GTUની બેઠકમાં લેવાયો આ નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

ન્યૂ એજ્યુકેશન પોલીસી- 2020ના સૂચન મુજબ GTU ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરાયો હતો.

GTUની બેઠકમાં લેવાયો આ નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે એકેડમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં ન્યૂ એજ્યુકેશન પોલીસીને એકેડમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકારીને તેના જુદા જુદા વર્ટિકલ પૈકી ક્રેડિટ ટ્રાન્સફર, ક્રેડિટ બેન્ક અને મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટની રૂપરેખા તૈયાર કરવા માટે જીટીયુ ખાતે ટાસ્ક ફોર્સની રચના કરીને  30 દિવસમાં ઠરાવ આધારિત રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તૈયાર કરાયેલ રિપોર્ટને  આગામી દિવસોમાં રાજ્ય સરકાર, AICTE અને UGCને પણ મોકલવાનો નિર્ણય પણ કરાયો છે. 

ન્યૂ એજ્યુકેશન પોલીસી- 2020ના સૂચન મુજબ GTU ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરાયો હતો. નિયત સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરેલ વિદ્યાર્થીઓની વધુ એક તક આપવાની રજૂઆતને સ્વીકારીને યુજીસીના માર્ગદર્શન પ્રમાણે આગળની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરાયું છે. 

જીટીયુની પીજી સ્કૂલ અને સંલગ્ન સંસ્થાઓમાં ટીચિંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવાના સંદર્ભે દરેક સંસ્થામાં એકેડમીક ઓડિટ કરાશે. તેમજ સંલગ્ન તમામ સંસ્થાઓએ 2022 સુધીમાં ઓછામાં ઓછા 1 પ્રોગ્રામ માટે NBA અથવા સંસ્થાનું NAAC એક્રિડેશન કરાવવાનું રહેશે. તેમજ 1 થી વધારે પ્રોગ્રામ માટે 2025 સુધીમાં NBA એક્રિડેશન કરાવવાનું રહેશે.

GTU સંલગ્ન તમામ કૉલેજે 31 ડિસેમ્બર સુધી ઈન્ટર્નલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલની પણ રચના કરવા આદેશ કરાયો છે. AICTEની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ઇમર્જિંગ એરિયામાં નવા કોર્સ શરૂ કરવા માંગતી સંસ્થાઓના જોડાણ માટેના માપદંડો પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા હતા.. જીટીયુ સંલગ્ન સંસ્થાઓમાં અધ્યાપકોની માન્યતા માટેના માપદંડો અને મંજૂર થયેલા ઈન્ટેકના પ્રમાણમાં AICTEની માર્ગદર્શિકા મુજબ 1 : 2 : 6નો રેશિયો જળવાતો ના હોય તો, નિયોમોનુસાર પગલા ભરવાનું નક્કી કરાયું છે.

જો કોઈ સંસ્થામાં પ્રિન્સિપાલ / ડાયરેક્ટરની જગ્યા ખાલી હોય તો પ્રથમ વર્ષે 25%, બીજા વર્ષે પણ જગ્યા ન ભરાય તો 50% સીટ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રીજા વર્ષે પણ પ્રિન્સિપલ/ડાયરેક્ટરની જગ્યા ખાલી રહે તો જે તે સંસ્થાને 'નો એડમિશન ઝોન'માં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીપ્લોમાના જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં રોજગારીની તકો મળી રહે તે માટે તેમના અભ્યાસ આધારિત સ્કીલ સર્ટીફીકેટ આપવાનું નક્કી કરાયું છે. 

જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી ખાતે આગામી સમયમાં “સર્ટીફીકેટ કોર્સ ઈન ફર્મા ક્રોવિઝલન્સ એન્ડ મેડિકલ રાઇટીંગ” અને “સર્ટીફીકેટ કોર્સ ઈન સોફેસ્ટીકેટેડ એનાલીટીકલ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલીંગ તથા જીટીયુ જીસેટ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેટા સાયન્સનો કોર્સ શરૂ કરશે. તેમજ આગામી દિવસોમાં સંલગ્ન સંસ્થાઓમાં એમબીએમાં ફાઈનાન્સ મેનેજેન્ટ, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તથા ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયાના નવા કોર્સ શરૂ કરવાનો નિર્ણય એકેડમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news