તાજમહેલમાં બહારના લોકો નમાજ અદા કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે તાજમહેલમાં બહારના લોકોને નમાજ અદા કરવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

તાજમહેલમાં બહારના લોકો નમાજ અદા કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજમહેલમાં બહારના લોકોને નમાજ અદા કરવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે આ મામલે સુનાવણીની કોઈ જરૂર નથી. અરજીમાં કહેવાયું હતું કે તાજમહેલમાં આગરાના લોકોને જુમ્માના દિવસે નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી. જો કે તાજમહેલમાં સ્થાનિક લોકો નમાજ અદા કરે છે. 

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી તાજમહેલને લઈને નેતાઓના અનેક પ્રકારના નિવેદનો આવી રહ્યાં છે. ભાજપ અને હિન્દુ સંગઠન સાથે જોડાયેલા નેતાઓ તાજમહેલને શિવ મંદિર ગણાવી રહ્યાં છે જ્યારે મુસ્લિમ પક્ષ તેનો વિરોધ કરી રહ્યાં છે. વિવાદો વચ્ચે ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેઓ તાજમહેલના સ્વામિત્વ પર દાવો કરશે નહીં. 

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) તરફથી હાજર રહેલા વકીલ એ ડી એન રાવને નિર્દેશ લેવાનું જણાવતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર તથા ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની પેનલે કહ્યું કે બોર્ડ દ્વારા એકવાર સ્મારક પર પોતાના અધિકારનો દાવો કરાયા બાદ આ મુદ્દે નિર્ણય કરવો પડશે. 

પેનલે કહ્યું કે તમે એકવાર સ્મારકને જો વક્ફની સંપત્તિ તરીકે રજિસ્ટર કરાવી તો તમારું નિવેદન કે તમે દાવો નહીં કરો તે મદદ કરશે નહીં. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 27 જુલાઈના રોજ હાથ ધરવાના નિર્દેશ આપ્યાં. આ પહેલા સુનાવણીમાં 11 એપ્રિલના રોજ સુપ્રીમે વક્ફ બોર્ડને મુઘલ શાસક શાહજહાંના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ પોતાના દાવાના સમર્થનમાં રજુ કરવાનું કહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news