સવર્ણ અનામતઃ કોંગ્રેસ નેતાએ કહ્યું, હવે પછીના સત્રમાં પાસ થાય બિલ, BJPએ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આર્થિક આધારે સવર્ણોને અનામત આપવાના બિલને સંસદના હવે પછીના સત્રમાં પાસ કરવાની વાત રજૂ કરી છે 

સવર્ણ અનામતઃ કોંગ્રેસ નેતાએ કહ્યું, હવે પછીના સત્રમાં પાસ થાય બિલ, BJPએ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ લોકસભામાં મંગળવારે સવર્ણોને અનામત આપવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાન સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેના પર સંસદમાં ચર્ચા ચાલુ છે. આ બધાની વચ્ચે ભાજપે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોંગ્રેસના ઈરાદા સામે સવાલ ઊભા કર્યા છે. ભાજપે જે વીડિયો શેર કર્યો છે, તેમાં દાવો કરાઈ રહ્યો છે કે, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે આર્થિક આધારે સવર્ણોને અનામત આપવાના બિલને સંસદના આગામી સત્રમાં પાસ કરવાની વાત કરે છે. 

વીડિયોમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે મુજબ લોકસભામાં ચાલી રહેલી ચર્ચામાં AIADMKના સાંસદ એમ. થંબુદરઈ પોતાના વિચાર રજુ કરી રહ્યા હતા. ત્યાર બાદ સત્રનો સમય પુરો થતાં સ્પીકર સુમીત્રા મહાજન બોલે છે કે, આ બિલ માટે સત્રની સમયમર્યાદા લંબાવામાં આવે. લોકસભા સ્પીકર જ્યારે આવું બોલી રહ્યા છે ત્યારે વીડિયોમાં એક અવાજ સંભળાઈ રહ્યો છે કે, મેડમ હવે પછીના સત્રમાં તેને પાસ કરો. ભાજપનો દાવો છે કે, આ અવાજ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેનો છે. ઝી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

— BJP (@BJP4India) January 8, 2019

વિરોધ પક્ષે રાજ્યસભાનું સત્ર વધારવાનો કર્યો હતો વિરોધ 
ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા શિક્ષણ અને નોકરીમાં આર્થિક રીતે નબળા બિનઅનામત (સવર્ણ) વર્ગને 10 ટકા અનામત આપવાનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કર્યું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભાનું સત્ર એક દિવસ લંબાવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં મંગળવારે વિરોધ પક્ષના નેતાઓએ સંસદમાં ધરણા કર્યા હતા. વિરોધ પક્ષના નેતાઓએ સંસદ ભવનની નજીક આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એક્ઠા થઈને કેન્દ્ર સરકાર પર પોતાની મરજી ચલાવાનો આરોપ લગાવ્યો હતો. 

કેન્દ્ર સરકારે રાજ્યસભાના સત્રનો એક દિવસ વધાર્યો 
વિરોધ પક્ષોનો આરોપ છે કે, સરકારે તમામ પક્ષો સાથે વાટાઘાટો કર્યા વગર જ રાજ્યસભાનું સત્ર લંબાવી દીધું છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકારે રાજ્યસભાનું સત્ર લંબાવા માટે વિરોધ પક્ષો સાથે વાટાઘાટો કરી નથી. આ અંગેનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો નથી. 

આર્થિક આધારે સવર્ણોને 10 ટકા અનામત માટે બંધારણ સંશોધન બિલ રજૂ 
સવર્ણોને અનામત આપવા માટે સરકારે લોકસભામાં બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું છે. તેના પર ચર્ચામાં સરકારને અનેક નાના પક્ષોએ સમર્થન આપ્યું છે. જેમાં એનસીપી, એસપી, બીએસપી જેવા પક્ષોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news