તમામ મંત્રાલયો માટે પંચવર્ષીય યોજના બનાવવા ટોચના અધિકારીઓને પીએમ મોદીનો આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયોના સચિવો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે, તમામ મંત્રાલય એવા અસરકારક નિર્ણયોનો પ્રસ્તાવ રજૂ કરે જેના માટે 100 દિવસના અંદર મંજૂરી લઈ શકાય 
 

તમામ મંત્રાલયો માટે પંચવર્ષીય યોજના બનાવવા ટોચના અધિકારીઓને પીએમ મોદીનો આદેશ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયોના સચિવો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે, તમામ મંત્રાલય એવા અસરકારક નિર્ણયોનો પ્રસ્તાવ રજૂ કરે જેના માટે 100 દિવસના અંદર મંજૂરી લઈ શકાય. તેમણે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે સરકારને જનાદેશ મળ્યો છે તેને ધ્યાનમાં રાખીને તમામ મંત્રાલયો દ્વારા સ્પષ્ટ લક્ષ્ય ધરાવતી પંચવર્ષીય યોજના બનાવવી જોઈએ. 

વડાપ્રધાને સચિવોને જણાવ્યું કે, "લોકો સારું જીવન ઈચ્છે છે અને સરકારે તેમના જીવનસ્તરમાં સુધારો કરવા માટે પ્રયાસ કરવા જોઈએ." તેમણે અધિકારીઓને કહ્યું કે, તેઓ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં કામ કરે. 

સરકાર તરફથી આપવામાં આવેલા એક નિવદન અનુસાર પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે, "લોકોની સરકાર પ્રત્યેની આકાંક્ષાઓને પડકાર તરીકે નહીં પરંતુ એક અવસર તરીકે જોવો જોઈએ. લોકસભા ચૂંટણીમાં મળેલો જનાદેશ દર્શાવે છે કે લોકો યથાસ્થિતિમાં પરિવર્તન ઈચ્છે છે અને તેની ઈચ્છા રાખે છે. તેઓ શ્રેષ્ઠ જીવન ઈચ્છે છે."

કેન્દ્રના ટોચના અધિકારીઓ સાથેની આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સિતારમણ અને જીતેન્દ્ર સિંહ પણ હાજર હતા. બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે, "ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં કેન્દ્ર સરકારના દરેક વિભાગ, દરેક રાજ્ય અને દરેક જિલ્લાની એક ભૂમિકા છે. આ દિશામાં નક્કર પ્રગતિ કરવાની જરૂર છે. 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'માં ભારતની પ્રગતિ નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં જોવા મળવી જોઈએ." 

આ બેઠકમાં પીએમ મોદીએ 'મેક ઈન ઈન્ડિયા'નો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, પાણી, મત્સ્યોદ્યોગ અને પશુપાલન પણ અત્યંત મહત્વના વિભાગો છે અને સરકારે આ દિશામાં પણ આગળ વધવાની જરૂર છે. ભારતની આઝાદીને હવે જ્યારે 75 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિભાગે તેના અનુસંધાને એવી યોજનાઓ લાવવી જોઈએ, જે લોકોને પણ દેશની સમૃદ્ધિમાં ભાગીદાર બનવા માટે પ્રેરિત કરે.  

બેઠકમાં કેબિનેટ સચિવ પી.કે. સિન્હાએ જણાવ્યું કે, તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ અને અસરકારક યોજના બનાવવી જોઈએ અને આ યોજનાઓ એવી હોવી જોઈએ કે જના પર 100 દિવસના અંદર મંજૂરી લઈ શકાય.  

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news