...તો હું આજે જીવતી ન હોત! 65 વર્ષીય વૃદ્ધા પર શ્વાને કર્યો જીવલેણ હુમલો, જણાવી દર્દનાક કહાની

વડોદરાના નિઝામપુરામાં આવેલા અમર પાર્કમાં રહેતા 65 વર્ષના અલ્પનાબેન ભટ્ટ ત્રણ દિવસ પહેલા અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ વડોદરા પરત ફર્યા હતા, તે દરમિયાન રાત્રે પોણા ત્રણ વાગે નટરાજ સોસાયટી પાસેથી તેવો ચાલતાં ઘરે જતા હતા..

...તો હું આજે જીવતી ન હોત! 65 વર્ષીય વૃદ્ધા પર શ્વાને કર્યો જીવલેણ હુમલો, જણાવી દર્દનાક કહાની

રવિ અગ્રવાલ/વડોદરા: રખડતાં ઢોર બાદ હવે રખડતાં કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. 65 વર્ષના વૃદ્ધા પર કૂતરાઓએ હુમલો કરતાં વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ICUમાં ખસેડવા પડ્યા છે.

વડોદરાના નિઝામપુરામાં આવેલા અમર પાર્કમાં રહેતા 65 વર્ષના અલ્પનાબેન ભટ્ટ ત્રણ દિવસ પહેલા અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ વડોદરા પરત ફર્યા હતા, તે દરમિયાન રાત્રે પોણા ત્રણ વાગે નટરાજ સોસાયટી પાસેથી તેવો ચાલતાં ઘરે જતા હતા તે સમયે એકાએક ત્રણ કૂતરાઓએ તેમના પર હુમલો કર્યો. હુમલામાં અલ્પનાબેન ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા. જેમાં કૂતરાઓએ અલ્પનાબેન ભટ્ટના હાથ, પગ અને છાતીના ભાગે અનેક બચકા ભર્યા. જેથી અલ્પનાબેન ભટ્ટને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા બાદમાં છાણી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અલ્પનાબેન ભટ્ટએ કહ્યું કે, કૂતરાઓએ બચકા ભરતાં મેં બૂમાબૂમ કરી જેથી ચિરાગ ઠક્કર નામના વ્યક્તિએ આવીને મારો જીવ બચાવ્યો હતો. ચિરાગ ઠક્કરએ મારો જીવ ન બચાવ્યો હોત તો હું આજે જીવતી ન હોત. તો અલ્પનાબેન ભટ્ટના બહેને કોર્પોરેશન પાસે કૂતરાઓનો ત્રાસ ઓછો કરવા વિનંતી કરી. તો અલ્પનાબેન ભટ્ટની સારવાર કરનાર તબીબ ભરત રાવલે કહ્યું કે ખૂબ ગંભીર રીતે કૂતરાઓએ હુમલો કર્યો છે, શરીર પર મલ્ટીપલ ઇજાઓના નિશાન છે. બે દિવસ ઑક્સિજન સાથે અલ્પનાબેન ભટ્ટને ICUમાં રાખવા પડ્યા. પણ હાલમાં અલ્પનાબેન ભટ્ટની સ્થિતિ સુધારા પર છે.

નટરાજ સોસાયટી અને તેની આસપાસની સોસાયટીમાં રહેતા લોકોમાં કોર્પોરેશન સામે ભારે રોષ છે. સ્થાનિકો કહે છે કે કૂતરાઓનો એટલો ભય છે લોકોમાં કે રાતના સમયે ઘરની બહાર જ નીકળતા નથી. સમગ્ર મામલે કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કોર્પોરેશનના સત્તાધીશો સામે આક્ષેપ કર્યા. સાથે જ કોર્પોરેશનની ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર થતી હોવાનો પણ આક્ષેપ કર્યો. 

કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલે ઘટનાને કમ-નસીબ ઘટના ગણાવી. સાથે જ આવનારા સમયમાં પેટ ડોગ પર કામ કરતાં ડોકટરોના ટીમની એક બેઠક કોર્પોરેશન બોલાવશે તેમજ સ્ટ્રીટ ડોગને કઈ રીતે કંટ્રોલ કરી શકાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આગામી સમયમાં કોર્પોરેશન એનિમલ કંટ્રોલ એરિયા પ્રમાણે ડોગ કંટ્રોલ એરિયા બનાવવાનો પણ પ્લાન કરી રહી છે.

વડોદરામાં કૂતરાઓનો ત્રાસ ખૂબ વધ્યો છે, ત્યારે કોર્પોરેશન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપી હમેશાં હાથ ખંખેરી લે છે. પણ રખડતાં કૂતરાઓનો ત્રાસ કેવી રીતે ઓછો થઈ શકે તે દિશામાં કોઈ નક્કર પગલાં નથી ભરતું. ત્યારે શું રખડતાં કૂતરાઓના ત્રાસથી નાગરિકોને મુક્તિ મળશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news