દરેક કેદીને જેલમાં નથી પડતી તકલીફ! કેટલાક જેલના કેદીઓને મળે છે VIP ટ્રિટમેન્ટ, જાણી લો કોણે ભોગવી

હિન્દી ફિલ્મોમાં આપણે કેદીઓની આ રીતની જીવનશૈલી જોઈ હોય છે જે મહદઅંશે સાચી હોય છે. પરંતું કેટલાક એવા કેદીઓ હોય છે જેમની જેલવાસમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે. ભારતમાં કેટલાક રાજકારણીઓ, મોટા વેપારીઓ અને આરોપીઓ આ યાદીમાં સામેલ છે જેઓને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી છે.

દરેક કેદીને જેલમાં નથી પડતી તકલીફ! કેટલાક જેલના કેદીઓને મળે છે VIP ટ્રિટમેન્ટ, જાણી લો કોણે ભોગવી

જેલની વાત કરીઓ તો આંખો સામે એક નાનકડી કોટડી, એક જ પ્રકારના કપડાં, એક નાની ડિશ, પાણી પીવા માટેનો જગ દેખાય તો જમવા માટે એકસાથે બધા કેદીઓ ભેગા થાય.. જમવા માટે પીળી દાળ અને ભાત. દરેકના મનમાં જેલના કેદીઓનું જીવન આ પ્રકારનું હોય છે તેવી ધારણા હોય છે, હિન્દી ફિલ્મોમાં આપણે કેદીઓની આ રીતની જીવનશૈલી જોઈ હોય છે જે મહદઅંશે સાચી હોય છે. પરંતું કેટલાક એવા કેદીઓ હોય છે જેમની જેલવાસમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે. ભારતમાં કેટલાક રાજકારણીઓ, મોટા વેપારીઓ અને આરોપીઓ આ યાદીમાં સામેલ છે જેઓને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી છે.

1. સુબ્રતો રોય 
સહારા ઈન્ડિયાના ચીફ સુબ્રતો રોય નામ તો તમે સાંભળ્યું હશે... એક સમયની બહુ મોટી કંપની જે ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર પણ હતી. સુબ્રતો રોય લેણદારો અને બેંકોને 20 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવી શક્યો નહોંતો. નાદાર થયેલા સુબ્રતો રોય સામે કેસ દાખલ થયો હતો અને તિહાડ જેલમાં રાખવામાં આવ્યો હતો. 'ક્યારેય કોઈ કેદીને સુવિધા ન મળી હોય તેવી સુવિધા તિહાડ જેલમાં સુબ્રતો રોયને મળી'  આ વાતનો ઉલ્લેખ જાણીતા પત્રકાર સુનૈત્રા ચૌધરીએ પોતાની બુક ' BEHIND BARS: PRISON TALES OF INDIA'S MOST FAMOUS' માં કર્યો છે. સુબ્રતો રોયને જેલમાં એર કન્ડિશન્ડની સુવિધા આપવામાં આવી હતી. એર કન્ડિશન્ડની સાથે વેસ્ટર્ન સ્ટાઈલ ટોઈલેટ,મોબાઈલ ફોન, વાઈફાઈ અને વીડિયો કોન્ફરન્સ કરી શકાય તેવી વ્યવસ્થા સુબ્રતો રોયને મળી હતી.

2. લાલુપ્રસાદ યાદવ
ભારતના પૂર્વ રેલમંત્રી અને RJD નેતા લાલુપ્રસાદ યાદવ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. અગાઉ ત્રણ મહિના માટે બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં 3 મહિના માટે જેલમાં રહેનાર લાલુપ્રસાદ યાદવને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી હતી. 5 સ્ટાર હોટલમાં જે પ્રકારની સુવિધાઓ અપાય તેવી સુવિધા લાલુપ્રસાદ યાદવને અપાઈ. લાલુપ્રસાદ યાદવ પર જુદા જુદા કૌભાંડના કેસ થયેલા છે. જેલની કોટડીમાં લાલુપ્રસાદ યાદવને ટીવી આપવામાં આવ્યુ હતું. લાલુપ્રસાદ યાદવની સેવામાં બે રસોઈયા હતા જે તેને તેની પસંદગીનું ખાવાનું બનાવી આપતા. લાલુપ્રસાદ યાદવને જેલમાં ચિકન, મટન અને માછલી તથા સાથે સાથે ઘી અને જુદા જુદા ફળો ખાવા મળતા.

