સુરેન્દ્રનગરના ચોટીલાના સાગાણી પાસે ટ્રક-કાર વચ્ચે ભીષણ અકસ્માત, 6 મોત

હાઈવે ઉપર જતી ટ્રક અચાનક કાર ઉપર પલટી મારી જતાં કારનો ભુક્કો બોલાઈ ગયો, તમામ મૃતકો સુરેન્દ્ર નગરના રહેવાસી

સુરેન્દ્રનગરના ચોટીલાના સાગાણી પાસે ટ્રક-કાર વચ્ચે ભીષણ અકસ્માત, 6 મોત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ચોટીલાના સાગાણી પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 6 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રકની નીચે દબાયેલી કારને બહાર કાઢવા માટે બુલડોઝર બોલાવવું પડ્યું હતું. અકસ્માતમાં ઘાયલ બે લોકોને સારવાર માટે ચોટીલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

પોલીસના જણાવ્યા મુજબ, ચોટીલાના સાગાણી નજીક હાઈવે ઉપર એક કાર પસાર થઈ રહ્યો હતો. તેની બાજુમાંથી જ એક કાર પસાર થઈ રહી હતી. ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલના કારણે ટ્રક પલટી મારી ગયો હતો. 

પલટી મારેલો ટ્રક બાજુમાંથી પસાર થઈ રહેલી કાર ઉપર પડ્યો હતો. ટ્રક સફેદ બોરીઓથી ભરેલો હતો, જેના કારણે કારનો ભુક્કો બોલાઈ ગયો હતો અને કારમાં બેસેલ તમામ લોકો કચડાઈ ગયા હતા. કારમાં એક જ પરિવાર મુસાફરી કરતો હતો અને કારમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. 

અકસ્માત એટલો ભીષણ હતો કે હાજર લોકોના શરીરમાં કંપારી છુટી ગઈ હતી. ટ્રક નીચે દબાઈ ગયેલી કાર બહાર કાઢવા માટે ક્રેન બોલાવીને ટ્રકનો ઊભો કરવો પડ્યો હતો. કારમાં દબાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પણ લોકોને ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. 

એક જ પરિવારનો માળો વિંખાઈ જતાં તેમનાં સ્વજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ તમામ મૃતકો સુરેન્દ્રનગરના હતા. તેઓ સી.યુ.શાહ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ દૂધની ડેરી પાસે રહેતા હતા. 

મૃતકોનાં નામ
1. નીરજભાઈ રસિકભાઈ ગોહીલ(40 વર્ષ)
2. દીનાબેન નીરજભાઈ ગોહીલ (40 વર્ષ)
3. ધીરજબેન રસિકભાઈ ગોહીલ (65 વર્ષ)
4. નીધી નીરજભાઈ ગોહીલ (13 વર્ષ)
5. આયુષી નીરજભાઈ ગોહીલ (7 વર્ષ)
6. શિવાંગ નીરજભાઈ ગોહીલ (6 વર્ષ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news