકાર  લગાવે છે. જો કે તંત્ર પોતાની કામગીરીની આંટીઘૂંટી બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયત્ન કરે છે. તંત્રની આ આભારી કામગીરીથી સાબરમતી નદી અને શહેરીજનોને કોઈ લાભ નથી થતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news