2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમાચાર એજન્સી ANIને વિશેષ ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકથી માંડીને રામ મંદિર અને કોંગ્રેસ સહિતના અનેક મુદ્દાઓ પર ખુલ્લા દિલે ચર્ચા કરી છે 

2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019નો પ્રથમ ઈન્ટરવ્યુ સમાચાર એજન્સી ANIને આપવામાં આવ્યો છે. આ ઈન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકથી માંડીને રામ મંદિર અને તેમની સરકાર દ્વારી લીધેલાં અનેક પગલાંઓ અંગે ખુલ્લા દિલે ચર્ચા કરવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, વર્ષ 2019ની ચૂંટણી જનતા અને મહાગઠબંધન વચ્ચેની હશે. રામ મંદિરના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કાયદાકીય સ્પષ્ટતા થયા બાદ વટહુકમ લાવવામાં આવશે, હાલ સરકારની આ અંગે કોઈ જ વિચારણા નથી. પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક વિશે જણાવ્યું કે, ઉરી હુમલા બાદ હું પાકિસ્તાન બાબતે ઘણો જ ગુસ્સામાં હતો. જોકે, સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લીધો એ સમયે મને ભારતીય જવાનોની ખુબ જ ચિંતા હતી, પરંતુ પાકિસ્તાનને વળતો જવાબ આપવો જરૂરી છે. પાકિસ્તાન એક હુમલામાં સુધરે એવું નથી એવું પણ મોદીએ વધુમાં જણાવ્યું હતું. 

દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાની સાથે પીએમ મોદીએ દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. 2019ની આગામી ચૂંટણી અંગે ANI દ્વારા પુછવામાં આવેલા સવાલ અંગે જણાવ્યું કે, આટલા મોટા દેશમાં આયુષમાન ભારત જેવી યોજના સફળ થઈ છે. આજે 5થી 7 લાખ લોકોએ વર્ષ 2018માં આ યોજનાનો લાભ લીધો છે. વર્ષ 2018માં આજે આખી દુનિયામાં જ્યારે પ્રદુષણ અંગે ભારતને પછાત માનવામાં આવતું હતું ત્યારે યુએન દ્વારા ભારતને 'ચેમ્પિયન ઓફ અર્થ'ના એવોર્ડથી નવાજમાં આવ્યું છે, જે ભારત દેશ માટે સૌથી મોટી વાત છે. રમત-ગમત ક્ષેત્રે પણ ભારતે અનેક એવોર્ડ મેળવીને જોરદાર સફળતા મેળવી છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારતે વર્ષ 2018માં 104 ઉપગ્રહ લોન્ચ કરીને દુનિયાને અચંભિત કરી દીધી હતી. 

વર્ષ 2018માં જે પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં પરાજય અંગે જ્યારે વડાપ્રધાનને પુછવામાં આવ્યું કે, તેલંગાણા અને મિઝોરમમાં ભાજપે ક્યારેય સત્તામાં આવવાની વાત કરી ન હતી. અહીં સ્થાનિક પક્ષો વિજેતા બન્યા છે. બાકીના ત્રણ રાજ્યોમાં છત્તીસગઢમાં પ્રજાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અન્ય બે રાજ્યોમાં હંગ એસેમ્બલી બની છે. આ ત્રણેય રાજ્યોમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર હતી અને આ કારણે અહીં એન્ટી ઈન્કમ્બન્સીનો ફાયદો વિરોધ પક્ષોને મળ્યો હતો. 

વર્ષ 2018માં તમે જ્યાં-જ્યાં ચૂંટણી પ્રચાર કર્યો ત્યાં ભાજપને ફાયદો મળ્યો નથી. આથી વિવેચકો એવું કહે છે કે હવે મોદી મેજિક (મોદી લહેર) રહી નથી. મોદીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, હું આવું કહેનારા વિવેચકોને અભિનંદન પાઠવું છે. આમ કહીને તેમણે એવું સાબિત કરી દીધું છે કે મોદી મેજિક (મોદી લહેર) જેવી એક વાત છે. આજે યુવાનોમાં અપેક્ષાઓ વધી છે. લોકોમાં રોજગાર લઈને આશાઓ જાગી છે તે આ સરકારની સફળતા છે. 

આજે રાજકીય પંડિતોનું માનવું છે કે, 2019ની ચૂંટણીમાં ભાજપ 180 જેટલી જ બેઠકો જીતશે. આ અંગે મોદીએ જણાવ્યું કે, આ તો વિરોધ પક્ષોનો પ્રોપેગન્ડા છે. તેઓ જો આવો પ્રચાર નહીં કરે તો તેમના ગઠબંધનમાં કોણ જોડાવા આવશે. તમે જૂના અખબારોની હેડલાઈન વાંચો તો તમને 2013 અને આજના અખબારોની હેડલાઈનમાં ઘણું જ અંતર જોવા મળશે.

અગાઉ તમે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા. હવે જ્યારે હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની છે. ત્યારે તમે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કેવી રીતે કરશો. આ અંગે મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસમુક્તનો અર્થ એવો નથી કે દેશના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર ન રહે. લોકોમાં કોંગ્રેસ દ્વારા જાતીવાદી, જ્ઞાતી વાદ, પ્રાંતવાદ વગેરેનું ઝેર ફેલાવાયું હતું. હું તો આ ઝેરમાંથી લોકોને મુક્તી અપાવાનો વાત કરતો હતો. 

નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને કોઈ તોડી શકશે નહીં એવી એક સમયે ચર્ચા હતી. આ અંગે મોદીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અમારી પાર્ટીમાં 'મેરા બુથ, સબસે મજબૂત' તેના માટે અમારો કાર્યકર્તા 365 દિવસ કામ કરતો રહે છે. ભાજપ એક કે બે પક્ષનો પક્ષ છે એવું જે લોકો આ પાર્ટીને જાણતા નથી તેમની વચારધારા છે. ભારતીય જનતા પાર્ટી 'સબકા સાથ,સબકા વિકાસ'ના સૂત્ર સાથે કામ કરી રહી છે. અમારો કાર્યકર્તા જમીનના સ્તરે શ્રેષ્ઠ કામ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું મોરલ જરા પણ ડાઉન થયું નથી. 2019માં પણ અમે પ્રજામાં વિશ્વાસ રાખીએ છીએ. પ્રજા સાથે અમારી પાર્ટી જોડાયેલી છે. 

વર્ષ 2018ની ચૂંટણીમાં પરાજયનું મુખ્ય કારણ નોટબંધી અને જીએસટીના નબળું અમલીકરણ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું છે. મોદીએ આ અંગે જણાવ્યું કે, આપણા દેશમાં કાળું નાણું એક સમાનાંતર અર્થતંત્ર ચલાવતું હતું. તેના કારણે દેશના અર્થતંત્રને મોટું નુકસાન થતું હતું. નોટબંધીને કારણે દેશને ઘણો જ ફાયદો થયો છે. દેશના ઉદ્યોગપતિઓ- બિલ્ડરોને ત્યાં પથારી નીચેથી અને ઘરમાંથી કાળા-નાણાના કોથળે કોથળા પકડાતા હતા. આજે યુવાનોને આ બધી બાબતોની કોઈ ચિંતા નથી. આજ દેશમાં ડિજિટલ ચલણ વધ્યું છે. 

ANI દ્વારા પુછવામાં આવ્યું કે, નોટબંધીનો ઝટકો આપવાની જરૂર હતી ખરી? મોદીએ જણાવ્યું કે, આ કોઈ ઝટકો ન હતો. અમે અગાઉથી જ કાળું નાણું ધરાવતા લોકોને ચેતવણી આપી હતી. અમે રાતો-રાત કોઈ નિર્ણય લીધો ન હતો. અમે લોકોને વારંવાર ચેતવણી આપી હતી. કાળું નાણું જાહેર કરવા માટેની યોજના પણ જાહેર કરાઈ હતી, પરંતુ લોકો સમજ્યા નહીં. મનમોહન સિંહ જ્યારે નાણામંત્રી હતા ત્યારે તેમણે જ્યારે આર્થિક સુધારા લાગુ કર્યા ત્યારે જીડીપી 2 ટકા કરતાં પણ નીચે આવી ગયો હતો. તેમ છતાં અર્થતંત્ર ટકી રહ્યું હતું. અમે પણ કાળું નાણું બહાર લાવવા માટે અને સફાઈ કરવા માટેનું કામ કર્યું હતું. 

તમે જે સમાનાંતર અર્થતંત્ર, કાળુ નાણું વગેરેની વાત કરી હતી. તો જે આર્થિક અપરાધીઓ નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી જેવા આર્થિક અપરાધીઓ શા માટે દેશ છોડીને ભાગી ગયા? સરકાર આ લોકોને પાછા લાવવા માટે શા માટે કામ નથી કરી રહી? આ અંગે મોદીએ જણાવ્યું કે, સરકાર દ્વારા કાળા નાણા અંગેના નિયમો કડક કરવામાં આવ્યા હોવાને કારણે જ આ પ્રકારના આર્થિક અપરાધીઓને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. અમારી સરકારે આવા લોકોની સંપત્તીને જપ્ત કરવા માટેનો કાયદો બનાવ્યો છે. સાથે જ ડિપ્લમેટિક સ્તરે પણ સરકાર પ્રયાસ કરી રહી છે. આ લોકોને દેશમાં પકડી લાવવાના દરેક શક્ય પ્રયાસ થઈ રહ્યા છે. જી20ની બેઠકમાં મારી પ્રથમ હાજરી સમયે જ મેં સૌથી પ્રથમ વખત કાળા નાણાનો ઉલ્લેખ કર્યો હતો અને વિશ્વના લોકોને સાથે લાવવામાં સફળ થયો છું. 

વર્ષ 2013થી 2018 સુધીના તમારા ભાષણોમાં 2જી, સીડબલ્યુજી, દામાજી વગેરે મુદ્દા મુખ્ય હતા. જોકે, આ લોકોમાંથી કોઈ જેલમાં ગયા નથી. મોદીએ આ અંગે જણાવ્યું કે, આ લોકો અત્યારે જામીન પર છુટેલા છે અને તેમને રોકી શકાય નહીં. આ દેશનો જે પ્રથમ પરિવાર છે અને જેની ચાર-ચાર પેઢીએ દેશ પર રાજ કર્યું છે તે આર્થિક અપરાધના ગુના હેઠળ જામીન પર છુટેલો છે એ સૌથી મોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી કોઈની વિરોધી નથી. અમારે કોઈ વ્યક્તિ સાથે વેરભાવ નથી. ધારા-ધોરણો મુજબ સરકારના વિભાગો કામ કરી રહ્યા છે. 

