મનિષ સિસોદીયાનો બચાવ કરવા કેજરીવાલે મેદાને, ભાજપે કહ્યું- જેલમાં જવાનું નક્કી

Arvind Kejriwal Press Conference: આબકારી કૌભાંડ મામલે સીબીઆઈએ આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘર સહિત દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને મનિષ સિસોદીયાનો બચાવ કર્યો. 

મનિષ સિસોદીયાનો બચાવ કરવા કેજરીવાલે મેદાને, ભાજપે કહ્યું- જેલમાં જવાનું નક્કી

Arvind Kejriwal Press Conference: આબકારી કૌભાંડ મામલે સીબીઆઈએ આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘર સહિત દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને મનિષ સિસોદીયાનો બચાવ કર્યો. બીજી બાજુ ભાજપના નેતાઓએ આબકારી કૌભાંડ અંગે મનિષ સિસોદીયાનું જેલમાં જવાનું નક્કી ગણાવતા એવો કટાક્ષ પણ કર્યો કે તેઓ સત્યેન્દ્ર જૈનની જેમ પોતાની યાદશક્તિ ન ગુમાવે. 

દુનિયાભરમાં દિલ્હીના શિક્ષણ મોડલની ચર્ચા
અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂયોર્ક ટાઈમ્સ પેપર  લઈને પહોંચ્યા અને મનિષ સિસોદિયાના વખાણ કરતા દુનિયાના સૌથી સારા શિક્ષણ મંત્રી ગણાવ્યા. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક ટાઈમ્સમાં મનિષ સિસોદિયાનો ફોટો અને દિલ્હીના શિક્ષણ મોડલ અંગે ખબર છપાઈ છે. 

નંબર બહાર પાડ્યો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે એક નંબર પણ બહાર પાડ્યો અને દેશભરમાંથી લોકોને મિસ કોલ કરીને ભારતને નંબર વન બનાવવાની મુહિમમાં જોડાવવાની અપીલ કરી. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આજે એક નંબર બહાર પાડી રહ્યો છું. મિસ્ડ કોલ નંબર 9510001000, જે લોકો આ મિશનમાં સામેલ થવા માંગે છે, જે ભારતને દુનિયામાં નંબર વન રાષ્ટ્ર તરીકે જોવા માંગે છે તેમણે બધાથી શક્તિશાળી રાષ્ટ્ર અને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનવાના આ મિશનમાં જોડાવવું જોઈએ. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે મનિષ સિસોદીયાને દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી જાહેર કરાયા, પરંતુ સીબીઆઈની એક ટીમ દરોડા પાડવા તેમના ઘરે પહોંચી. ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પાના પર આવવું અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવવી સરળ નહતી. તેમણે વધુમાં કહ્યું કે આ પહેલી દરોડા કાર્યવાહી નથી. મનિષ સિસોદીયા પર છેલ્લા 7 વર્ષમાં અનેકવાર દરોડા પડી ચૂક્યા છે. તેમના વિરુદ્ધ અનેક ખોટા કેસ દાખલ થયા હતા. મારા ઉપર પણ, સત્યેન્દ્ર જૈન ઉપર, કૈલાશ ગહેલોતના ત્યાં પણ દરોડા પાડ્યા પણ કશું મળ્યું નહીં. તેમને હજુ કશું મળશે નહીં. સીબીઆઈ પોતાનું કામ કરી રહી છે, ડરવાની જરૂર નથી. આપણે સીબીઆઈને તેમનું કામ કરવા દેવું જોઈએ. તેમને અમને પરેશાન કરવા માટે ઉપરથી આદેશ છે. 

— ANI_HindiNews (@AHindinews) August 19, 2022

આબકારી નીતિમાં કૌભાંડ અંગે દરોડા
અત્રે જણાવવાનું કે ગત વર્ષ નવેમ્બરમાં દિલ્હીમાં અમલી નવી આબકારી નીતિ  બનાવવા અને તેના અમલીકરણમાં કથિત ગડબડીઓ મામલે સીબીઆઈએ એક એફઆઈઆર દાખલ કરી છે. હવે સીબીઆઈ  તેને લઈને દરોડાની કાર્યવાહી કરી રહી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આબકારી નીતિ 2021-22 ના અમલીકરણમાં કથિત ગડબડીઓની સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ કરી હતી. 

ઈમાનદારીના નામે તેમણે ઘણું કરી લીધુ- હિમાચલ સીએમ
બીજી બાજુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ મામલે કહ્યું કે આબકારી નીતિના માધ્યમથી તમામ ચીજોને પ્લાન કરીને તેમણે ત્યાં પૈસા ભેગા કરવાની એક રીત શોધી હતી. હજુ તથ્ય સામે આવવા દો ત્યારબાદ વાત કરીશું. કોંગ્રેસનો ખુલાસો પહેલા જ થઈ ગયો હતો અને આમ આદમી પાર્ટીનો ખુલાસો હવે થઈ રહ્યો છે. ઈમાનદારીના નામ પર તેમણે ઘણું કરી લીધુ. આબકારી નીતિને લઈને ત્યાં જે મોટા પાયે કૌભાંડ થયા છે તેને લઈને ત્યાંના ઉપરાજ્યપાલે કહ્યું કે આ તપાસનો વિષય છે અને સીબીઆઈને સોંપ્યો છે. 

આગ વગર ધૂમાડો નહીં
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી બૈજયંત પાંડાએ આગ વગર ધૂમાડો ન હોવાની વાત કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમે એવી આશા રાખીએ છીએ કે જેમ ધરપકડ બાદ તમારા સહયોગી સત્યેન્દ્ર જૈનની યાદશક્તિ જતી રહી હતી તેમ તમે તમારી યાદશક્તિ ન ગુમાવો. સિસોદીયાજી, આગ વગર ધૂમાડો ઉઠતો નથી. માનનીય એલજી દ્વારા તપાસના આદેશ બાદ જ આટલી ઉતાવળમાં સંદિગ્ધ આબકારી નીતિને કેમ ફેરવી નાખવામાં આવી?

ભાજપના આઈટી સેલના રાષ્ટ્રીય હેડ અમિત માલવીયએ પોતાના નેતાઓની ઈમાનદારીનું સર્ટિફિકેટ વહેંચવા બદલ કેજરીવાલ પર કટાક્ષ કરતી ટ્વીટ કરતા લખ્યું કે દિલ્હી સરકારની નવી આબકારી નીતિ મનમાની હતી, જેનાથી સરકારી ખજાનાને ભારે નુકસાન થયું. જો તે ઠીક હતી તો તપાસના આદેશ બાદ તરત કેમ પલટી નાખવામાં આવી. અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને પણ ઈમાનદારીનું સર્ટિફિકેટ આપ્યું હતું. તેઓ હજુ પણ જેલમાં છે. મનિષ સિસોદીયા પણ જેલમાં જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news