ભાજપ નથી ઈચ્છતું કે હું ખેડૂતો-યુવાનોની વાત કરું: હાર્દિક પટેલ

આજે સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિક પટેલ સભામંચ પરથી જ્યારે સંબોધન કરી રહ્યો હતો ત્યારે અચાનક એક યુવકે સ્ટેજ પર ચડી જઈને તેને જમણા ગાલ પર તમાચો મારી દીધો હતો, આ ઘટના પછી હાર્દિકે ઝી 24 કલાક સાથે સીધી વાત કરી હતી 

ભાજપ નથી ઈચ્છતું કે હું ખેડૂતો-યુવાનોની વાત કરું: હાર્દિક પટેલ

ગીર-સોમનાથઃ ગીરસોમનાથ જિલ્લાના આંકોલવાડી ગામે કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશના પ્રચાર માટે હાર્દિક પહોંચ્યો ત્યારે ઝી 24 કલાકે તેની સાતે વિશેષ વાતચીત કરી હતી. જેમાં હાર્દિકે જણાવ્યું કે, વિવિધ મુદ્દાઓ પર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પછી આ બાબત ભાજપને પસંદ ન હોય એવું લાગી રહ્યું છે. ભાજપ નથી ઈચ્છતી કે 25 વર્ષના યુવાનો પછી તે હાર્દિક હોય કે કોઈ અન્ય તે સરકાર સામે બોલે. આ સાથે જ હાર્દિકે સરકાર દ્વારા તેને સુરક્ષા પૂરી પાડવા માટે આપવામાં આવેલી ઓફર પણ ઠુકરાવી દીધી હતી. 

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, "ખેડૂતોની વાત હોય, પાક વિમો માગવો, પાણી માગવો. યુવાનો માટે શિક્ષણ, નોકરી માગવી, રોજગારી માગવી વગેરે મુદ્દે સરકારને નથી ગમતું. ગુજરાતની ભાજપ સરકાર સામે બોલાનારા લોકો પર હુમલા કરવા, ધમકી આપવી એ ભાજપની નીતિ રહી છે. ગઈકાલે લુણાવાડા સભા કરવા ગયા ત્યાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી હતી. આજે સુરેન્દ્રનગરમાં કડીથી આવેલા એક યુવાન દ્વારા મારા પર હુમલાનો પ્રયાસ કરાયો છે."

હાર્દિકે કહ્યું કે, "આવી પરિસ્થિતિમાં પણ અમે અમારો અવાજ ઉઠાવતા રહીશું. ભાજપ ગમે તેટલા હુમલા કરે, પરેશાન કરશે, રોકવાના પ્રયાસ કરે તો પણ અમે અમારો અવાજ ઉઠાવતા રહીશું."

હાર્દિકને જ્યારે પુછવામાં આવ્યું કે, તમારી સાથે ગેરવર્તણુક કરનારી વ્યક્તિ સામે તમે શું પગલા ભર્યા? હાર્દિકે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, "હું કોઈની વિરુદ્ધમાં કામ કરવા માગતો નથી. મારી સીધી લડાઈ સરકાર સાથે છે. મારે સવાલ સરકારને કરવાના હોય, જવાહરલાલ નેહરુને ન પુછવાના હોય? રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર હોય તો મારે તેમને પુછવાનું હોય, કેશુબાપાને પુછવા જવાનું ન હોય."

હાર્દિકે કહ્યું કે, "અમે સરકાર પાસે ન્યાય માગી રહ્યા છીએ. તેના બદલે સરકાર અમને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરે છે. રાજકોટમાં પણ તાજેતરમાં રેલી કાઢનારા ખેડૂતો પર લાઠી વરસાવાઈ હતી. પાટીદાર આંદોલનમાં 14-14 યુવાનોને ગોળીએ દીધા હતા."

ભાજપ એવું કહે છે કે આ અમારો માણસ નથી. હાર્દિકે કહ્યું કે, "એ વ્યક્તિ ભાજપનો જ છે. ભાજપના નેતાઓ સાથે તેના ફોટા પણ છે અને પાર્ટીએ તેને જવાબદારી પણ સોંપેલી છે."

હાર્દિકને પુછ્યું કે, આજની ઘટના પછી તમારી સુરક્ષા વધારવામાં આવી હોય કે સરકારે કોઈ ખાતરી આપી હોય એવું કંઈ બન્યું છે? હાર્દિકે તેના જવાબમાં કહ્યું કે, "શેની સુરક્ષા? આ ભાજપવાળા તો મારવા મથે છે, સુરક્ષા ક્યાંથી પૂરા પાડે."

હાર્દિકને જ્યારે પુછવામાં આવ્યું કે, તમે અહીં જ્યાં પ્રચાર કરવા આવ્યો છો ત્યારે કઈ જ્ઞાતિના લોકોનો કોંગ્રેસને ફાયદો થશે? હાર્દિકે જણાવ્યું કે, ચૂંટણીમાં જ્ઞાતિ જોવાતી નથી, પરંતુ ખેડૂતોની સમસ્યા, યુવાનોની સમસ્યા, મોંઘવારી, રોજગારી વગેરે મુદ્દા જોવામાં આવતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news