આ કેવી દાદાગીરી? આધાર કાર્ડ નહીં તો દવા નહીં, અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરનો આ કેવો નિયમ?

જો તમે માંદા પડો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં જાઓ તો આધાર કાર્ડ સાથે રાખજો કારણ કે AMCના અર્બન હેલ્થ સેન્ટર આધાર કાર્ડ વગર દવા નથી કરતાં.

આ કેવી દાદાગીરી? આધાર કાર્ડ નહીં તો દવા નહીં, અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરનો આ કેવો નિયમ?

ઝી બ્યુરો/અમદાવાદ: આધાર કાર્ડ ફરજિયાત નથી, આ અમે નથી કહી રહ્યા પરંતુ દેશની સૌથી મોટી સુપ્રીમ કોર્ટે આદેશ કરેલો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓને કદાચ આ ખબર નથી લાગતી. તેથી જ તેઓ દર્દીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે. સરકાર અને સરકારી તંત્રએ આધાર કાર્ડ જનતા પર ઠોસી બેસાડ્યું છે. અમદાવાદના વટવામાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર દર્દીઓને આધાર કાર્ડની ફરજ પાડે છે. જે દર્દી પાસે આધાર નથી તેની દવા પણ અહીંના ડૉક્ટર કરતાં નથી. ત્યારે જુઓ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં થયેલા મોટા ખુલાસાનો આ ખાસ અહેવાલ.

  • આધાર કાર્ડ કોણે ફરજિયાત બનાવ્યું?
  • શું આધાર કાર્ડ ન હોય તો દવા નહીં કરવાની?
  • અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં આવો તો કેવો નિયમ?
  • આધાર કાર્ડ ન હોય તો દર્દીઓને ઘરે કેમ મોકલ્યા?
  • સુપ્રીમ કોર્ટથી પણ ઉપર છે અમદાવાદ કોર્પોરેશન?

જો તમે માંદા પડો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં જાઓ તો આધાર કાર્ડ સાથે રાખજો કારણ કે AMCના અર્બન હેલ્થ સેન્ટર આધાર કાર્ડ વગર દવા નથી કરતાં. જો તમારી પાસે આધાર કાર્ડ નહીં હોય તો તેમને તપાસ્યા વિના જ ડૉક્ટર ઘરે મોકલી દેશે એટલે કે તમારી કોઈ જ સારવાર નહીં થાય. ખબર નહીં અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ આ નિયમ કેવી રીતે લાવ્યા? કોની મંજૂરીથી આધાર ફરજિયાતનો નિયમ ઠોકી બેસાડ્યો? ZEE 24 કલાકની ટીમ જ્યારે વટવામાં આવેલા નારોલ અર્બન હેલ્થ સેન્ટરમાં પહોંચી તો અમને એવા અનેક દર્દી મળ્યા જે દવા વગર જ પરત ફરી રહ્યા હતા. તેમનો વાંક માત્ર એટલો હતો કે તેઓ આધાર કાર્ડ ઘરે ભૂલી ગયા હતા. આધાર નહતું તો તેમની દવા કરવાનો અર્બન હેલ્થ સેન્ટરે ઈન્કાર કરી દીધો.

AMCનું આરોગ્ય તંત્ર કેટલું બેદરકાર અને નિષ્ઠુર છે તેનો જીવતો દાખલો પણ જોવા મળ્યો. હાલ ચાંદીપુરા વાયરસથી હાહાકાર છે, પરંતુ AMCના અર્બન હેલ્થ સેન્ટરને બાળકની દવા કરવામાં પણ કોઈ રસ નથી.. હીના પરમાર નામની મહિલા પોતાના બાળકને લઈને અર્બન હેલ્થ સેન્ટર પહોંચી હતી. લાંબો સમય સુધી તેઓ લાઈનમાં ઉભા રહ્યા. જ્યારે નંબર આવ્યો તો આધાર કાર્ડ માંગ્યું. હિના પરમાર આધાર કાર્ડ લાવ્યા ન હતા...તો તેમના બાળકની દવા કરવાનો ડૉક્ટરે ઈન્કાર કરી દીધો. આધાર નહીં હોય તો અમે તપાસ નહીં કરીએ તેવો જવાબ આપ્યો.

દર્દીઓની ફરિયાદો અને ઝી 24 કલાકે કરેલા રિયાલીટી ચેકમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, ટાર્ગેટ પુરો કરવા માટે અર્બન હેલ્થ સેન્ટરો આધાર કાર્ડ ફરજિયાત માગી રહ્યા છે. ત્યારે આ મામલે જ્યારે અમે વટવાના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરનો સંપર્ક કર્યો...અને તેમની સાથે વાતચીત કરી તો તેમણે જાતભાતના ગતકડાં કર્યા. ગોળગોળ જવાબ આપીને પોતાનો લુલો બચાવ કર્યો.

હાલ ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદની સિઝનમાં બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે, તો ચાંદીપુરા નામના વાયરસે પણ ભરડો લીધો છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોને લોકોની દવા કરવાની જગ્યાએ આધાાર કાર્ડની પડી છે. આધાર હોય તો જ તેઓ દર્દીની તપાસ કરીને દવા આપે છે. પરંતુ AMCએ એટલું સમજી લેવું જોઈએ કે તમે આધારના નામે દર્દીઓને આવી રીતે હેરાન ન કરી શકો. કારણ કે આધાર કાર્ડ ફરજિયાત નથી, ફરજિયાત તો તમે કર્યું છે. 

  • અર્બન હેલ્થ સેન્ટરમાં કોણે આધાર કાર્ડ કર્યું ફરજિયાત?
  • જેની પાસે આધાર નહીં તેની દવા પણ નહીં
  • AMCના UHCની આ કેવી દાદાગીરી?
  • અનેક દર્દીઓ દવા વગર જ પરત ફર્યા 
  • આવી ખરાબ સિઝનમાં પણ UHC આટલું બેદરકાર?
  • વટવાના અર્બન હેલ્થ સેન્ટરની ખુલ્લી દાદાગીરી

ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી

એટલે કે તમે પોતાના ટાર્ગેટ પુરા કરવા માટે ગરીબ દર્દીઓને જે રીતે હેરાન કરો છો તે જરા પણ ચલાવી નહીં લેવાય. ઝી 24 કલાક આ મામલે સતત અવાજ ઉઠાવતું રહેશે અને જ્યાં પણ તમારા આ ગતકડાં જોવા મળ્યા તેનો પર્દાફાશ અમે કરતાં રહીશું અને તમને ખુલ્લા પાડીશું...તો આપ ત્વરિત આ પોતાના ઘરનો નિયમ બંધ કરીને લોકોની સાચી સેવા કરશો તેવી આશા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news