WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે   

WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી તે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં યોગની સાથે-સાથે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી આધુનિક જીવનશૈલી સાથે જોડાયેલા રોગો અંગે માહિતી આપશે. આ મોબાઈલ એપને આગામી યોગ દિવસ 21 જૂનના રોજ લોન્ચ કરવાની યોજના છે. 

દેશભરમાં ખુલી રહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને પણ આ એપ્લિકેશન સાથે જોડવામાં આવશે, જેથી આયુષ મંત્રાલયના સાડાબાર હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સુધી લોકોની પહોંચ બની શકે. 

આ એપ્લિકેશનમાં દરેક પ્રકારના યોગાસન ઉપરાંત ડાયાબિટી સાથે જોડાયેલા ભારતીય વૈજ્ઞાનિકોનાં સંશોધન BGR-34 સહિત આયુર્વેદિક દવાઓની માહિતી મળશે. CSIRના વૈજ્ઞાનિકોએ હિમાચલની 500 ઔષધિઓ પર સંશોધન કર્યા પછી આ દવા તૈયાર કરી છે. આ ઉપરાંત હૃદય સાથે સંબંધિત બીમારીઓથી કેવી રીતે બચી શકાય, તેના અંગેની માહિતી પણ આ એપ્લિકેશનમાં મળી રહેશે. 

કેન્દ્ર સરકારની નવી દિલ્હી ખાતેની મોરારજી દેસાઈ યોગ ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર અને આયોજન સમિતિ સાથે જોડાયેલા ડો. બી.એસ. રેડ્ડીએ જણાવ્યું કે, WHOએ પ્રથમ વખત આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ અંગે કરાર કર્યો છે. તેમની સંસ્થાનો પણ WHO સાથે કરાર થયો છે. મોબાઈલ એપ્લિકેશનની મદદથી યોગના તમામ આસન અંગે લોકોને વિસ્તારપૂર્વક જણાવામાં આવશે. આ ઉપરાંત ડાયાબિટિસ, હૃદય સંબંધિત બીમારીઓ, હાઈપરટેન્શન બીમારી અને તેમના આયુર્વેદિક ઉપચાર અંગે પણ આ એપ્લિકેશનમાંથી લોકોને માહિતી મળી રહેશે. 

ડો. રેડ્ડીના અનુસાર, પીએમ મોદીની પહેલ પછી આયુષ મંત્રાલયના એનિમેટિડ યોગ વીડિયોનું સારું પરિણામ જોવા મળી રહ્યું છે. આથી, તમામ યોગાસનને એનીમેટેડ વીડિયો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

આયુષ મંત્રાલયના અનુસાર, 21 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 30 હજાર લોકો રાંચીમાં યોગ કરશે. આયુષ મંત્રી શ્રીપદ નાઈકે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આયુષ ડોક્ટરની નિમણુક કરવાની પણ કેન્દ્રની યોજના છે. 

2016માં રાજસ્થાનના ભીલવાડા, ગુજરાતના સુરેન્દ્રનગર અને બિહારના ગયામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો પાઈલટ પ્રોજેક્ટ ચલાવાયો હતો. આ જિલ્લાઓમાં BGR-34 જેવી દવાઓ સાથે દર્દીઓનો ઈલાજ કરાયો હતો, જેની સફળતા પછી સરકારને આ નિર્ણય લીધો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news