'દેશમાં ધર્મના નામે ઊભી કરાઈ રહી છે નફરતની દિવાલ': નસીરુદ્દીન શાહનો બીજો વીડિયો

માનવાધિકારો પર નજર રાખતી સંસ્થા એમનેસ્ટી માટે 2.13 મિનિટના એક્તાના વીડિયોમાં નસીરૂદ્દીન શાહે જણાવ્યું કે, જે લોકોએ માનવાધિકારી માગ કરી છે તેમને જેલમાં નાખવામાં આવી રહ્યા છે 

'દેશમાં ધર્મના નામે ઊભી કરાઈ રહી છે નફરતની દિવાલ': નસીરુદ્દીન શાહનો બીજો વીડિયો

નવી દિલ્હીઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરૂદ્દીન શાહ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા રિલીઝ કરાયેલા એક વીડિયોમાં નસીરુદ્દીન શાહે ભારતમાં માનવાધિકારોના સ્તર અંગે નિવેદન આપ્યું છે. આ વીડિયોમાં શાહ જણાવે છે કે, 'અમારા દેશનું બંધારણ અમને બોલવાની, વિચારવાની, કોઈ પણ ધર્મને પાળવાની અને પ્રાર્થના કરવાની મંજૂરી આપે છે. પરંતુ, આજે દેશમાં ધર્મના નામે નફરતોની એક દિવાલ ઊભી કરવાનમાં આવી રહી છે. જો લોકો આ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેમને તેની સજા આપવામાં આવે છે.'

માનવાધિકારો પર નજર રાખતી સંસ્થા એમનેસ્ટી ઈન્ડિયા દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા વીડિયોમાં સરકારની નિષ્ફળતા દર્શાવાઈ છે. નસીરૂદ્દીન શાહ આ વીડિયોમાં એવું બોલતા સંભળાય છે કે, આ દેશમાં કલાકાર, અભિનેતા, ગીતકાર, બુદ્ધિજીવી અને પત્રકાર સહિત ભિન્ન મત ધરાવતા લોકોને ચૂપ કરાવાઈ રહ્યા છે. 

એમનેસ્ટી ઈન્ડિયા દ્વારા બિનસરકારી સંસ્થાઓ સામે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કથિત 'કાર્યવાહી'ના વિરોધમાં શુક્રવારે એક વીડિયો રિલીઝ કરાયો છે. એક્તા અંગે બનાવાયેલા આ વીડિયો સંદેશમાં નસીરુદ્દીન શાહ કહે છે કે, "ધર્મના નામે દેશમાં નફરતી દિવાલ ઊભી કરવામાં આવી રહી છે. નિર્દોષોની હત્યા કરવામાં આવી રહી છે. દેશ ભયાનક નફરત અને ક્રૂરતાથી ભરેલો છે. જે આ 'અન્યાય' સામે ઊભો થાય છે, તેને ચૂપ કરાવા માટે તેની ઓફિસમાં દરોડા પાડવામાં આવે છે, લાયસન્સ રદ્દ કરવામાં આવે છે અને બેન્ક ખાતા ફ્રિઝ કરાઈ રહ્યા છે, જેથી તે સત્યનું ઉચ્ચારણ ન કરે."

— Amnesty India (@AIIndia) January 4, 2019

ઉર્દૂ ભાષાના આ વીડિયોમાં નસીરુદ્દીન શાહ કહે છે કે, "હમારા દેશ કહાં જા રહા હૈ? ક્યા હમને ઐસે દેશ કા સપના દેખા થા જહાં અસંતોષ કી કોઈ જગહ નહીં હૈ, જહાં કેવલ અમીર ઔર શક્તિશાલી લોગોં કો સુના જાતા હૈ ઔર જહાં ગરીબોં વ સબસે કમઝોર લોગોં કો દબાયા જાતા હૈ? જહાં કભી કાનૂન થા, લેકિન અબ બસ અંધકાર હૈ."

એમનેસ્ટીએ 'અમકી બાર માનવાધિકાર' હેશટેક અંતર્ગત દાવો કર્યો છે કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી અને માનવાધિકારોની તરફેણ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. એમનેસ્ટીએ જણાવ્યું છે કે, "ચાલો, આ નવા વર્ષે આપણા બંધારણિય મૂલ્યોની તરફેણમાં અવાજ ઉઠાવીએ અને ભારત સરકારને જણાવી કે હવે કાર્યવાહી બંધ થવી જોઈએ."

શુક્રવારની નસીરુદ્ધીન શાહની ટિપ્પણી અંગે માનવાધિકાર કાર્યકર્તા એની રાજાએ જણાવ્યું કે, અભિનેતાએ જે કહ્યું તે એકદમ સત્ય છે. રાજાએ જણાવ્યું કે, "અસહમતિનું કોઈ સ્થાન નથી. લોકતંત્ર પણ ક્યાંય જોવા મળતું નથી. આપણે ચારેય તરફ હિંસાના સ્વરૂપમાં તેના પૂરાવા જોઈ શકીએ છીએ."

માનવાધિકાર કાર્યકર્તા અને ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વૂમેન્સ એસોસિએશનની સચિવ કવિતા કૃષ્ણને જણાવ્યું કે, 'શાહે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે અને મને આશા છે કે લોકો તેના પર ધ્યાન આપશે. દુનિયાએ પણ એ જાણવાની જરૂર છે કે શું થઈ રહ્યું છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news