3. અમરસિંહ 
સમાજવાદી પાર્ટીના દિવંગત નેતા અમરસિંહને મતના બદલે રૂપિયા આપવાના કૌભાંડમાં જેલ થઈ ચૂકી હતી. કહેવાય છે કે અમરસિંહે જેલમાં રાજાશાહી ભોગવી હતી. તિહાડ જેલના અધિકારીએ આપેલી માહિતી મુજબ અમરસિંહના બેરેકમાં અટેચ્ડ બાથરૂમ હતું. અમરસિંહને તેના બેરેકમાં બે કેદીઓ મળ્યા હતા જે બેરેકની સાફસફાઈ રાખતા હતા. જેલ અધિકારીઓએ સ્વીકારેલું છે કે અમરસિંહ કઈક ને કઈક માગણી કરે રાખતા હતા.

4. મનુ શર્મા
નેતા વિનોદ શર્માના પુત્ર અને જેસિકા લાલ હત્યાકેસના મુખ્ય આરોપી મનુ શર્માને જેલ થઈ હતી. અન્ય કેદીઓને જે લાભ ન મળે તે લાભ મનુ શર્માને જેલમાં મળ્યા હતા. વર્ષ 2009માં મનુ શર્મા ચર્ચામાં આવ્યો કારણ કે તેને તેની દાદીના અંતિમ સંસ્કાર માટે પેરોલ માગ્યા હતા પરંતું વાસ્તવિકતામાં તે પાર્ટી કરતો હતો તે હકીકત બહાર આવી હતી.  

5. વી.કે. શશિકલા 
તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના ખૂબ જ નજીકના એવા શશિકલા નટરાજનને પણ જેલવાસમાં VIP ટ્રીટમેન્ટ મળી. RTIમાં આવેલી વિગતો પ્રમાણે બેંગ્લુરુની સેન્ટ્રલ જેલમાં ખાસ સુવિધાઓ સાથે અલગથી રસોડાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નિવૃત IAS ઓફિસર વિનય કુમારે 295 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં વી.કે.શશીકલાને VIP ટ્રીટમેન્ટ જેલમાં મળી હોવાનો ઉલ્લેખ છે. શશિકલાના બેરેકમાં પ્રેશર કૂકર અને ગરમ મસાલા મળ્યા હતા. રિપોર્ટ પ્રમાણે શશીકલાના બેરેકમાં ખાસ તેમની સાથે મુલાકાત થઈ શકે તે માટેનો અલાયદો રૂમ બનાવાયો હતો. શશિકલાને જેલમાં 5 બેરેક આપવામાં આવ્યા હતા. શશિકલા જેલમાં છૂટથી હરતા ફરતા હતા જેના CCTV પણ સામે આવ્યા હતા.

6. આસારામ બાપુ
હિન્દુ ધર્મમાં ભકતોની આસ્થા સાથે ખિલવાડ કરનાર અને બળાત્કારના ગુનેગાર ઢોંગી સાધુ આસારામ બાપુ પણ આ યાદીમાં સામેલ છે.  આસારામ બાપુને બળાત્કારના કેસમાં જેલ થઈ હતી. જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામને VIP સુવિધાઓ મળી હતી. કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે આસારામે નાહવા માટે ગંગા નદીના પાણીની માગ કરી હતી. આસારામ ઘરમાં જ બનેલું ખાવાનું ખાતો હતો. 

7. ગુરમીત રામરહિમ સિંહ
બે સગીરાના બળાત્કારના ગુનામાં ડેરા સચ્ચા સોદાના ચીફ ગુરમીત રામરહિમ સિંહને જન્મટીપની સજા મળી છે. ગુરમીત રામરહિમ સિંહ પર પત્રકારની હત્યાનો ગુનો નોંધાયો છે. હરિયાણાની સુનરિયા જેલમાં તેને ઘણી સુવિધાઓ ભોગવવા મળી. રામરહિમને અન્ય કેદીઓ કરતા ખાસ સુવિધાઓ અપાઈ હોવાના આક્ષેપ કરાયા હતા. રામરહિમ જે જેલમાં હતો ત્યાના અધિકારીઓએ પણ તેને જેલમાં ક્યા રાખ્યો છે તેની માહિતી અપાઈ નથી. રામરહિમને જ્યા રખાયો ત્યા કોઈને જવાની પરવાનગી નહોંતી. તેને અપાતું ભોજન પણ સારી ગુણવત્તાનું હતું.રામરહિમને કોઈ મુલાકાતી મળવા આવે તો તેને 2 કલાકનો સમય અપાતો હતો.

આ VIP કેદીઓ સિવાય BMW હિટ એન્ડ રન કેસના આરોપી સંજીવ નંદા, નીતિશ કાટરા હત્યા કેસના આરોપી વિકાસ અને વિલાસ યાદવ જેવા કેદીઓને પણ જેલમાં VIP ટ્રીટમેન્ટ તથા જામીન અને પેરોલના નિયમોમાં કેટલીક છૂટછાટ મળી હતી. આ માહિતીનો આધાર એ સોશિયલ મીડિયાની ખબરો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news