જીએસટી અંગે તમારું શું કહેવું છે? રાહુલ ગાંધી જીએસટીને 'ગબ્બર સિંહ ટેક્સ' કહે છે? લોકો એમ કહે છે કે, જીએસટી ઉતાવળે લાગી કરી દેવાયો છે. તેના અંગે તમારું શું કહેવું છે?  પીએમ મોદીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, લોકોની વ્યક્તિગત વિચારધારા શું છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. સંસદમાં સર્વસંમતિ સાથે આ કાયદો પસાર કરાયો હતો. મારા મીડિયાના મિત્રોએ પણ ટેક્સ અંગે લોકોને માહિતગાર કરવા જોઈએ. અનેગ જગ્યાએ હિડન ટેક્સ હતા જેને લોકો જાણતા ન હતા. જીએસટીને કારણે લોકોને ઘણો જ ફાયદો થયો છે. 500થી વધુ ચીજ-વસ્તુઓને અમારી સરકાર શૂન્ય પર્સન્ટ ટેક્સના દાયરામાં લાવી દીધા છે. જીએસટી અંગેનો નિર્ણય ભારત સરકાર કરતી નથી. જીએસટી અંગેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ કરે છે, જેમાં દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ છે. આ તમામમાંથી કેટલાક રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસની પણ સરકાર છે, સસંદમાં પણ કોંગ્રેસ છે. જીએસટી અંગેનો નિર્ણય સર્વસંમતિથી લેવાય છે, એટલે તેમાં ભારત સરકાર એકલી જવાબદાર નથી. બધા જ રાજ્યોની સાથે ભારત સરકાર પણ એટલી જ ભાગીદાર છે. 

મોદીએ જીએસટી અંગે વધુમાં જણાવ્યું કે, જીએસટીના કારણે નાના વેપારીઓને મુશ્કેલી પડી છે તે અમે જાણીએ છીએ. સરકાર તેમના માટે પ્રયાસ કરી રહી છે. તાજેતરની બેઠકમાં જ અમે 20 લાખની મર્યાદા 50 થી 70 લાખની કરવા અંગે જીએસટી કાઉન્સિલમાં પ્રસ્તાવ મુક્યો છે, પરંતુ તેમાં સર્વસંમતિ બની નથી અને સમિતિ બનાવવી પડી છે. જોકે, આ દિશામાં સરકાર કામ કરી રહી છે. આટલા મોટા દેશમાં આટલી બધી વિવિધતાઓ વચ્ચે સરકાર દ્વારા જે પ્રયાસ કરાઈ રહ્યા છે એ નાની વાત નથી. 

તમારો જે સૌથી મોટો મતદાર વર્ગ છે, મધ્યમ વર્ગ, વેપારી વર્ગ વગેરે અંગે તમારી પાસે શું યોજના છે? મોદીએ આ અંગે જણાવ્યું કે, મધ્ય વર્ગ એ સ્વાભિમાન સાથે જીવનારો વર્ગ છે. ભારતમાં મધ્યમ વર્ગની ચિંતા કરવી એ અમારી જવાબદારી છે. તે અમને વોટ આપે છે એટલા માટે જ અમે ચિંતા કરતા નથી, પરંતુ દેશહિતમાં અમે મધ્યમ વર્ગનું ધ્યાન રાખીએ છીએ. તમે છેલ્લા પાંચ વર્ષના છાપાના કટિંગ કાઢીને જૂઓ, અમે મોંઘવારીનો દર કેટલો નીચે લાવ્યા છીએ. ઉદાહરણ તરીકે જૂઓ કે, મેડિકલમાં અમે બેઠકો વધારી છે, તેમાં અમે મધ્યમ વર્ગને ધ્યાન રાખ્યો છે. ઉડાન યોજના દ્વારા અમે માત્ર રૂ.2500માં મધ્યમ વર્ગના લોકો માટે વિમાન સફરની યોજના બનાવી હતી. આ સાથે જ આયુષમાન ભારત યોજના જૂઓ. તેમાં પણ દેશમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો બનશે, આ હોસ્પિટલોમાં જે નવી જગ્યાઓ ઊભી થશે તેનો સીધો ફાયદો મધ્યમ વર્ગને જ થવાનો છે. અમે મુદ્રા યોજના લાવ્યા છીએ. આ મુદ્રા યોજનાને કારણે પણ કરોડો લોકોને ફાયદો થવાનો છે. 

સ્ટાર્ટ અપને પ્રમોટ કરીને પણ સરકારે મધ્યમ વર્ગને ફાયદો પહોંચાડ્યો છે. આજે ભારત દુનિયામાં સ્ટાર્ટ અપના ક્ષેત્રે ત્રીજા-ચોથા સ્થાને પહોંચ્યું છે. આજે મધ્યમ વર્ગના યુવાનો સ્ટાર્ટ અપ દ્વારા તેમનો ધંધો-રોજગાર ઊભો કરવા સક્ષમ બન્યા છે. LED બલ્બ દ્વારા સરકારે મધ્યમ વર્ગને ફાયદો પહોંચાડ્યો છે. તેનાથી તેના વીજબીલમાં ઘણો ફાયદો થયો છે અને પેન્શન-ધારકોને પણ તેમના ખર્ચમાં ઘટાડો થયો છે. 

