કોથળામાંથી બિલાડુ નહી કૌભાંડ નિકળ્યું : મગફળી તો ઠીક તેના કોથળામાં પણ 138 કરોડનું કૌભાંડ

કૌભાંડની પથ્થરવાળી મગફળી જે બારદાનમાં ભરવામાં આવી છે તેમાં પણ કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોથળામાંથી બિલાડુ નહી કૌભાંડ નિકળ્યું : મગફળી તો ઠીક તેના કોથળામાં પણ 138 કરોડનું કૌભાંડ

ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં ગાજેલા મગફળી કાંડ બાદ હવે મગફળી ભરવાના બારદાનની  ખરીદીમાં કૌઁભાંડ થયાનો આક્ષેપ કાંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો.રૂ ૪૦૦૦ કરોડના મગફળીકાંડમાં બારદાનકાંડ માં રૂ.૧૩૮ કરોડના ખર્ચે ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી કરવામાં આવ્યા હતા. એક બારદાનની ૭૧ રૂપિયા કિંમત ચુકવવામાં આવી હતી. જ્યારે કે બજારમાં સારામાં સારી ગુણવત્તાના બારદાન છૂટક કિંમત ૪૦ રૂપિયા છે. જો મોટા જથ્થામાં ઉત્તમ ક્વોલિટીના બારદાન ખરીદવામાં આવે તો કિંમત 40 રૂપિયા કરતા પણ ઘટી શકો. જો કે સરકાર દ્વારા જથ્થાબંધ ખરીદી છતા પણ પ્રતિબારદાન ૩૧ રૂપિયા કેમ ચુકવવામાં આવ્યા તે એક મોટો સવાલ છે. 

ન માત્ર મગફળી પરંતુ મગફળીના બારદાનમાં પણ કૌભાંડ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના અનુસાર, ગુજરાતમાં મગફળી કાંડમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે ત્યારે હવે મગફળી ભરવા માટે ખરદીવામાં આવેલા બારદાનની ખરીદીમાં પણ કૌભાંડ હોવાનુ ખુલી રહ્યુ છે.  કાંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના કહેવા પ્રમાણે મગફળી ભરવા માટે કુલ  રૂ.૧૩૮ કરોડના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રીના નજીક સંકળાયેલા કોલકત્તાની ફેક્ટરીમાંથી ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી જે ગુજરાતની એક કંપનીને સપ્લાય કરવામાં આવ્યા હતા અને આ બારદાનનો જથ્થો ગુજકોટને મળેલ છે. 

મનીષ દોષીએ કહ્યું કે, બજારમાં સારામાં સારી ગુણવત્તાના બારદાન છૂટક કિંમત ૪૦ રૂપિયામાં મળતા હોવા છતાં જથ્થાબંધ પ્રતિ બારદાન ૩૧ રૂપિયાની વધુ કિંમત ચુકવવામા આવી તેની પાછળનું કારણ જાહેર કરવાની માંગ કાંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 

કોંગ્રેસ દ્વારા સરકાર સામે ઉઠાવાયા સવાલ
- ગાંધીધામ ખાતેના ગોડાઉનમાં આગ લાગ્યાને ૨૧૭ દિવસ, ગોંડલમાં આગ લાગ્યાને ૧૮૯ દિવસ, જામનગરમાં આગ લાગ્યાને ૧૧૦ દિવસ અને શાપર (રાજકોટ) માં આગ લાગ્યાને ૯૪ દિવસ થયા, છતાં આજદિન સુધી કેમ ફરિયાદ દાખલ થઈ નથી ? એફ.એસ.એલ.નો રીપોર્ટ કેમ જાહેર થયો નથી? કૃષિ વિભાગનો તપાસ અહેવાલ કેમ જાહેર થયો નથી?
- નાફેડની જવાબદારી નક્કી થતી હોય તો ભાજપ સરકારને ફરિયાદ કરતાં કોણ રોકે છે?
- ગુજકોટના મેનેજીંગ ડાયરેક્ટરે રૂબરૂ ચર્ચા કરીને અનુભવના આધારે પેઢલા ખાતેના ગોડાઉનમાં આરોપી તરીકે પકડાયેલ શ્રી મગન ઝાલાવાડિયાની નિમણુંક માટે ગાંધીનગરથી કોણે સુચના આપી હતી ?
- ફડચામાં ગયેલ અને ઓછા કર્મચારી વાળી ગુજકોટ દ્વારા ૮૫% મગફળી ખરીદવા પાછળનો નિર્ણય કોનો હતો ?
- બજાર ભાવ કરતાં ઊંચા ભાવે બારદાનની ખરીદી દ્વારા ૬૦ કરોડ કરતાં વધુની ગેરરીતી માટે કોણ જવાબદાર ?
- ખેડૂત પાસેથી ખરીદેલ અને પાછળથી ઓઈલ મિલો –વેપારીઓને ટેન્ડર વગર ૩૦૦ થી ૪૦૦ રૂપિયાની ઘાલખાધથી કુલ રૂ.૧૮૦૦ કરોડના સરકારી તિજોરીને લાગેલા ચુના માટે જવાબદાર કોણ ?
- ખેડૂત પાસેથી ટેકાના ભાવે ખરીદેલ મગફળી બારોબાર ઓઈલ મિલોમાં પીલાઈ ગઈ અને તેને બદલે માટી-ઢેફાં અને ફોતરી સાથેના કોથળા ગોડાઉનમાં ગોઠવાઈ ગયા તેના માટે જવાબદાર કોણ ?

નીતિન પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,બારદાન માટેના આક્ષેપ કર્યો છે તેને ગુજરાત સરકાર ને કોઈ લેવાદેવા નથી. બારદારની ખરીદી.નાફેડ ની જ જવાબદારી છે. મુખ્યમંત્રી કે તેમના પરિવાર ના સભ્યો પર ના આક્ષેપ બિલકુલ વ્યાજબી નથી અને પાયાવગરના છે. આ ખરીદી સાથે સરકારને કોઇ જ લેવા દેવા નથી. તે નાફેડ દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news