પ્રયાગરાજમાં પથ્થરમારો-આગચંપી, જુમાની નમાઝ બાદ બબાલ, સીએમએ આપ્યા કાર્યવાહીના આદેશ

Stone Pelting In Prayagraj: પયગંબર સાહબને લઈને અપાયેલા એક નિવેદન મુદ્દે આજે જુમાની નમાઝ બાદ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં બબાલ ચાલી રહી છે. પ્રયાગરાજમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલ પથ્થરમારો થઈ રહ્યો છે.

પ્રયાગરાજમાં પથ્થરમારો-આગચંપી, જુમાની નમાઝ બાદ બબાલ, સીએમએ આપ્યા કાર્યવાહીના આદેશ

Stone Pelting In Prayagraj: ભારતના અનેક શહેરોમાં જુમાની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. એક તરફ દિલ્હીની જામા મસ્જિદ બહાર ભારે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો બીજીતરફ ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં પણ જુમાની નમાઝ બાદ મોટી સંખ્યામાં નમાઝી ભેગા થયા હતા. પ્રયાગરાજમાં જુમાની નમાઝ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી બબાલ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા બદમાશો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

પ્રયાગરાજમાં પોલીસ પર પથ્થરમારો
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલ સ્થિતિ બેકાબુ બની રહી છે. ત્યારે પ્રયાગરાજમાં સ્થિતિ પર કાબુ મેળવવા માટે વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી રહી છે. ડીજીપી ડીએસ ચૌહાણ, એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર અને અપર મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થી લખનઉ પોલીસ હેડ ક્વોર્ટર કંટ્રોલ રૂમાં હાજર છે. પ્રયાગરાજમાં થોડા થોડા સમયના અંતરે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. આગચંપી પણ કરવામાં આવી છે. પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.

પોલીસ દ્વારા છોડાયા ટીયર ગેસના સેલ
પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં જુમાની નમાઝ અદા કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો ભેગાય થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસ તમામને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી, તે દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી સતત પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. લગભગ એક કલાક સુધી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારો થતા પોલીસે પાછા હટવું પડ્યું હતું. તો બીજીતરફ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.

— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 10, 2022

દિલ્હીની જામા મસ્જિદ બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શન
જુમાની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ મામલે લોકો પૂર્વ બીજેપી નેતા નુપુર શર્માની ધરપકડની માંગણી કરી રહ્યા છે. આ મામલે જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે મસ્જિદમાં વિરોધ પ્રદર્શન માટે કોઈ આહ્વાન કરાયું નહતું. આ વાત અમે ગુરુવારે જ સ્પષ્ટ કરી દીધી હતી. વિરોધ કરનારા કોણ છે એ અમે જાણતા નથી. મને લાગે છે કે AIMIM ના કે ઓવૈસીના લોકો હોઈ શકે છે. અમે સ્પષ્ટ કરી દીધુ હતું કે જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. પરંતુ અમે તેમનું સમર્થન કરીશું નહીં. આ મામલે દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે નુપુર શર્મા અને નવીનકુમાર જિંદાલના નિવેદનોના વિરોધમાં જામા મસ્જિદ પરિસરમાં ભેગા થયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમે ત્યાંથી લોકોને હટાવી દીધા છે. સ્થિતિ હવે કાબૂમાં છે.

બંગાળમાં પણ નમાજ બાદ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં પણ અનેક જગ્યાએ નમાઝ બાદ વિરોધ પ્રદર્શનના અહેવાલો છે. હાવડા અને કોલકાતામાં નમાઝ બાદ લોકોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. હાવડામાં લોકોએ ટ્રાફિક જામ કરી દીધો. 

જમ્મુ અને કાશ્મીરમાં પણ પ્રદર્શન

જમ્મુ અને કાશ્મીરમાં પણ જુમાની નમાઝ બાદ વિરોધ પ્રદર્શનના અહેવાલ છે. શ્રીનગરના લાલચોક ઉપર પણ લોકોએ નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 

અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસે નુપુર શર્મા, અસદુદ્દીન ઓવૈસી, સબા નકવી સહિત 33 લોકો વિરુદ્ધ હેટ સ્પીચ મામલે કેસ દાખલ કર્યો છે. નુપુર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ એફઆઈઆર નોંધાઈ છે. બીજી બાજુ નુપુર શર્માને મારી નાખવાની ધમકીઓ મળ્યાની ફરિયાદ બાદ તેમની સુરક્ષા પણ વધારાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news