કેમ ચાંદીપુરા વાયરસથી થઈ રહ્યાં છે મોત? બચવા માટે સરકારે જણાવ્યો સચોટ ઉપાય

માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં ૦ થી ૧૪ વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે. 

કેમ ચાંદીપુરા વાયરસથી થઈ રહ્યાં છે મોત? બચવા માટે સરકારે જણાવ્યો સચોટ ઉપાય

Chandipura Virus in Gujarat: વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગથી ગભરાવવાની જરુર નથી પરંતુ સાવચેતી જરુરથી રાખવાની જરૂર છે, ખુદ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી  વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ  વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા કે  વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ જોવા મળે છે.

શું છે વાઇરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસ ?

આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. આ વાયરસ ૦ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે સેન્ડફલાય(માખી) તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડફલાય(માખી) લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે.

જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રિડિંગ જોવા મળતું હોય છે. 
આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે.

માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં ૦ થી ૧૪ વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે. 

વાયરલ એન્કેફેટિલાઇટીસના લક્ષણોઃ

૧) બાળકને સખત તાવ આવવોૉ
૨)  ઝાડા, ઉલટી થવા
૩) ખેંચ આવવી
૪) અર્ધબેભાન કે બેભાન થવું.

વાયરલ એન્કેફેટિલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?

૧) બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહી. 
૨) બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. 
૩) સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા. 
૪) મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. 

જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલીક લઇ જઇ સારવાર કરાવવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news