ત્રિપાંખિયો જંગ થયો તો ચૈતર વસાવા અને અહેમદ પટેલના વંશજની કારકીર્દી પતાવી દેશે ભાજપ

ભાજપ પહેલા પડાવમાં પાસ: ભરૂચ બેઠક પરથી અહેમદ પટેલના વંશજો દીકરો અને દીકરી આ બેઠક પર લોકસભા લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. દીકરો ભાજપના નેતાઓને પણ મળી આવ્યો છે. દીકરીએ એડવાન્સમાં જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે.

ત્રિપાંખિયો જંગ થયો તો ચૈતર વસાવા અને અહેમદ પટેલના વંશજની કારકીર્દી પતાવી દેશે ભાજપ

ઝી બ્યૂરો, અમદાવાદઃ 35 વર્ષથી જે બેઠક ભાજપનો ગઢ રહી છે એ બેઠક પર ભાજપને હરાવવાના સપનાં જોવાઈ રહ્યાં છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ થયો તો ચૈતર વસાવા અને અહેમદ પટેલના વંશજને ભાજપ પતાવી કારકીર્દી ડૂબાડી દેશે એ નક્કી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ તડામાર તૈયારીઓ કરી રહી છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ મહામંથન કરી રહી છે.

ભાજપનો પહેલો પડાવ પારઃ
17-18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ મોરચાના રાષ્ટ્રીય અધિકારીઓ પણ ભાગ લેશે. ગુજરાતથી ભાજપના ૭૦૦ જેટલા પદાધિકારીઓ દિલ્હી જશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ બે દિવસીય બેઠકમાં હાજર રહેશે. ગઈકાલે આપે ગુજરાતમાં લોકસભાની 2 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાતથી આપમાં ખુશીનો માહોલ છે પણ ભાજપે પહેલો પડાવ પાર કરી લીધો છે.

ભાજપ ઈચ્છે છે કે ભરૂચમાં ત્રિપાંખિયો જંગ ખેલાય. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું તો હાલમાં એન્ટિઈન્કમ્બસીના માહોલમાં ચૈતર વસાવાને ફાયદો થઈ શકે છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન બીજા રાજ્યોમાં ફેલ ગયું છે. ભરૂચ બેઠક પરથી અહેમદ પટેલના વંશજો દીકરો અને દીકરી આ બેઠક પર લોકસભા લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. દીકરો ભાજપના નેતાઓને પણ મળી આવ્યો છે. દીકરીએ એડવાન્સમાં જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે. હવે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થયું તો ભાજપ માટે તો બગાસા ખાતા પતાસું મળી જશે. 

ભરૂચ બેઠક ભાજપનો ગઢઃ
ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. રાજ્યમાં ભાજપના સૌથી મોટા આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી એક પણ ચૂંટણી હાર્યા નથી. વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર નવેમ્બર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચમાંથી જીતી રહ્યા છે. ભરૂચ શહેરની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને ગણતરીમાં લઇએ તો કોંગ્રેસને આગળ મુકવી પડે પરંતુ મુસ્લિમોનું પ્રભુત્વ હોવા છતાં છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મેદાન મારી જતું હોવાથી ભરૂચ બેઠક ભાજપનો ગઢ બની ચુકી છે. ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1951માં ચૂંટણી યોજાઇ હતી.

જેમાં કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ વિજેતા બન્યાં હતાં. 1989 બાદથી આ બેઠક પર ભાજપ વિજેતા બનતું આવ્યું છે. ભાજપના ચંદુભાઇ દેશમુખ 4 વખત, મનસુખ વસાવા 6 વખત જયારે કોંગ્રેસના અહમદ પટેલ 3 વખત વિજેતા બન્યાં છે. ભરૂચ બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, વાગરા, જંબુસર, દેડીયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે. ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત, જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી એક-એક બેઠક પણ છે. ડેડિયાપાડાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ધારાસભ્ય છે.

ડેડિયાપાડાની બેઠક પણ આ લોકસભામાં છે. વડોદરાની કરજણ બેઠક પણ આ લોકસભાનો એક ભાગ છે. સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબજો છે. ઝઘડિયા એ ભરૂચ લોકસભાના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની બેઠક પણ છે. 2022ની ચૂંટણીમાં તેઓ પહેલીવાર ચૂંટણી હારી ગયા હતા. આ બેઠક પરથી છોટુ વસાવા સાત વખત જીત્યા હતા. ચૈતર વસાવાએ તેમના રાજકારણની શરૂઆત છોટુ વસાવા સાથે કરી હતી. આ લોકસભામાં ભાજમ મનસુખ વસાવાને ટિકિટ આપે તેવી સંભાવના ઓછી હોવા છતાં ભાજપ આ બેઠક જીતવા અને કેજરીવાલને ઝટકો આપવા માટે આકાશ પાતાળ એક કરી દેશે. 

