દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું’

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. 

દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું’

અર્પણ કાયદાવાલા/સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં પોલીસે લાઠી ચાર્જ કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના બાદ ગામમાં અજંપાભરી શાંતિ છવાઈ ગઈ છે. તો બીજી તરફ, વરરાજાના પિતાએ ડરના માર્યે વરઘોડો ન કાઢવાનો નિર્ણય લીધો હતો અને ન્યાય ન મળે તો બૌદ્ધ ધર્મ સ્વીકારવાની પણ વાત કરી હતી.

ModasaMarriagebabal2.JPG

શું બની હતી ઘટના 
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રહેતા પુજાભાઈ ડાહ્યાભાઈ રાઠોડનાં દીકરા જયેશના લગ્ન સાબર્કાન્થા જીલ્લાના અડપોદરા પાસે આવેલા માળી ગામે આવતી કાલે યોજાનાર હતા, ત્યારે આ લગ્ન માટે ગઈકાલે સાંજે પાંચ વાગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગામના અન્ય સમાજના લોકો દ્વારા અત્યાર સુધી ગામમાં અનુસુચિત જાતિ સમાજનો ક્યારેય વરઘોડો નીકળ્યો નથી તેવું કહી વરઘોડો જે રસ્તે થઇ નીકળવાનો હતો તે રસ્તા મહિલાઓ દ્વારા હાથમાં ભજન કીર્તનનાં સાધનો લઇ રસ્તા વચ્ચે બેસી જઈ વરઘોડો રોકવામાં આવ્યો હતો. ત્યારે દલિત સમાજના લોકો દ્વારા આ વરઘોડો અન્ય રસ્તે થઇ લઇ જવાનો પ્રયાસ કરવામાં આવતા મહિલાઓએ અન્ય રસ્તાઓ ઉપર પણ બેસી જઈ વરઘોડાને રોક્યો હતો. સમગ્ર મામલે પોલીસે બંને કોમના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ મામલો બિચક્યો હતો અને બંને કોમોના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેથી પોલીસને હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો પથથર મારો પણ થયો હતો જેમાં એક ડીવાય એસપી ફાલ્ગુની પટેલ તેમજ અન્ય બે પોલીસ કરમી સહીત પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે લઇ જવાયા હતા. જેમાં બે લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

...વરઘોડો નહિ કાઢીએ
દલિત પરિવારનો વરઘોડો રોકવાનો મામલે થયેલી બબાલ બાદ વરપક્ષ દ્વારા વરઘોડો કેન્સલ કરવામાં આવ્યો હતો. વરના પિતા પૂજાભાઈ રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, જો અમને ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું. તેમણે કહ્યું કે, અમે વરઘોડો કાઢવાના નથી. ભયના માહોલના કારણે ફરી બબાલ ના થાય એ માટે વરઘોડો નીકાળવામાં આવશે નહિ. અમને હજી પણ ડર લાગે છે. તો બીજી તરફ વરરાજા જયેશે કહ્યું હતું કે, જો અમને પૂરતુ પોલીસ પ્રોટેક્શન મળે તો અમે વરઘોડો કાઢીશું 

ગામમાં અજંપાભરી સ્થિતિ, પોલીસ કાફલો ખડકી દેવાયો
આ ઘટનાને પગલે ગામમાં હાલ અજંપાભરી શાંતિ છવાઈ ગઈ છે. વરઘોડાના વિવાદ બાદ એસઆરપીની એક ટુકડી ગામમાં ઉતારાઈ દેવાઈ છે. જિલ્લા પોલીસનો કાફલો ખંભીસર ગામે ગોઠવી દેવામાં આવ્યો છે. તો જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ તેમજ રેન્જ આઈજી મયંક ચાવડા સહિતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. હાલ ગામ ની દરેક ગલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

અશાંતિ ફેલાવનાર સામે થશે કાર્યવાહી 
વરઘોડામાં બબાલ બાદ રેન્જ આઈજી મયંકસિંહે ઘરના સભ્યોની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને વરઘોડાની તૈયારીઓ માટે કહ્યું હતું. તેમણે પોલીસ બંદોબસ્તની પણ સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 11 વાગ્યે જાનને લઈ જવામા આવશે. પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષના આગેવાનોની બેઠક કરવામાં આવી હતી. ગઈકાલે ગામમા શાંતિ માટે બેઠક યોજવામા આવી હતી અને બધાએ શાંતિની વાત કરી હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર પણ હાજર હતું. લગ્ન પ્રસંગ શાંતિપૂર્વક પૂર્ણ થાય એ અમારી પ્રાથમિકતા છે. કાયદાકીય કાર્યવાહી અને ફરિયાદ તપાસ બાદ થશે. અશાંતિ ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે. પોલીસે સમજાવટ સહિત ના તમામ પ્રયત્ન કર્યા હતા, જે પણ પોલીસ અધિકારી જવાબદાર હશે તે લોકો સામે પણ તપાસ થશે. પરિવારજનોનો આક્ષેપ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર છે તેની પણ તપાસ કરીશું.

KharmirsarMarriage.JPG

...તો આજે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડા કાઢવામાં આવશે
એક તરફ વરના પિતાએ ડરના માર્યે વરઘોડો કાઢવાનું કેન્સલ કર્યું છે, તો બીજી તરફ વરરાજાને પોલીસ બંદોબસ્ત સાથે કોઈ સમસ્યા પેદા ન થાય તે રીતે વરઘોડો કાઢવા તૈયાર છે. ત્યારે આજે વરઘોડો નીકળે તેવી શક્યતા છે. આજે વરઘોડામાં કોઈ બબાલ ન થાય તે માટે પોલીસે પૂરતો બંદોબસ્ત ખડકી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news