27 વર્ષથી ભાજપનું શાસન છતાં વિધાનસભા દંડકને વડોદરાની ઈમેજ બદલવા નીકળવું પડ્યું

Vadodara traffic issue : વડોદરા શહેરના ચાર દરવાજા, દાંડિયા બજાર, રાવપુરા સહિતના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા.. મંગળ બજાર, લહેરીપુરા ગેટથી સહિતના વિસ્તારમાં દબાણો  સહિતની સમસ્યા..વડોદરામાં  14 કરોડના ખર્ચે બન્યા છે ફૂટપાથ...ફૂટપાથ પર લારી ગલ્લા ધારકોએ કર્યુ છે દબાણ

27 વર્ષથી ભાજપનું શાસન છતાં વિધાનસભા દંડકને વડોદરાની ઈમેજ બદલવા નીકળવું પડ્યું

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વિધાનસભાના દંડક અને રાવપુરા ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ ટીમ વડોદરાનું ગઠન કરી વડોદરાને રી-ઇમેજીંગ કરવાની કામગીરી શરૂ કરી છે...જે મામલે મોંઘીદાટ હોટેલમાં અમુક લોકોને ભેગા કરી વડોદરાની કેવી રીતે ઈમેજ બદલી શકાય તેવી ચર્ચા કરવામાં આવી રહી છે...પણ શહેરની વાસ્તવિકતા કંઇક અલગ જ છે.

વડોદરાના રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અગાઉ શહેરના મેયર અને સાંસદ રહી ચૂક્યા છે. સાંસદ પદ પરથી હટ્યા બાદ બાળુ શુક્લને કોરાણે મૂકવામાં આવ્યા હતા, એક દસકા બાદ બાળુ શુકલને ભાજપે ફરીથી તક આપી અને તેવો રાવપુરા બેઠકના ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બનતા જ બાળુ શુક્લએ વડોદરાના ઈમેજને બદલવાનું અભિયાન શરૂ કર્યું...શહેરમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, જેમાં સત્તાધીશો ચૂંટણી સમયે શહેરનો ખૂબ વિકાસ થયો તેવો દાવો અને પ્રચાર પ્રસાર કરતા હતા, પણ બાળુ શુકલને શહેરના વિકાસમાં ખામી લાગતી હોય તેમ તેમણે ટીમ વડોદરાનું ગઠન કરી તેમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, કોર્પોરેટરો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયર, શહેરના ઉદ્યોગપતિઓ, કોન્ટ્રાકટરો, પાલિકાના અધિકારીઓ અને તેમના અમુક નજીકના મિત્રોને સામેલ કરી વડોદરાની ઈમેજ બદલવા માટેનું બીડું ઉપાડ્યું છે...જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી ન્યાયમંદિર, સુરસાગર તળાવ વિસ્તારને હેરિટેજ તરીકે વિકસાવવા, શહેરમાં ટુરિઝમનો વ્યાપ વધારવા, બિઝનેસ વધારવા માટેનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે... જે સારી વાત છે, પણ લોકો છેલ્લા ઘણા વર્ષોથી અમુક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના ઉકેલનું કોઈ નક્કર આયોજન નથી કરવામાં આવી રહ્યું.

વડોદરાના રાવપુરા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા મંગળ બજાર, લહેરીપુરા ગેટથી પાણીગેટ, ચોખંડી, માંડવી, રાવપુરા, દાંડિયા બજાર વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિકની ભારે સમસ્યા છે...ટ્રાફિકના કારણે લોકો ત્રાસી ગયા છે... મંગળ બજાર સહિત ચાર દરવાજા વિસ્તારમાં દબાણની પણ ભારે સમસ્યા છે...લોકોએ રોડ અને ફૂટપાથ પર દબાણ કરી દીધું છે...પાર્કિંગની કોઈ સુવિધા નથી, ત્યારે આ મામલે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેશનના શાસકો, અધિકારીઓ કોઈ જ પ્લાનિંગ નથી કરતાં..વર્ષોથી લોકોને પોતાના હાલ પર છોડી મૂક્યા છે...ત્યારે લોકો વડોદરાને રી-ઇમેજીંગ કરવાના બદલે સમસ્યાનું પહેલા નિરાકરણ થાય તેવી માંગણી કરી રહ્યા છે.

વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના અગ્રણી પરેશભાઈ પરીખે કહ્યું, કે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક, દબાણની સમસ્યા પહેલા દૂર કરવી જોઈએ, પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ બાદમાં રી-ઇમેજીંગની વાતો કરવી જોઈએ, તો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કહ્યું, જે લોકો હાલમાં સત્તામાં છે, જેમને ખબર છે કે વડોદરાનો કેવી રીતે વિકાસ કરવો છે તેમને ટીમ વડોદરા અલગથી બનાવવાની કેમ જરૂર પડી...ટીમ વડોદરા બનાવી વડોદરાને રી-ઇમેજીંગ કરવાના માત્ર લોકોને ખોટા સપના બતાવવામાં આવી રહ્યા છે...એસી ચેમ્બર, એસી હોટલમાં બેઠક કરવાના બદલે લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યા જાણી તેનું નિરાકરણ લાવવાની જરૂર છે....તો માંડવી વિસ્તારમાં રહેતા ફારુકભાઈ સોનીએ કહ્યું, કે ચાર દરવાજા વિસ્તારમાં લોકોને પીવાના પાણી, રોડ રસ્તાની સુવિધા નથી મળી રહી, ભારે દબાણો થયા છે ત્યારે વડોદરાને રી-ઇમેજીંગ કરીને શું કરશો...પહેલા વડોદરાની ગાયકવાડ શાસનની ઇમેજની જાળવણી કરવાની વધુ જરૂર છે.

વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે આજ વ્યકિતઓએ અગાઉ વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરી, શહેરમાં 24 કલાક શુદ્ધ પાણી આપવાની વાત કરી અને હવે વડોદરાની ઈમેજ બદલવાની વાત કરી રહ્યા છે...આ લોકો માત્ર મોટી મોટી વાતો કરી લોકોને જુઠ્ઠા સપના બતાવી રહ્યા છે...વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાની જવાબદારી સત્તાધીશોની છે...સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે કહ્યું કે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે, દબાણો દૂર કરવા માટે ટીમો રોજે રોજ કામગીરી કરી જ રહી છે...દરેક વ્યકિતના સહયોગથી સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે.

મહત્વની વાત છે કે એક સમયે આજ બાળુ શુક્લએ વડોદરાવાસીઓને વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવાના અને રિવરફ્રન્ટ બનાવવાના સપના બતાવ્યા હતાં. જેમાં માત્ર નાટક તાયફો કરી પાણીમાં બેસી ગયા હતા, હવે ફરીથી આજ બાળુ શુક્લએ વડોદરાની ઈમેજ બદલવાનું અભિયાન ચલાવી વડોદરાવાસીઓને અલગ અલગ સપના બતાવવાનું શરુ કર્યું છે...ત્યારે આ સપના સાકાર થશે કે તૂટશે તે આગામી સમયમાં ખબર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news