ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ, મયંકે રજૂ કર્યો વનડેનો દાવો

મયંક અગ્રવાલે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે. પોતાની બેટિંગના દમ પર તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. 
 

ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ, મયંકે રજૂ કર્યો વનડેનો દાવો

નવી દિલ્હીઃ મયંક અગ્રવાલની (mayank agarwal) ટેસ્ટ મેચોમાં (test cricket) આક્રમક બેટિંગથી તેના માટે નિર્ધારિત ઓવરોની ટીમમાં (Odi Team) પસંદગીનો દરવાજો ખુલી શકે છે અને આ ઓપનિંગ બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝ (WI) વિરુદ્ધ આગામી મહિને રમાનારી સિરીઝ માટે ટીમમાં જગ્યા બનાવી શકે છે. ક્રિકેટ પંડિતોનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ એકદિવસીય મેચોની સિરીઝમાં જો વાઇસ કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) આગામી વર્ષે શરૂ થતાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલા આરામ આપવામાં આવે છે તો ફરી અગ્રવાલ સારો વિકલ્પ હોઈ શકે છે. રોહિત પાછલા ઘણા સમયથી સતત રમી રહ્યો છે અને તેણે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચોમાં તક ન મળી પરંતુ તે ટીમમાં સામેલ હતો. 

ભારતીય વાઇસ કેપ્ટન ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો ખેલાડી હશે. આ પ્રવાસમાં ભારતે પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સીમિત ઓવરોની મેચોમાં અગ્રવાલ એક વિકલ્પ હોઈ શકે છે, જેણે લિસ્ટ એમાં અત્યાર સુધી 50થી વધુની એવરેજ અને 100થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. 

શિખર ધવન લાંબા સમયથી ખરાબ ફોર્મમાં છે તથા કેએલ રાહુલ સિવાય એક અન્ય વિકલ્પ તૈયાર રાખવાની જરૂરથી પણ અગ્રવાલના પક્ષમાં મામલો બની શકે છે. અગ્રવાલને વિશ્વકપ દરમિયાન અંતિમ મેચો માટે ઈજાગ્રસ્ત વિજય શંકરના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને ટૂર્નામેન્ટમાં રમવાની તક ન મળી પરંતુ તેનાથી સંકેત મળ્યો કે કર્ણાટકનો આ બેટ્સમેન પોતાની આક્રમક રમતને કારણે સીમિત ઓવરોની યોજનામાં સામેલ છે. 

જાણકારોનું માનવું છે કે ભારતમાં 2023મા રમાનારા વિશ્વકપને ધ્યાનમાં રાખતા અગ્રવાલ લાંબી રેસનો ઘોડો બની શકે છે કારણ કે બની શકે સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ ધવન ત્યારે ટીમમાં ન હોય. પૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ વિશ્લેષક દીપ દાસગુપ્તાને અગ્રવાલને નાના ફોર્મેટમાં અજમાવવાને લઈને કંઇ ખોટુ જોવા મળી રહ્યું નથી અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝ તેના માટે યોગ્ય મંચ હોઈ શકે છે. 

દાસગુપ્તાએ કહ્યું, 'તે સારૂ હશે જો ભારતીય ટીમ મેનેજમેન્ટના મગજમાં ઓપનિંગ બેટ્સમેનના વિકલ્પ તરીકે મયંકનું નામ હોય. હકીકતમાં તે સફેદ બોલનો નૈસર્ગિક ખેલાડી છે, જેણે સારી રીતે પોતાની રમતને લાલ બોલની ક્રિકેટને અનુકૂળ ઢાળી છે.'

તેમણે કહ્યું, 'જો તમે મયંક પર નજર કરો તો તેની પ્રતિભા પર ક્યારેય સવાલ ઉઠ્યા નથી. તેની પાસે તમામ પ્રકારના શોટ છે. પૂર્વમાં તે શરૂઆતમાં ઝડપથી રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવી દેતો હતો પરંતુ હવે તેમ નથી.' અગ્રવાલે પોતાના ટેસ્ટ કરિયરની શાનદાર શરૂઆત કરી છે તથા માત્ર 8 ટેસ્ટ મેચોમાં તેના નામ પર બે બેવડી સદી નોંધાઇ ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news