મોદી સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડ્યો નથી. તાજેતરમાં જ રાહુલ ગાંધીની સરકારે લોન માફી કરીને ખેડૂતોને ફાયદો પહોંચાડ્યો છે. તમે રાહુલની લોનમાફીને 'લોલીપોપ' ગણાવી છે. મોદીએ આ અંગે જણાવ્યું કે, દેવીલાલની સરકારથી માંડીને અનેક સરકારોએ લોનમાફી કરી છે, પરંતુ શું તેનાથી ખેડૂતને ફાયદો થયો છે? અમારી સરકારે ખેડૂતને મજબૂત કરવા માટે મોટા પગલાં લીધા છે. સિંચાઈ માટે કેટલાય વર્ષોથી પડતર એવી સિંચાઈ યોજનાને ચાલુ કરી છે. સોઈલ હેલ્થ કાર્ડ સહિત અને નાની-મોટી યોજનાઓ બનાવી છે, જેથી ખેડૂત ખોટો ખર્ચ ન કરે. અમે ખેડૂતને બે પાકની વચ્ચેના સમયમાં કઠોળની ખેતી કરવા માટે પ્રેરિત કર્યો છે. અગાઉ ખેડૂતને આ વિશે કંઈ ખબર જ ન પડતી. લોનમાફી એ માત્ર ચૂંટણી જીતવા માટેનો ટૂચકો છે. તેનાથી ખેડૂતનો કોઈ ફાયદો થતી નથી. મોટાભાગના ખેડૂતો બેન્ક પાસેથી લોન લેતા નથી, પરંતુ તેઓ નજીકના શાહુકાર(વ્યાજખોર) પાસેથી લોન લે છે અને તે દેવામાં ડૂબી જાય છે. જો અગાઉની સરકારે લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે પહેલાથી કામ કર્યું હોત તો આજે ખેડૂતની આવી સ્થિતિ ન હોતી. અમારી સરકારે ખેડૂતોના ફાયદા અંગે તમામ પ્રકારના પગલાં લીધા છે. 

તમારી પાર્ટીમાં અત્યારે રામ મંદિરના મુદ્દે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તમે ટ્રિપલ તલાક મુદ્દે વટહુકમ લાવ્યા હતા તો શું રામ મંદિરના મુદ્દે વટહુકમ લાવશે? આ અંગે પીએમ મોદીએ જણાવ્યું કે, ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આવી ગયા બાદ અમે વડહુકમ લાવ્યા હતા. અત્યારે રામ મંદિરનો મુદ્દો ન્યાયિક પ્રક્રિયામાં પસાર થઈ રહ્યો છે. કોંગ્રેસને અને વકીલોને મારી વિનંતી છે કે તેઓ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ ન કરે. ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેના અંદેર રોડા ન નાખવા જોઈએ. 

દેશમાં આજે જે 'ગાય'ના મુદ્દે જે ચર્ચા ચાલી રહી છે, મુસ્લિમ લોકોમાં જે અસલામતીની લાગણી જન્મી છે, નસિરુદ્દીન શાહ પણ આ અંગે વાત કરી ચૂક્યા છે તો તમારી સરકાર આ અંગે શું પગલાં લઈ રહી છે? મોદીએ જણાવ્યું કે, હાલ દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તે અત્યંત નિંદનીય છે. શું આ 2014 પછી શરું થયું છે? આ બાબત સમાજમાં આવેલી એક કમીનું પરિણામ છે. હું હાલ આ સરકારમાં આમ થતું હતું કે બીજી સરકારના કાર્યકાળમાં આમ થતું હતું તેના અંગે ચર્ચા કરવા માગતો નથી, જે કંઈ થઈ રહ્યું છે તે અત્યંત નિંદનીય છે. મહાત્મા ગાંધીજી જે માર્ગ બતાવી ચૂક્યા છીએ, તેના પગલે ચાલવું જોઈએ. દેશના તમામ સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. આરબ દેશના એક વિદ્વાન લેખકે લખ્યું હતું કે, આપણે ભારત દેશ પાસેથી શીખવું જોઈએ કે જ્યાં અનેક સમાજના લોકો ભેગામળીને જીવી રહ્યા છે. સમાજમાં જે અસહિષ્ણુતા પેદા થઈ રહી છે તે ખોટી બાબત છે અને અમારી સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ'ના મુદ્દે ચાલી છે. અમે 18,000 ગામમાં વિજળી પહોંચાડી તેમાં અમે એ ગામ કયા સમાજનું છે એ ચકાસ્યું નથી. સૌભાગ્ય યોજના અંતર્ગત અમે ગેસ કનેક્શન પહોંચાડ્યું અને દરેક ઘર સુધી અમે ગેસ કનેક્શન આપ્યું છે. તેમાં અમે કોઈ ધર્મ કે જ્ઞાતિને ધ્યાનમાં રાખી નથી. 

કેરળ, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં રાજકીય હિંસાનાં કૃત્યો થઈ રહ્યા છે. પીએમ મોદીએ આ અંગે જણાવ્યું કે, આ આપણા દેશનું મોટું દુર્ભાગ્ય છે. હું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, વડા પ્રધાન તરીકે આ ઘટનાની નિંદા કરું છું. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં અમારા અને કાર્યકર્તાઓ પર હુમલા થયા છે, જે ખોટી બાબત છે. હિંસાની રાજનીતિ ભારતીય લોકતંત્રના ઉજ્જવળ ભવિષ્ય માયે યોગ્ય નથી. હું ભાજપના દરેક કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવું છું કે, સરકાર આ પ્રકારની બાબતમાં માનતી નથી.

તમારી જો વિચારધારા છે, તમે ટ્રિપલ તલાકના મુદ્દે મુસ્લિમ મહિલા સશક્તિકરણની વાત કરી છે. સબરીમાલાનો મુદ્દો આવે છે ત્યારે તમે રૂઢી, પરંપરાને પકડી રાખો છો. તો આ બેવડી વિચારધારા શા માટે? વડા પ્રદાન મોદીએ આ અંગે જણાવ્યું કે, વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે. આ એક સામાજિક ન્યાયનો મુદ્દો છે, ધાર્મિક શ્રદ્ધાનો વિષય નથી. સબરીમાલા અંગે મોદીએ જણાવ્યું કે, ભારત એક મોટો સમુદાય છે. અહીં કેટલાક મંદિરોમાં પુરુષો પર પ્રવેશ પર પ્રતિબંધ છે. કેટલાક મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધિશનો જે ચૂકાદો છે તેના ધ્યાનપૂર્વક વાંચવાની જરૂર છે. 

