કલમ 370: SCએ યેચુરીને કાશ્મીર જવાની મંજૂરી તો આપી પરંતુ મૂકી 'આ' શરત

સુપ્રીમ કોર્ટે માકપા નેતા સીતારામ યેચુરીને પોતાની પાર્ટીના એક નેતા મોહમ્મદ યુસુફ તરંગિનીને મળવા માટે કાશ્મીર જવાની મંજૂરી આપી.

કલમ 370: SCએ યેચુરીને કાશ્મીર જવાની મંજૂરી તો આપી પરંતુ મૂકી 'આ' શરત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરાઈ છે. અનેક સંગઠનો અને વ્યક્તિઓએ મૌલિક અધિકારો અને માનવાધિકારોનો હવાલો આપતા આ અરજીઓ દાખલ કરાઈ છે. આ બધાની એક સાથે સુનાવણી હાથ ધરતા પહેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જામિયા મિલિયા ઈસ્લામિયાના કાયદાના વિદ્યાર્થી મોહમ્મદ અલીમ સૈયદને અનંતનાગમાં તેમના માતા પિતાને મળવાની મંજૂરી અપાઈ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને અલીમ સૈયદની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહ્યું.

આ જ રીતે સુપ્રીમ કોર્ટે માકપા નેતા સીતારામ યેચુરીને પોતાની પાર્ટીના એક નેતા મોહમ્મદ યુસુફ તરંગિનીને મળવા માટે કાશ્મીર જવાની મંજૂરી આપી. હકીકતમાં સીતારામ યેચુરી તરફથી તેમના વકીલે કહ્યું કે હું મારી પાર્ટીના બીમાર પૂર્વ વિધાયકને મળી શક્યો નહીં. મને એરપોર્ટથી પાછો મોકલી દેવાયો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આદેશ આપીએ  છીએ કે તમે જાઓ. ફક્ત તમારા મિત્રને મળવા માટે, તેમના હાલચાલ જાણવા માટે, પછી પાછા આવી જાઓ. બીજી કોઈ ગતિવિધિ ન કરો. આ સાથે જ બાકીની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. મામલો સર્વોચ્ચ અદાલતે 5 જજની બંધારણીય બેન્ચને મોકલી દીધો છે. આ અંગે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી તેના પર સુનાવણી હાથ ધરાશે. 

જમ્મુ અને કાશ્મીરમાં મીડિયા પર લાગેલા પ્રતિબંધો અંગે પણ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. 7 દિવસમાં સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે. 

વાત જાણે એમ છે કે એક વકીલ તરફથી દાખલ કરાયેલી અરજીઓમાં કલમ 370 અને કલમ 35એને લઈને બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સરકાર આ પ્રકારે કામ કરીને દેશમાં પોતાનું ધાર્યું કરી રહી છે. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે અને કેન્દ્રએ સંસદીય માર્ગ અપનાવવો જોઈએ. આ બાજુ કાશ્મીર ટાઈમ્સના એક્ઝીક્યુટીવ એડિટર અનુરાધા ભસીને પણ અરજી કરી છે. કલમ 370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવવાની માગણી કરાઈ છે. 

જુઓ LIVE TV

ગત 16 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને છ અરજીઓ દાખલ થઈ છે. પરંતુ તેમાંથી ચાર હજુ પણ દોષપૂર્ણ છે અને આ મુદ્દે તે અરજીકર્તાની ગંભીરતાને દર્શાવે છે. કોર્ટે કહ્યું કે તમામ અરજીઓ એકસાથે સુનાવણી કરાશે. તમામ અરજીઓમાં ડિફેક્ટ દૂર થયા બાદ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડીને જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને સમાપ્ત કરી હતી. એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવાયા. કલમ 370 ખતમ કરવાનો પ્રસ્તાવ સંસદના બંને સદનોમાં ભારે બહુમતથી પસાર થયા બાદ સુરક્ષા કારણોસર કેટલાક આગોતરા પગલાં પણ લેવાયા હતાં. 

આ અગાઉ કલમ 370 હટાવાયા બાદ સતત કાશ્મીરમાં કરફ્યુ, ફોન લાઈન, મોબાઈલ ઈન્ટરનેટ, ન્યૂઝ ચેનલ બંધ હોવા જેવી વાતોને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે તત્કાળ કોઈ આદેશ આપવાની ના  પાડી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકારને હાલાત સામાન્ય કરવા માટે સમય આપવો જોઈએ. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 2 અઠવાડિયા માટે ટાળી હતી. આ અરજીમાં માગણી કરાઈ હતી કે 370 હટ્યા બાદ જે વિપક્ષા દળોના નેતાઓની ધરપકડ કરાઈ છે તેમને છોડી મૂકવામાં આવે. આ સાથે જ કાશ્મીરમાં વર્તમાન હાલાત માટે એક જ્યૂડિશિયલ કમીશન બનાવવાની પણ માગણી કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે હવે જ્યારે કલમ 370 હટી ગઈ છે અને ભારતનું બંધારણ લાગુ થઈ ગયું છે તો સતત કરફ્યુ અને સેવાઓ બંધ થવી એ બંધારણની કલમ 19 અને 21નો ભંગ છે. જો કે અરજીકર્તા તહસીન પૂનાવાલાએ કલમ 370 હટાવવાનો વિરોધ નહતો કર્યો. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news