પુતિને PM મોદીની કરી પ્રશંસા, ગણાવ્યા સાચા 'દેશભક્ત', જાણો શું કહ્યું?

Vladimir Putin praises PM Modi:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટછૂટા વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને સાચા દેશભક્ત પણ ગણાવ્યાં. આ સાથે જ મોદી સરકારની વિદેશ નીતિને પણ બિરદાવી. જાણો બીજું શું કહ્યું?

પુતિને PM મોદીની કરી પ્રશંસા, ગણાવ્યા સાચા 'દેશભક્ત', જાણો શું કહ્યું?

Vladimir Putin praises PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ખુબ સારા મિત્રો છે. એ વાત આખી દુનિયા જાણે છે. પરંતુ પુતિન પીએમ મોદીના મોટા પ્રશંસક પણ છે. આ અંગે બહુ ઓછા લોકોને ખબર હશે. યુક્રેન સાથે યુદ્ધ અને અમેરિકા સાથે તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીના પેટછૂટા વખાણ કર્યા. પુતિને ખાસ કરીને મોદી સરકારની વિદેશ નીતિને બિરદાવી. 

મોસ્કોમાં એક કાર્યક્રમ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પીએમ મોદી વિશે કહ્યું કે 'તેઓ (પીએમ મોદી) એવા લોકોમાંથી એક છે જેઓ એક સ્વતંત્ર વિદેશ નીતિને લાગૂ કરવામાં સક્ષમ છે, જે પોતાના લોકોના હિત વિશે વિચારે છે અને પગલાં ભરે છે. ભારત પર કોઈ પણ પ્રતિબંધ લગાવવાના તમામ પ્રયત્નો છતાં, તેઓ મક્કમ રહ્યા અને તે દિશામાં આગળ વધતા રહ્યા, જેની ભારતને જરૂર છે.'

દબાણ આગળ ઝૂક્યા નહીં
વાત જાણે એમ છે કે યુક્રેન વોર વચ્ચે ભારત પર રશિયા સાથે સંબંધ તોડવા મુદ્દે અમેરિકા સહિત પશ્ચિમી દેશો સતત દબાણ કર્યા કરે છે પરંતુ ભારતે ઝૂકવાની જગ્યાએ દબાણનો સારી રીતે સામનો કર્યો. વ્લાદિમિર પુતિને આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીને ભારતના સાચા દેશભક્ત પણ ગણાવ્યા અને કહ્યું કે આવનારો સમય ભારતનો છે. 

મેક ઈન ઈન્ડિયાનો કર્યો ઉલ્લેખ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ભારતની ઐતિહાસિક પ્રગતિ પર ખુશ જોવા મળ્યા. તેમણે વખાણ કરતા ભારતના 75 વર્ષની સફરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ઘણું બધું કરવામાં આવ્યું. તેઓ સાચા દેશભક્ત છે. મેક ઈન ઈન્ડિયાનો તેમનો વિચાર આર્થિક અને નૈતિકતા બંને રીતે મહત્વ ધરાવે છે. ભવિષ્ય ભારતનું છે, એ વાત પર ગર્વ કરી શકાય કે તે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. 

ભારતે બ્રિટનની ગુલામીમાંથી આઝાદ થયા બાદ પોતાના વિકાસમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. લગભગ 1.5 અબજ લોકો અને નક્કર વિકાસ પરિણામ ભારત માટે તમામના સન્માન અને પ્રશંસાના કારણ છે. આ યુદ્ધમાં અનેક વખત ભારત અને રશિયાની મિત્રતાની કસોટી થઈ અને  ભારતે એક મિત્રની ભૂમિકા પણ ભજવી. એક ઉભરતી મહાશક્તિ તરીકે યુદ્ધ રોકવા માટે પુતિનને સમજાવવાની પણ કોશિશ કરી. તમને યાદ હશે કે જ્યારે SCO ની બેઠકમાં પીએમ મોદીએ પુતિનને યુદ્ધ રોકવાની સલાહ આપી હતી ત્યારે તેમના આ નિવેદનના દુનિયાભરમાં વખાણ થયા હતા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગનો કર્યો ઈન્કાર
બીજી બાજુ વ્લાદિમિર પુતિને યુક્રેનમાં પરમાણુ હથિયારોના ઉપયોગના કોઈ પણ ઈરાદાથી ઈન્કાર કર્યો છે. પરંતુ ત્યાંના સંઘર્ષને પશ્ચિમ દ્વારા પોતાના વૈશ્વિક પ્રભુત્વને સુરક્ષિત કરવાના કથિત પ્રયત્નોનો ભાગ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે ભાર મૂક્યો કે વૈશ્વિક પ્રભુત્વના પશ્ચિમના પ્રયત્નો નિષ્ફળ જશે. પુતિને આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ વિશેષજ્ઞોના એક સંમેલનને સંબોધતા કહ્યું કે રશિયા માટે યુક્રેન પર પરમાણુ હથિયારોથી હુમલો કરવો નિરર્થક છે. તેમણે કહ્યું કે અમને તેની કોઈ જરૂરિયાત દેખાતી નથી. તેનો રાજકીય રીતે કે સૈન્ય રીતે કોઈ અર્થ નથી. તેમણે દાવો કર્યો કે પશ્ચિમી નીતિઓથી હજુ વધુ અરાજકતા પેદા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news