કર્ણાટકઃ કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, ભાજપ આવતીકાલે સરકાર રચવાનો કરશે દાવો

કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો છે અને વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન 14 મહિના જુની કુમારસ્વામી સરકારનું પતન થયું છે 
 

કર્ણાટકઃ કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, ભાજપ આવતીકાલે સરકાર રચવાનો કરશે દાવો

બેંગલુરુઃ કર્ણાટકમાં વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન 14 મહિના જુની કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકારનું પતન થયું છે. ગૃહમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ રહેલા મુખ્યમંત્રી કુમારસ્વામીએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. રાજ્યપાલે કુમારસ્વામીના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. હવે, ગૃહમાં સૌથી મોટી પાર્ટી ભાજપ આવતીકાલે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે. 

વિધાનસભામાં વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને 99 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મળ્યા હતા. આ સાથે જ સરકાર લઘુમતિમાં આવી જતાં પડી ગઈ છે. કોંગ્રેસ-જેડીએસ સરકારને બીએસપી દ્વારા સમર્થનનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ જેડીએસના ધારાસભ્ય વિશ્વાસ મત પર મતદાનની પ્રક્રિયા દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. 

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના પતનની સાથે જ રાજ્યમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં 15 ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો અને તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપી દીધું હતું. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર 23 મે, 2018ના રોજ રચાઈ હતી. 14 મહિના સુધી સત્તામાં રહેવા દરમિયાન આ સરકારમાં અનેક વિવાદો ઊભા થયા હતા અને આખરે સરકારનું પતન થયું હતું. 

કર્ણાટકઃ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પતન, કુમારસ્વામી બહુમત ન મેળવી શક્યા

કર્ણાટકમાં વિશ્વાસનો મત પ્રક્રિયા દરમિયાન સરકારનું પતન થઈ ગયા પછી કોંગ્રેસના નેતા એચ.કે. પાટિલે કહ્યું કે, "કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વિશ્વાસનો મત પ્રાપ્ત કરી શક્યું નથી. અમારા ધારાસભ્યોએ અમને ધોકો આપ્યો છે જેના કારણે અમારો પરાજય થયો છે. અમારા ધારાસભ્યો અનેક લોભામણી લાલચમાં ફસાઈ ગયા હતા. કર્ણાટકના લોકો આ છેતરપીંડી સહન નહીં કરે."

કુમારસ્વામીના પતન પછી ભાજપના નેતા યેદિયુરપ્પાએ જણાવ્યું કે, "કુમારસ્વામીનો પરાજય એ લોકશાહીનો વિજય છે. કુમારસ્વામીની સરકારથી કર્ણાટક પરેશાન હતું. હું કર્ણાટકના લોકોને વિશ્વાસ અપાવા માગું છું કે, હવે રાજ્યમાં વિકાસનો નવો યુગ શરૂ થશે. "

કર્ણાટક ભાજપે કુમારસ્વામી સરકારના પતન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "આ કર્ણાટકની જનતાનો વિજય છે. ભ્રષ્ટ અને અપવિત્ર ગઠબંધનના યુગનો અંત આવ્યો છે. અમે તમને સ્થિર અને સક્ષમ સરકારનું વચન આપીએ છીએ. આપણે સૌ ભેગામળીને કર્ણાટકને સમૃદ્ધ બનાવીશું."

આ અગાઉ વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચામાં પોતાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ એક્સિડેન્ટલ મુખ્યમંત્રી છે અને હંમેશાં રાજનીતિથી દૂર રહેવા માગતા હતા. આ સાથે જ તેમણે ગઠબંધન સરકાર તુટી પડવાના સંકેત આપ્યા હતા. તેમણે રાજ્યની જનતાની માફી માગી હતી અને સ્પીકરની પણ માફી માગી હતી.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news