ભાવનગરના વલ્લભીપુરમાં ખેતરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર

ભાવનગરના વલ્લભીપુરના મોણપુર ગામે દેવીપૂજક દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી, મૃતક પતિ-પત્ની મોણપુરના કરશનભાઈની વાડીમાં મજૂરી કામ કરતા હતા 

ભાવનગરના વલ્લભીપુરમાં ખેતરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર

ભાવનગરઃ ભાવનગરમાં હજુ એક માસ પહેલા જ પાલીતાણાના રંડોળા ગામે વૃદ્ધ પતી પત્નીની કરપીણ હત્યાની ઘટના તાજી છે, ત્યારે આજે ગુરૂવારે ફરી વલભીપુર પંથકમાં દેવીપુજક પતિપત્નીની કરપીણ હત્યા કરવામાં આવતા જીલ્લામાં હાહાકાર મચી ગયો છે. જોરૂભાઈ ચુડાસમા અને વર્ષાબેન તેના ભાગીયાની વાડીમાં રાત્રે સુતા હતા તે દરમ્યાન અજાણય શખ્સો દ્વારા બોથડ પદાર્થ મારીને તેમની હત્યા નીપજાવવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ગુનેગારને શોધવા તજવીજ હાથ ધરી હતી.

ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર ગામે ખેતરમાં રાત્રી દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા દંપતીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં મૃતક પુરુષનું નામ જોરૂભાઈ કાન્તીભાઈ ચુડાસમા(૨૮ વર્ષ), દેવીપુજક અને મૃતક મહિલાનું નામ વર્ષાબેન ચુડાસમા હોવાનું જાણવા મળ્યું છે. 

પતિ-પત્ની મોણપુરના કરશનભાઈ માંગુકિયા નામના ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. તેઓ કપાસ વગેરે વીણવા માટે ખેતરમાં રાત્રી રોકાણ કરતા હતા.  સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જોરૂભાઈના મોટા ભાઈનું નિધન થઈ ગયું હોવાથી તેનાં પત્ની વર્ષાબેન દિયરવટુ કરીને દિયર સાથે પત્ની તરીકે રહેતા હતા. પુરુષની લાશ ખેતરમાં દૂર નાખી દેવામાં આવી હતી. પુરુષનો ચહેરાનો ભાગ છૂંદી નાખવામાં આવ્યો હતો. મહિલાની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી હતી. મહિલાના ચહેરા ઉપર પણ બોથડ પદાર્થના ઘા મરાયા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળ્યું હતું.

ઘટનાને પગલે વલભીપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને વલભીપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંનેની હત્યાનું કારણ હાલ જાણવા મળ્યું નથી. સાથે જ શંકાસ્પદ હત્યારાના નામ પણ બહાર આવ્યા નથી. પોલીસે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે. 

ઘટના અંગે ભાવનગરના ડીવાયએસપી એ.એમ. સૈયદે જણાવ્યું કે, "વલ્લભીપુરના મોણપુર ગામે ખેતરમાં એક દંપતીની હત્યા થઈ હોવાનું તેમને 108 દ્વારા જણવાયું હતું. આથી તેઓ પોલીસ કાફલો લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ બંનેની હત્યા બોથડ પદાર્થના ઘા મારીને કરાઈ હોવાનું જાણાયું છે. તેમ છતાં હત્યાનું સાચું કારણ જાણવા માટે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે." 

ડીવાયએસપી સૈયદે વધુ વિગતો આપતા જણાવ્યું કે, "ભોગ બનેલું દંપતી મોણપુરના કરશનભાઈ માંગુકિયા નામના ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતું હતું. હત્યાનું સાચું કારણ હાલ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ સાચી દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ હત્યારાઓને પકડી પાડવામાં આવશે. મૃતક દંપતી દેવીપૂજક હોવાથી ઓબીસી/એસસી સેલના ડીવાયએસપીની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news