વિશ્વકપ 2019ની ટીમમાં રહાણે-વિજય શંકર અને પંતને મળી શકે છે તક

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરે વિશ્વકપ માટે ખેલાડીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

વિશ્વકપ 2019ની ટીમમાં રહાણે-વિજય શંકર અને પંતને મળી શકે છે તક

નવી દિલ્હીઃ અખિલ ભારતીય પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદનું કહેવું છે કે રિષભ પંત, વિજય શંકર અને અંજ્કિય રહાણે વિશ્વકપ માટે પસંદ થનારી ભારતીય ટીમમાં હોઈ શકે છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ભારતને ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પ્રસાદે સ્વીકાર્યું કે પંતે શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી છે અને વિજયની બેટિંગે વિશ્વકપ માટે પસંદ થનારી ટીમને એક નવો વિકલ્પ આપ્યો છે. 

એક ન્યૂઝ વેબસાઇટે પ્રસાદના હવાલાથી જણાવ્યું, ચોક્કસ પણે પંત રેસમાં છે. તેણે પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી છે જે એક સારી વાત છે. છેલ્લા એક વર્ષમાં રમતના તમામ ફોર્મેટમાં પંતનું પ્રદર્શન દમદાર રહ્યું છે. અમને થયું કે, તેને પરિપક્વ થવાની જરૂર છે તેથી અમે તેને ઈન્ડિયા-એની દરેક સંભવિત સિરીઝમાં સામેલ કર્યો. પંતે 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ માત્ર ત્રણ વનડે રમી પરંતુ ટેસ્ટ ક્રિકેટ અને ઈન્ડિયા-એ તરફથી કરાયેલા શાનદાર પ્રદર્શનની પ્રસાદે પ્રશંસા કરી હતી.

વિશ્વકપ માટે પંતને ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે સામેલ કરી શકાય છે, કારણ કે મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકના રૂપમાં પસંદગીકારો પાસે વિકેટકીપરનો વિકલ્પ પહેલાથી જ છે. બીજીતરફ ઓલરાઉન્ડર વિજય શંકરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં નંબર ત્રણ પર શાનદાર પ્રદર્શન કરતા ટીમમાં પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. 

પ્રસાદે કહ્યું, જેટલી પણ તક મળી તેમાં વિજય શંકરે દેખાડ્યું કે, તેની પાસે આ સ્તર પર રમવાની ક્ષણતા છે. અમે છેલ્લા બે વર્ષથી ઈન્ડિયા-એના દરેક પ્રવાસના માધ્યમથી સારો ખેલાડી બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ પરંતુ અમારે તે જોવાનું છે કે, તે ટીમમાં કઈ રીતે ફિટ થશે. રહાણે પર પ્રસાદે કહ્યું, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે વિશ્વકપ માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news