નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરમાં તો આજે જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીના તેવર તો આજે પણ સરકારની સામે એવા જ છે પણ હાર્દિક અને અલ્પેશે ભાજપનો કેસરિયો પહેરી બિલકુલ ભાજપના રંગે રંગાઈ ગયા છે.

નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા

ઝી બ્યુરો/ગાંધીનગર: ખરેખર ગુજરાતના રાજકારણમાં તો આને નસીબની બલિહારી જ કહેવાય. એક સમયે સરકારના નાકમાં દમ લાવી દેનાર અને આનંદીબેન પટેલની સરકારને ઘરભેગી કરી દેનાર આ ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં પહોંચી ગઈ છે. ભલે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપના નેતાઓ અને જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં છે પણ જનતાના જોરે એક સમયે સરકારની સામે પડનારા હવે પાક્કા નેતા બની ગયા છે. 

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરમાં તો આજે જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીના તેવર તો આજે પણ સરકારની સામે એવા જ છે પણ હાર્દિક અને અલ્પેશે ભાજપનો કેસરિયો પહેરી બિલકુલ ભાજપના રંગે રંગાઈ ગયા છે. અલ્પેશ ઠાકોર ગાંધીનગરથી તો હાર્દિક પટેલ વિરમાગમથી ભાજપના ધારાસભ્ય બની વિધાનસભામાં પહોંચી ગયા છે. જિજ્ઞેશને હરાવવા માટે ભાજપે રચેલાં સોગઠાં કાચાં પડતાં મેવાણીએ પાતળી બહુમતિએ પણ વિધાનસભા સુધી પહોંચવાનો પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે. 

જીજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ 2 દિવસ વિધાનસભામાં જોવા મળ્યા. એક સમયે ગુજરાતમાં અનામત આંદોલન ધમધમતા આંદોલનકારી યુવા નેતા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકારની નાકમાં દમ લાવી દીધો હતો. નસીબની બલિહારી જુઓ કે, ત્રણેય આંદોલનકારીઓ વિધાનસભાની એક જ ચૂંટણીમાં એક સાથે જીતીને ધારાસભ્ય બન્યા છે. સરકારને નાનીમા યાદ કરાવી દેવાની વાતો કરતા અને જનતાના સહારે કૂદકા મારતાં આ નેતાઓ હાલમાં મૌન સાધી લીધું છે પણ ગુજરાતની શાણી પ્રજા બધુ જ સારી રીતે સમજે છે.

એક સમયે આંદોલન થકી લોકોની નજરમાં અને હવે રાજકારણમાં પગપેસારો કરનાર હાર્દિક પટેલ, મેવાણી અને અલ્પેશ ઠાકોરના હાલમાં એજન્ડા બદલાઈ ગયા છે. અલ્પેશ ઠાકોરને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને ઠાકોર સમાજને આગળ લાવવાનો ઝંડો પકડવાનું ફળ્યું છે તો હાર્દિકને કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મૌની બાબા બની જવાનો લાભ થયો છે. આ બંને નેતાઓ હાલમાં ભાજપમાં ધારાસભ્ય છે. આ લાંબી રેસના ઘોડા છે. ભાજપે આમની પર દાવ લગાવ્યો છે પણ રેસમાં દરેક ઘોડાનો એક દિવસ આવતો હોય છે એમ આ બંનેએ હાલની જેમ જ રાજકારણમાં આગળ વધ્યા તો એક દિવસ ભાજપમાં આગળ પડતા નેતાઓ હશે. 

ભાજપ યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપી રહી છે. જિજ્ઞેશ મેવાણી ભલે કોંગ્રેસમાં હોય પણ દલિત નેતાને નામે એ આજે પણ રાજકારણમાં દબદબો ધરાવે છે. ગુજરાતમાંથી કોઈની પહોંચ હોય કે ના હોય પણ મેવાણી સીધી રાહુલ ગાંધી સાથે વાત કરી શકે એટલું તો કોંગ્રેસમાં વર્ચસ્વ ધરાવે છે. આમ ત્રણેય નેતાઓ આંદોલનકારી બનીને ભલે રાજકારણમાં આવ્યા હોય પણ ત્રણેયે પોતાનો ગોલ સિદ્ધ કરી લીધો છે એમાં કોઈ બેમત નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news