ગડકરીના નિવેદનથી રાજકીય ભૂકંપ, ઓવૈસી બોલ્યા-'પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે'

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપેલા એક નિવેદનથી રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે.

ગડકરીના નિવેદનથી રાજકીય ભૂકંપ, ઓવૈસી બોલ્યા-'પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે'

નવી દિલ્હી: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપેલા એક નિવેદનથી રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે. રવિવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું કે સપના દેખાડનારા નેતાઓ લોકોને સારા લાગે છે પરંતુ દેખાડેલા સપના જો પૂરા ન કરવામાં આવે તો જનતા તેમની પીટાઈ પણ કરી નાખે છે, આથી સપના એ જ બતાવો જે પૂરા થઈ શકે. હું સપના દેખાડનારામાંથી નથી. હું જે બોલુ છું તે 100 ટકા પૂરું થાય છે. 

તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગડકરીના નિવેદન પર નિશાન સાધતા એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૌસીએ કહ્યું કે તેઓ પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે. જેવું ગડકરીનું આ નિવેદન સામે આવ્યું કે બધાએ તેના પોત પોતાની રીતે અર્થ તારવવાના શરૂ કરી દીધા છે. આ અગાઉ પણ તેમના સારા દિવસો પરનું નિવેદન પાર્ટી માટે મોટી મુસિબત બન્યું હતું.

આ અગાઉ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની હાર બાદ પાર્ટીના ભાજપના પૂર્વ અધ્યક્ષ ગડકરીએ નિવેદન આપ્યું હતું કે પાર્ટીના નેતૃત્વએ હાર અને નિષ્ફળતાઓને સ્વીકારવા જોઈએ. આ નિવેદન બાદ મોટો હોબાળો મચ્યો હતો. જો કે તેમણે ત્યારબાદ કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ તારવવામાં આવ્યો છે. અનેક લોકોએ આ નિવેદન પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે ગણાવ્યું હતું. ત્યારબાદ મોદીના સ્થાને ગડકરીને લાવવાની માંગણી થવા લાગી હતી. 

ગડકરીને નાયબ વડાપ્રધાન બનાવવાની માગ
મહારાષ્ટ્રના પ્રમુખ ખેડૂત નેતા કિશોર તિવારીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને પત્ર લખીને મોદીના સ્થાને ગડકરીને  લાવવાની માગણી કરી. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા સંઘપ્રિય ગોતમ પણ જાન્યુઆરીમાં જ ગડકરીને નાયબ વડાપ્રધાન બનાવવાની માગણી કરી ચૂક્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news