મુકેશ અંબાણીના એન્ટીલિયા કેસમાં ગુજરાત કનેક્શનમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો

મુકેશ અંબાણીના એન્ટીલિયા કેસમાં ગુજરાત કનેક્શનમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો
  • સચીન વઝે અને વિનાયક શિંદે ગુજરાતના સીમકાર્ડનો ઉપયોગ કરીને સમગ્ર મામલાના તપાસને બીજી તરફ લઈ જવા માંગતા હતા
  • તેમનો હેતુ એ હતો કે, જો કોઈ બહારની એજન્સી આ મામલાના તપાસ કરે છે તો એ એવુ સમજશે કે ગુનેગાર મહારાષ્ટ્રના બહારના રાજ્યનો છે

ઝી મીડિયા/બ્યૂરો :દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર પાસે મળેલી કારના કેસનું પગેરુ ગુજરાત સુધી પહોંચ્યું છે. ગુજરાત કનેક્શન (Mansukh Hiren Case) ના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે મુંબઈથી પકડાયેલા આરોપીએ ગુજરાતના જે વેપારી પાસેથી 14 સીમકાર્ડ ખરીદ્યા હતા, તેના ચોંકાવનારા ખુલાસા થયા છે.

મુંબઈ પોલીસે હત્યાકેસમાં જે બે આરોપીની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ગૌરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા (Mansukh Hiren) પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા. પાંચ પૈકી એક સિમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વઝે (Sachin Vaze) પણ કરી રહ્યા હતા.

ષડયંત્રમાં 14 માંથી 5 સીમકાર્ડનો ઉપયોગ કરાયો 
લેટેસ્ટ અપડેટ મુજબ, મુજર નરેશ ગૌરે ગુજરાતથી 14 સીમકાર્ડ જે શખ્સ પાસેથી ખરીદ્યા હતા, તે અમદાવાદનો રહેવાસી કિશોર ઠક્કરે તેને આપ્યા હતા. કિશોરે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ એક સ્ટોરમાંથી આ 14 સીમકાર્ડ ખરીદ્યા હતા. તેણે પોતાની કંપનીના નામ પરથી આ સીમકાર્ડ ખરીદ્યા હતા. જેને તેણે ગેરકાયદેસર રીતે નરેશ ગૌરને આપ્યા હતા. આ 14 સીમકાર્ડમાંથી 5 સીમકાર્ડનો ઉપયોગ સમગ્ર ષડયંત્રમાં કરવામાં આવ્યો છે. 

અન્ય રાજ્યના સીમાકાર્ડ વાપરવાનો હેતુ ખાસ 
પૂછપરછમાં સામે આવ્યું કે, કિશોર ઠક્કર આ પહેલા પણ બુકી નરેશ ગૌરને સીમકાર્ડ આપી ચૂક્યો છે. સચીન વઝે અને વિનાયક શિંદે ગુજરાતના સીમકાર્ડનો ઉપયોગ કરીને સમગ્ર મામલાના તપાસને બીજી તરફ લઈ જવા માંગતા હતા. તેમનો હેતુ એ હતો કે, જો કોઈ બહારની એજન્સી આ મામલાના તપાસ કરે છે તો એ એવુ સમજશે કે ગુનેગાર મહારાષ્ટ્રના બહારના રાજ્યનો છે. 

ઉલ્લેખનીય છે કે, ગત રોજ તપાસમાં બહાર આવ્યું કે, મુકેશ અંબાણીની કાર કેસમાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હતા. મુંબઇ એટીએસની ટીમે અમદાવાદમાં સીમકાર્ડને લઈને તપાસ શરૂ કરી હતી. સાથે જ 14 સીમ કાર્ડ આપનાર વ્યક્તિની ગઈકાલે મુંબઈ ATSએ ધરપકડ કરી છે.  મુંબઈ ATSએ વ્યક્તિની અટકાયત કરી તેને ગુજરાતથી મુંબઈ લઈ ગઈ હતી. જેની પૂછપરછમાં અનેક ખુલાસા હજી થવાની શક્યતા છે.   

કેસ સાથે ગુજરાતનું બીજુ કનેક્શન, દમણથી કાર મળી 
આ મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ATS એ સચિન વાઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતો હતો તેને જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર દમણમાં છૂપાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર ATS એ સોમવારે દમણની એક ફેક્ટ્રીમાં દરોડો પાડ્યો હતો. અહીંથી તેમને વોલ્વો કાર ઉપરાંત અનેક મહત્વના પુરાવા મળ્યા. મહારાષ્ટ્ર ATS ના એક્સપર્ટ્સ હવે આ ગાડીની તપાસમાં લાગ્યા છે. ATS એ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે આ ગાડીનો અસલ માલિક અને સચિન વાઝેના સંબંધ કેવા છે. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ વોલ્વો કારના અસલ માલિક અભિષેક નાથાણી ઉર્ફે અભિષેક અગ્રવાલ છે. આ કારને NIA પણ શોધી રહી હતી. પરંતુ હવે મહારાષ્ટ્ર ATS ની ટીમે તેને દમણથી જપ્ત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news