હાલ મહાગઠબંધન જે બની રહ્યું છે તેની સફળતા અંગે ચર્ચા ચાલી રહી છે. તેમાં તમિલનાડુના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે, કેસીઆરના ગઠબંધનને નરેન્દ્ર મોદીનું પાછળથી સમર્થન છે? મોદીએ આ અંગે જણાવ્યું કે, કેસીઆરનું કોઈ ગઠબંધન બની રહ્યું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. આજે મહાગઠબંધનમાં પણ એકમત નથી. તેમનો એકમાત્ર એજન્ડા મોદીને બદનામ કરવાનો છે. તેઓ દેશ માટે, ભવિષ્ય માટે શું કરશે એવી કોઈ વાત કરતા નથી? 

ANI દ્વારા પુછવામાં આવ્યું કે, મહાગઠબંધનના નેતાઓ એક માત્ર મુદ્દે જ વાત કરી રહ્યા છે કે કોઈ પણ હોય પરંતુ મોદી નહીં?  આ અંગે તમારે શું કહેવું છે? પીએમ મોદીએ જણાવ્યું કે, આ તો મહાગઠબંધન વર્સિસ જનતા છે. લોકોએ અમે જે કામ કર્યું છે તે જોયું છે. 

આ વખતની ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી છે? તમારું શું માનવું છે? નરેન્દ્ર મોદીએ આ અંગે જણાવ્યું કે, હું સ્પષ્ટ રીતે માનું છું કે આ વખતની ચૂંટણી દેશની પ્રજા નક્કી કરશે. આ વખતે જનતા જ નિર્ણાયક છે. 

શું આ વખતે વિકાસ વિરુદ્ધ વિચારધારાની લડાઈ છે? શું એનડીએમાં અન્ય પક્ષોને સામેલ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે? પીએમ મોદીએ જણાવ્યું કે, એનડીએ અન્ય પક્ષોને સામેલ કરવાના પ્રયાસ કરી રહી છે. તાજેતરના કેટલાક ઉદાહરણ જૂઓ તો આસામ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા, તેલંગાણામાં આ ગઠબંધનનો પરાજય થયો છે. આ તો ટોચના નેતાઓ માત્ર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ પ્રજા તો તેમને નકારી રહી છે. 

તમારા ગઠબંધનમાં કેટલાક પક્ષોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે તેના અંગે તમારે શું કહેવું છે? અમારો પ્રયાસ સતત એ રહ્યો છે કે દરેક પક્ષનો વિકાસ છે. અમે દરેકની વાત સાંભળીને આગળ વધીએ છીએ. અમે સ્થાનિક લોકોને મહત્વ આપ્યું છે. કોંગ્રેસ સાથે જે પક્ષો જોડાઈ રહ્યા છે તે એક સમયે કોંગ્રેસનો વિરોધ કરીને જ જન્મેલા છે. અમે તો દેશની પ્રજાને ધ્યાનમાં લીને સૌને સાથે લઈને આગળ વધવા માગીએ છીએ.

દક્ષિણ ભારતમાં તમે આટલી બધી રેલીઓ કરી તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની હાજરી ત્યાં ક્યાંય જોવા મળતી નથી? શું તમે 2019ની ચૂંટણીમાં રજનીકાંત કે કમલ હાસનની પાર્ટી સાથે ગઠબંધન કરીને દક્ષિણ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરશો? મોદીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, અમારી પાર્ટીની દરેક રાજ્યમાં હાજરી છે અને દરેક પ્રદેશમાંથી અમારો એક સાંસદ છે. અમે કોઈ રાજ્યમાં શક્તિશાળી હોઈએ કે ન હોઈએ, અમે સૌને સાથે લઈને ચાલવા માગીએ છીએ. 

દેશની સર્વોચ્ચ સંસ્થાઓ અંગે ANI દ્વારા પુછવામાં આવ્યું કે, કોંગ્રેસનો આરોપ છે કે સીબીઆઈમાં જે વિવાદ થયો તેના માટે સરકાર જવાબદાર છે? આરબીઆઈમાં જે વિવાદ થયો અને ગવર્નરને સમયથી પહેલા રાજીનામું આપવાનો નિર્ણય લેવો પડ્યો તેના માટે સરકાર જવાબદાર છે? પીએમ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસને આવું બોલવાનો કોઈ અધિકાર જ નથી. પીએમ અને પીએમઓ સામે કોંગ્રેસે એનએસી બનાવી હતી. કેબિનેટના નિર્ણય સામે પાર્ટીનો નેતા પત્રકાર પરિષદમાં ફાડી નાખે તેને સંસ્થા અંગે બોલવાનો કોઈ અધિકાર નથી. આ જ આરબીઆઈના અનેક ગવર્નરોને કોંગ્રેસ દ્વારા તેમના કાર્યકાળ પહેલા રાજીનામું આપવા ફરજ પાડવામાં આવી છે. ઉર્જિત પટેલ છેલ્લા 6-7 મહિનાથી રાજીનામું આપવા માગતા હતા. તેઓ અગાઉ પણ મને લેખિતમાં રાજીનામાની જાણ કરી ચૂક્યા હતા. ઉર્જિત પટેલે તેમના કાર્યકાળમાં ઘણું જ ઉત્તમ કામ કર્યું છે.

રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ તમારા ઉપર સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે? અનિલ અંબાણી તમારા મિત્ર છે? આ સાથે જ તેમણે તમારા ઉપર અનેક આરોપ લગાવ્યા છે, પરંતુ તમે ક્યારેય તેના અંગે સીધો જવાબ આપ્યો નથી, પરંતુ તમારા પક્ષના લોકો આનો જવાબ આપ્યો નથી? પીએમ મોદીએ જણાવ્યું કે, મારા ઉપર એક પણ વ્યક્તિગત કોઈ આરોપ નથી એટલે મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. સંસદમાં પણ હું વિસ્તૃત જવાબ આપી ચૂક્યો છું. તેમણે આ તમામ આરોપો સાબિત કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં પણ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું છે. મેં એક વખત સંસદમાં જવાબ આપી દીધો છે, એટલે મારે વારંવાર આપવાની જરૂર નથી. દેશમાં આઝાદી પછી શા માટે ડિફેન્સ ડીલને વિવાદમાં નાખવામાં આવી રહી છે? ડિફેન્સ ડીલમાં દલાલોની ક્યાં જરૂર છે? જો, ભારતે જાતે શસ્ત્રો બનાવાનું શરૂ કર્યું હોત તો આજે આ દલાલોની જરૂર ન પડી. મારું માનવું છે કે, ભારતીય સેનાને જે શસ્ત્રોની જરૂર છે તે મેક ઈન ઈન્ડિયા એટલે કે ભારતમાં જ નિર્મિત થવા જોઈએ. દેશહિત અને દેશની સુરક્ષા મારા માટે પ્રાથમિક્તા છે. 

હું ઈમારાદારીથી કામ કરતો રહીશે. ભારતીય સેનાને જે કોઈ શસ્ત્રોની જરૂર હશે તેને હું ગમે તે ભોગે ખરીદીશ અને જવાનોનું હિત મારી પ્રથમ પ્રાથમિકાતા છે. તેના માટે હું તમામ પ્રકારના કાર્યો ઈમાનદારીપૂર્વક કરતો રહીશ.

સર્જિકલ સ્ટ્રાઈકને રાજકીય સ્વરૂપ શા માટે આપવામાં આવ્યું? પીએમ મોદીએ જણાવ્યું કે, હું પોતે પણ આ બાબતને રાજકીય સ્વરૂપ આપવાનો વિરોધી છું. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક અંગે ભારત સરકારના એક પણ નેતા કે મંત્રીએ જાહેરાત કરી નથી. સેનાના જનરલે તેની માહિતી આપી હતી. તે પણ સૌથી પહેલા પાકિસ્તાનને ફોન કરીને જાણ કરી હતી અને ત્યાર બાદ ભારતીય મીડિયાને આ અંગે માહિતી અપાઈ હતી. કેટલાક લોકોએ આ સર્જિકલ સ્ટ્રાઈક અંગે પુરાવા માગીને દેશહિત સામે સવાલ ઊભા કર્યા છે. જેના કારણે તેને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 

સર્જિકલ સ્ટ્રાઈકની પળે-પળની લાઈવા માહિતા આપને આપવામાં આવતી હતી તેવું પણ કહેવાઈ રહ્યું છે? તમે પાકિસ્તાન પર એક આક્રમણકારી નેતા તરીકેની છબી બનાવવા માગતા હતા? પીએમ મોદીએ જણાવ્યું કે, ઉરીની ઘટના ઘટી ત્યારે હું ચિંતિત થઈ ગયો હતો. એ સમયે હું કેરળ ગયો હતો ત્યારે એક જાહેર સમારંભમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો. હું મારી જાતને રોકી શક્યો ન હતો. મારા વ્યક્તિગત આક્રોષની સરકાર પર અસર ન થવી જોઈએ એ મારું માનવું છે. ત્યાર બાદ સેના સાથે ચર્ચા કરી તો તેમના અંદર મારા કરતાં પણ વધુ આક્રોષ જોવા મળ્યો હતો. મેં તેમને સમગ્ર આયોજન કરવા જણાવ્યું. તેઓ આયોજન લઈને આવ્યા અને બે વખત અમે તારીખ બદલી હતી. હું જાણતો હતો કે આ એક ઘણું જ મોટું જોખમ હતું. મારું માત્ર એક જ માનવું હતું કે, મારા જવાનોને કોઈ તકલીફ ન થવી જોઈએ. તેમના જીવને કોઈ નુકસાન ન પહોંચે. તેમને વિશેષ તાલીમ આપવામાં આવી અને તેમને જરૂરી હથિયારો પૂરા પાડવામાં આવ્યા. આ સાથે જ અડચણો અંગે પણ મેં ચર્ચા કરી હતી. 

ત્યાર બાદ અમે બેસીને સમગ્ર હુમલાની યોજના બનાવી હતી. સૂર્યોદય પહેલા ભારતીય જવાનોએ પાછા આવી જવાનો નિર્ણય લીધો હતો. મેં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, આપણે સૂર્યોદય પહેલા પાછા આવી જવાનું છે. હું મારા જવાનોને મરવા દેવા માગતો ન હતો. તેમને ત્યાં કોઈ પણ પ્રકારે ન રોકાવા અંગે આદેશ અપાયો હતો. હું સેના સાથે સતત સંપર્કમાં હતો. જોકે, સૂર્યોદય થઈ ગયા બાદ પણ મને કેટલાક સમય સુધી કોઈ સમાચાર ન મળ્યા ત્યારે હું કોઈ ચિંતિત બની ગયો હતો. સૂર્યોદયના એક કલાકનો સમય મારા માટે અત્યંત કપરો હતો. હું મારા જવાનો જીવતા પાછા ફરે એ મારી પ્રથમ પ્રાથમિક્તા હતી. ત્યાર બાદ એક સમાચાર આવ્યા કે, આપણી ટૂકડીઓ ભારતીય સીમામાં પ્રવેશી નથી, પરંતુ તેઓ સલામત ઝોનમાં આવી ગયા છે. લગભગ બે કલાક બાદ અંતિમ જવાન જ્યારે ભારતીય સરહદમાં પ્રવેશી ગયો ત્યાર બાદ મારી ચિંતા દૂર થઈ હતી. 

