ગરબા રમવાનો શોખ ન હતો, પરંતુ મિત્રોની જીદને કારણે રાહુલ રમવા ઉતર્યો, અને હાર્ટએટેક આવ્યો

Heart Attack Death : રાજ્યમાં 24 કલાકમાં 11 લોકોના હાર્ટ અટેકના કારણે થયા મૃત્યુ...ગરબા રમતા પાંચ લોકોએ ગુમાવ્યા જીવ....રાજકોટમાં બિલ્ડર અને પોલીસકર્મી તેમજ પરપ્રાંતિય કામદારે ગુમાવ્યો તો દ્વારકાના 3 લોકોએ ગુમાવ્યો જીવ...

ગરબા રમવાનો શોખ ન હતો, પરંતુ મિત્રોની જીદને કારણે રાહુલ રમવા ઉતર્યો, અને હાર્ટએટેક આવ્યો

Surat News સંદીપ વસાવા/પલસાણા : આ નવરાત્રિ ગુજરાતના યુવાઓ માટે જીવલેણ અને કાળમુખી બની રહી છે. નવરાત્રિમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં વધુ એક યુવકનું મોત થયું છે. ગરબા રમતા રમતા વધુ એક યુવકનું મોત નિપજ્યુ છે. સુરતના પલસાણા ગામે યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો અને સારવાર મળે એ પહેલાં તેનું મોત નિપજ્યું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણા ગામના વ્યાસ ફળીયામાં હાલ નવરાત્રિના ગરબા રમાય છે. ગઈકાલે રાત્રે એક નવ યુવકનું મોત થયુ હતું. રાહુલ રાઠોડ ઉર્ફે લાલુ નામનો યુવક ગઈકાલે પોતાના ફળિયામાં યુવકો સાથે ગરબા રમી રહ્યો હતો અને અચાનક થોડી વાર બાદ ગરબા રમતા રમતા ચક્કર આવતા ત્યાંજ બેસી ગયો હતો અને ઢળી પડ્યો હતો. જોકે સ્થાનિકો યુવકને તરત જ પહેલા ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પરંતુ ફરજ પાર હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 

રાહુલના માતાનું અવસાન થતાં પિતાએ અન્ય જગ્યાએ લગ્ન કરી લેતા રાહુલને નાનપણમાં જ તેના મામા પોતાને ઘરે પલસાણા લઈ આવ્યા હતા. રાહુલ મામાને ત્યા રહી મોટો થયો અને લગ્ન પણ કર્યા. રાહુલ પોતાના ઘર પાસેજ એક પરચુરણ ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાહુલને ત્યાં ઘરે એક 4 વર્ષની દીકરી છે અને હાલ પણ રાહુલની પત્નીને 6 માસનો ગર્ભ છે. રાહુલને ગરબા રમવાનો શોખ ન હતો, પરંતુ મિત્રોની જીદને કારણે રાહુલ ગરબા રમવા ઉતર્યો હતો. રાહુલ માંડ ત્રણથી ચાર રાઉન્ડ ગરબા ફર્યો હશે, ત્યાં જ આ ઘટના બની હતી. સ્થાનિકો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ રાહુલ છેલ્લા 3 દિવસથી બીમાર હતો. રાહુલના મોતને કારણે આખા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નવરાત્રિમાં હાર્ટ એટેકથી આ રીતે બચો 
નવરાત્રિમા આ વર્ષે ખેલૈયાઓમાં વધતા હાર્ટ એટેકના કેસોનો લઇને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.કેશા કોઠારીએ કહ્યું કે, અચાનક જ લાઇફ સ્ટાઇલ બદલાવાથી આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. આજકાલ લોકોને કસરત અને વધુ શ્રમ કરવાની ટેવ નથી હોતી અને અચાનક જ ગરબે રમતા આ ઘટના બને છે. દરેક વ્યક્તિએ દાંડિયા રમતા પહેલા ખૂબ તકેદારી રાખવી જોઇએ. વોર્મ અપ કરવું, શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો, ગરબા રમતા સમયાંતરે બ્રેક લેવો જરૂરી છે. ખાસ કરીને બહારનું જમવાનું ટાળવું જોઇએ. શરીરમાં ગેસ એસિડીટી થઇ હોય તેવી બળતરાં જણાય, શરીરના ડાબા ભાગમાં અસહ્ય દુખાવો થવો, થાક લાગવો, ચક્કર આવવા... આ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ તબીબનો સંપર્ક કરવો જોઇએ અને ગરબાં રમવાનું પણ ટાળવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news