અહેમદ પટેલ જીત્યા હતા-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહી ચૂકેલા અહેમદ પટેલ એક સમયે આ બેઠક જીતીને કોંગ્રેસ નેતૃત્વની નજરમાં આવ્યા હતા. અહેમદ પટેલ 1977માં ભરૂચ લોકસભામાંથી પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો ન હતો. આવી સ્થિતિમાં સમગ્ર નેતૃત્વની નજર અહેમદ પટેલની જીત પર હતી. આ પછી અહેમદ પટેલ સતત બે વખત જીત્યા. તેઓ 1977થી 1989 સુધી સાંસદ રહ્યા હતા. તેઓ 1989ની ચૂંટણીમાં બીજેપીના ચંદુભાઈ દેશમુખ દ્વારા હાર્યા હતા. ત્યારથી આ બેઠક ભાજપ પાસે છે. 1989થી 2019 સુધી કોંગ્રેસ આ સીટ ફરી ક્યારેય જીતી શકી નથી. અહેમદ પટેલ બાદમાં રાજ્ય સભાથી સતત ચૂંટાતા આવ્યા છે.

સમય સાથે બદલાયું રાજકીય સમીકરણઃ
અહમેદ પટેલના વંશજોએ એ સમીકરણો જોવાની જરૂર છે કે એમના પિતાની હયાતીમાં પણ કોંગ્રેસે આ બેઠકને જીતવા ભારે ધમપછાડા કર્યા છે પણ છેલ્લા 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. અહીં અહેમદ પટેલના સંતાનો ચૂંટણી લડવા માગે છે. અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલની ઉંમર 39 વર્ષ છે. ફૈઝલ બિઝનેસ એન્ટ્રપ્રિન્યોર છે. તેઓ મૂળે હેલ્થકેર, શિક્ષણ અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે. તેઓએ દેહરાદૂનમાં દૂન પબ્લિક સ્કૂલથી હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે. અમેરિકાની હવાઈ પેસિફિક યુનિવર્સિટીથી તેઓએ બીબીએની ડિગ્રી લીધી છે. જેઓએ ભરૂચમાં હું તો લડીશના પોસ્ટરો લગાવ્યા હતા. અહીં અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવાના દાવાઓ કરી રહી છે. મુમતાઝના લગ્ન બિઝનેસમેન ઈરફાન સિદ્દીકી સાથે થયા છે.  અહેમદ પટેલ ગાંધી પરિવાર (Gandhi Family)ના સૌથી નજીકના અને ગાંધી પરિવારના અન્ય સભ્યો બાદ નંબર 2 માનવામાં આવતા હતા. ખૂબ જ રાજકીય કુનેહ ધરાવતા અહેમદ પટેલ લો-પ્રોફાઇલ રહેતા હતા. સાઇલન્ટ અને દરેક માટે સીક્રેટિવ હતા. રાજકારણથી દૂર તેમણે ખૂબ સાદગીથી પારિવારિક જીવન પસાર કરવું પસંદ હતું. બંનેના દાવાઓને પગલે કોંગ્રેસ તો મૂઝાઈ છે પણ અહીં કોંગ્રેસ પણ ઉમેદવાર ઉભા રાખશે તો ભાજપ વનવે જીતના માર્ગે આગળ નીકળી જશે. 

આપે ચૈતર વસાવાના નામની કરી છે જાહેરાત-
હાલમાં આદીવાસીઓમાં સરકાર સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ હોવાથી ડેડિયાપાડામાંથી ધારાસભ્ય બનેલા ચૈતર વસાવાને આપે લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. આપને આ બેઠક પર કરિશ્મા થવાની આશા છે. ચૈતર વસાવા મૂળ બીટીપીમાંથી અલગ થઈને આદીવાસી નેતા તરીકે આપમાં જોડાયા છે. આદીવાસી વિસ્તારમાં એમનું પ્રભુત્વ છતાં વિધાનસભા અને લોકસભાની બેઠકના ગણિતો અલગ હોય છે. ભરૂચ લોકસભાની 7 બેઠકોમાં 6 બેઠકો પર ભાજપનો કબજો છે. ચૈતર વસાવાને મળી રહેલું જન સમર્થન એ એમના વિસ્તાર પૂરતું છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય અને વસાવા એકલા આ બેઠક પર ભાજપ સામે લડે તો ચમત્કાર સર્જાય તેવી આશા રાખી શકાય પણ ઈન્ડિયા મહાગઠબંધનમાં જે પ્રકારે તડાં પડી રહ્યાં છે એ જોતાં ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની સંભાવના હવે ઓછી છે. આપે ભરૂચ લોકસભાની બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત પણ કરી દીધી છે. હવે કોંગ્રેસ આ બેઠક પર ગઠબંધન ધર્મ નિભાવે છે કે ઉમેદવાર ઉતારે છે એ તો આગામી સમય જ બતાવશે પણ ગુજરાત લોકસભામાં ભરૂચ બેઠક હાલમાં ચર્ચાને એરણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news