ત્યાર બાદ તાત્કાલિક ધોરણે કેબિનેટ અને સુરક્ષા સમિતિની બેઠક બોલાવી અને પાકિસ્તાનને જાણ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો. અમે સવારે 11.30 કલાકે પત્રકાર પરિષદ બોલાવી લધી હતી, પરંતુ પાકિસ્તાન સાથે ટેલિફોન પર સંપર્ક ન થતાં અમે ચિંતિત બની ગયા હતા. મીડિયા હાજર થઈ ગયા બાદ પણ પાકિસ્તાનના લોકો ફોનના સંપર્કમાં આવ્યા ન હતા, જેના કારણે મારી ચિંતા ઘણી જ વધી ગઈ હતી. 

જમ્મુ-કાશ્મિરમાં હજુ પણ હુમલા અટક્તા નથી, આતંકવાદ પણ વકર્યો છે તેના અંગે આપનું શું કહેવું છે? પીએમ મોદીએ જણાવ્યું કે, આ એક સંવેદનશીલ મુદ્દો છે અને સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે. સરકારની રણનીતિઓ મીડિયામાં જાહેર કરી શકાય એમ નથી. પાકિસ્તાન એક લડાઈમાં સુધરી જશે એ વિચારવું ઉતાવળભર્યું કહેવાશે. 

પીએમ મોદીની શપથવિધિમાં નવાઝ શરીફને આમંત્રણ આપવું અને પછી તાજેતરમાં ઈમરાન ખાન જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે તમે તેમને અભિનંતન પાઠવ્યા હતા ત્યારે લોકો એમ કહેતા હતા કે મોદી નોબેલ મેળવવા માટે ઉતાવળા થયા છે? હવે ઈમરાન ખાને પણ વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે ત્યારે શું સરકાર વાટાઘાટો શરૂ કરશે? પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યાં સુધી સરહદ પારનો આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી વાટાઘાટો શરૂ થવી અસંભવ છે. ભારત સરકાર વાટાઘાટોની પક્ષધર રહી છે. 

ચીન અંગે ANI દ્વારા સવાલ પુછવામાં આવ્યો કે, તમે શી જિનપિંગને ગુજરાત લઈ ગયા અને અત્યાર સુધી 13થી વધુ બંને વચ્ચે મુલાકાતો થઈ ચૂકી છે. તેમ છતાં લોકોનું માનવું છે કે, તમે પણ જવાહરલાલ નેહરુની જેમ છેતરાઈ ગયા છો? મોદીએ જણાવ્યું કે, દોકલામમાં ભારતીય સેનાએ જવાબ આપી દીધો છે. ભારતનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે કે, ભારતના પડોશી દેશ સાથે સારા સંબંધો રહ્યા છે. તમામ સરકારનો આ સિદ્ધાંત રહ્યો છે. 

તમારા વિદેશ પ્રવાસની ટીકા થઈ રહી છે અને તે માત્ર ફોટો ઓપોર્ચ્યુનિટી બની ગયા છે? મોદીએ આ અંગે જણાવ્યું કે, અગાઉના વડા પ્રધાનો પણ મારા જેટલી જ મુલાકાતો થતી રહી છે. મારું એટલું જ છે કે, હું આજુ-બાજુના બીજા બે દેશની યાત્રા વધારીને કરું છું જેથી દેશની વિદેશનીતિને બળ મળે. મનમોહન સિંહની પણ આટલી જ મુલાકાતો રહી છે. મારું કામ એટલું છે કે, હું જ્યાં પણ જાઉં છું ત્યાં કંઈક કામ કરું છું અને બોલું છું જેના કારણે મારી મુલાકાત લોકોની નજરે ચડે છે.

ANI દ્વારા પુછવામાં આવ્યું કે, વર્ષ 2014માં તમે જ્યારે બનારસ ગયા હતા ત્યારે તમે કહ્યું હતું કે, 'માં ગંગાને મુઝે બુલાયા હૈ?' મોદીએ આ અંગે જણાવ્યું કે, અમે આ સમગ્ર યોજના પાછળ અત્યાર સુધી કરવામાં આવેલા ખર્ચની સમીક્ષા કરી છે અને પછી તેના અંગે યોજના તૈયાર કરી છે. અમે તાજેતરમાં જ ગંગા નદીમાં ગંદુ પાણી ઠેલવતું 120 વર્ષ જૂનું નાળું બંધ કર્યું છે. પાંચ રાજ્યોમાંથી ગંગા નદીમાં પસાર થાય છે અને ત્યાં જુદી-જુદી સરકારનો કારણે પણ અડચણ આવતી હતી. હાલ કામ ચાલી રહ્યું છે અને આ એક-બે વર્ષનું કામ નથી. તેની કામગીરી પાંચ વર્ષ સુધી ચાલશે ત્યાર બાદ તેનું પરિણામ જોવા મળશે. 

