અમદાવાદના પરિવારે ડાકોર મંદિરમાં 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું કર્યું દાન

અમદાવાદના પરિવારે ડાકોર મંદિરમાં 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું કર્યું દાન
  • અમદાવાદના એક ભક્ત દ્વારા પોતાના સ્વર્ગવાસી પિતાની યાદમાં આ દાન કરાયું.
  • મંદિર પૂજારી દ્વારા આ ચેક પ્રભુની નજર સમક્ષ લઈ જઈ મંદિરના ભંડારામાં સ્વીકૃત કરાયો

યોગીન દરજી/ખેડા :યાત્રાધામ ડાકોરમાં વિજયદશમી રોજ અમદાવાદના એક શ્રદ્ધાળુ પરિવાર દ્વારા રણછોડરાયજીના ચરણોમાં 1,11,11,111 નું દાન અર્પણ કરાયું છે. ડાકોર મંદિરમાં પહેલીવાર આટલી મોટી રોકડ દાનમાં આવી છે.  અમદાવાદના એક ભક્ત દ્વારા પોતાના સ્વર્ગવાસી પિતાની યાદમાં આ દાન કરાયું છે. 

અમદાવાદના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ રાજુભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વ.રાજુભાઈ સોમાભાઈ પટેલની યાદમાં આ માતબર રકમનો ચેક મંદિરમાં રણછોડરાય પ્રભુના ચરણો અર્પણ કર્યા હતો. મંદિર પૂજારી દ્વારા આ ચેક પ્રભુની નજર સમક્ષ લઈ જઈ મંદિરના ભંડારામાં સ્વીકૃત કરાયો હતો.

આ પ્રસંગે ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ જોષી, અરુણભાઈ મહેતા, મંદિરના મેનેજર અરવિંદભાઈ મહેતા અને જગદીશભાઈ દવે ઉપરાંત મંદિરના સેવક પૂજારી આગેવાનો ઉપરાંત અમૂલ ડેરી ચેરમેન રામસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડાકોર મંદિરમાં અનેકવાર લોકો સોના, ચાંદી અને દાગીનાનું દાન કરતા હોય છે. પરંતુ ચેક દ્વારા આટલી રકમ પહેલીવાર મળી હોવાનું મંદિરમાંથી જાણવા મળ્યું. અનેક દાતાઓ છુપી રીતે પણ મંદિરમાં દાન કરતા હોય છે. જેઓ મંદિરમાં દાનની રકમ કે વસ્તુ મૂકીને જતા રહેતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news