ANI દ્વારા અંતિમ સવાલ પુછવામાં આવ્યો કે, તમે પ્રથમ વખત સાંસદ બન્યા છો અને સંસદનો તમારો અનુભવ કેવો રહ્યો? શું રાહુલ ગાંધી તમને આવીને ગળે મળશે અને પછી દૂર જઈને આંખ મારશે તેના અંગે ક્યારેય કલ્પના કરી હતી? મોદીએ જણાવ્યું કે, સાંસદ વક્તા હોવો જરૂરી નથી, પરંતુ સાંસદ ધરતી સાથે જોડાયેલો હોવો જોઈએ. જેટલી ચર્ચા વધુ થાય છે ત્યારે એવી અનેક બાબતો બહાર આવે છે જે સરકારી ફાઈલોમાં જોવા મળતી નથી. સંસદમાં કમનસીબે ચર્ચા ઘટતી જઈ રહી છે અને રાજકીય લોકોની માત્ર ટીકા થઈ રહી છે. સંસદનું કામ છે કે, વહીવટીતંત્ર પર દબાણ પેદા કરે. સંસદ વધુ જાગૃત બને તેવી મારી ઈચ્છા છે. આપણાં સાંસદો જે ચૂંટાઈને આવે છે તેમણે પોતાનો અવાજ રજૂ કરવો જોઈએ. 

ANIના એડિટર દ્વારા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને અંતિમ સવાલ પુછવામાં આવ્યો કે, 'તમને સાડા ચાર વર્ષના કાર્યકાળમાં કયું કામ કરવામાં આનંદ મળ્યો અને કયું કામ કરી ન શક્યા તેનો ખેદ રહ્યો હોય?' પીએમ મોદીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, આ સવાલનો જવાબ પ્રજા જાણશે. હું લુટિયન્સની દુનિયામાં પ્રવેશી શક્યો નથી અને તેનાથી દૂર રહ્યો છું. 

વડા પ્રધાન તરીકે તમને કઈ વાતમાં સૌથી વધુ આનંદ પ્રાપ્ત થયો? પીએમ મોદીએ જણાવ્યું કે, મેં દરેક ક્ષણનો આનંદ લીધો છે. મારા માટે દેશની સવાસો કરોડની જનતા જ મહત્વની છે. મારું દરેક કામ આનંદ છે. હું દરેક કામ આનંદ સાથે જ કરું છું. આ સાથે જ વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. 

— ANI (@ANI) January 1, 2019

ટ્રિપલ તલાકઃ 
ટ્રિપલ તલાકના મુદ્દે પીએમ મોદીએ જણાવ્યું કે, ત્રણ તલાક પર વટહૂકમ સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. 

સર્જિકલ સ્ટ્રાઈકઃ
સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગનારા લોકોને આકરો જવાબ આપતા મોદીએ જણાવ્યું કે, આ નિર્ણય અત્યંત જોખમથી ભરપૂર હતો. મને આપણા સૈનિકોની ખુબ જ ચિંતા હતી. ઉરી હુમલા બાદ હું ઘણો જ ગુસ્સામાં હતો એટલે આ નિર્ણય લેવો પડ્યો હતો. સૈનિકોને સૂર્યોદય થતાં પહેલા પાછા ફરી જવા માટે અપીલ કરી હતી. 

આરબીઆઈ વિ. સરકારઃ
આરબીઆઈ વિરુદ્ધ સરકારના મુદ્દે મોદીએ જણાવ્યું કે, આરપીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે જાતે જ રાજીનામાની ઓફર કરી હતી. ઉર્જિત પટેલે ગવર્નર તરીકે ઘણું જ સારું કામ કર્યું છે. તેઓ છેલ્લા 6-7 મહિનાથી રાજીનામું આપવા માગતા હતા. 

રામમંદિરઃ 
રામ મંદિરના મુદ્દે મોદીએ જણાવ્યું કે, સરકાર આ મુદ્દે કોઈ જ ઉતાવળ કરવા માગતી નથી. એક વખત કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યાર બાદ સરકાર તેના પર વટહુકમ લાવવાનું વિચારશે. 

નોટબંધીઃ 
વડા પ્રધાન મોદીએ નોટબંધી અંગે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે, "આ કોઈ ઝટકો ન હતો. અમે લોકોને એક વર્ષ પહેલા જ ચેતવી દીધા હતા કે જો તમારી પાસે એવી કોઈ સંપત્તિ (કાળુ નાણું) છે તો તમે તેને જમા કરાવી શકો છો અને દંડ ભરીને તમે તેમાંથી બહાર નિકળી શકો છો. જોકે, લોકોએ એમ વિચાર્યું હતું કે મોદી પણ અન્ય લોકોની જેમ વર્તશે. બહુ ઓછા લોકોએ સ્વેચ્છાએ કાળા નાણા અંગે જાહેરાત કરી હતી."

કોંગ્રેસઃ 
મોદીએ જણાવ્યું કે, આ એક સત્ય હકીકત છે કે જે લોકો આ દેશનો પ્રથમ પરિવાર છે, જેની ચાર પેઢીએ આ દેશ પર રાજ કર્યું છે તેઓ નાણાકિય ગેરરિતીના મુદ્દે અત્યારે જામીન પર છુટેલા છે. આ ઘણી જ મોટી વાત છે. કેટલાકગણતરીના લોકો કે જેઓ તેમની સેવામાં લાગે છે તેઓ આ માહિતી છુપાવી રહ્યા છે અને એન્ય નકારાત્મક બાબતોનો પ્રચાર કરી રહ્યા છે. 

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન
પીએમ મોદીએ પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધ વિરામની શરતોના ઉલ્લંઘન અંગે મોદીએ જણાવ્યું કે, "ક્યા એક લડાઈ સે પાકિસ્તાન સુધ જાયેગા. યે સોચના બહોત બડી ગલતી હોગી. પાકિસ્તાન કો સુધારને મેં હમે અભી ઓર સમય લગેગા."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news