શું છે સેટેલાઈટ ફોનનો વિવાદ, ભાવનગરમાં બીજા જહાજમાં પ્રતિબંધિત સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો

Satellite Phone Controversy In Bhavnagar : ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સેટેલાઈટ ફોન મળી આવતા બે જહાજ વિવાદમાં આવ્યા, ફોન પ્રતિબંધિત હોવા છતાં આખરે કેમ સેટેલાઈટ ફોન વાપરવામાં આવ્યા

શું છે સેટેલાઈટ ફોનનો વિવાદ, ભાવનગરમાં બીજા જહાજમાં પ્રતિબંધિત સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હાલ સેટેલાઈટ ફોનનો મુદ્દો ઉઠ્યો છે. ભારતમાં સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે, પરંતુ અલંગમાં આવેલા બે જહાજમાં સેટેલાઇટ ફોન મળી આવતા બંને જહાજ વિવાદમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શારજાહથી નિકળી અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.82 (કિરણ શિપબ્રેકિંગ કંપની) દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં 1લી ઓક્ટોબરે આવી પહોંચ્યુ હતુ. જહાજના કેપ્ટન દ્વારા થુરાયા સેટેલાઇટ ફોન દ્વારા વિદેશમાં વાત કરીને ફોન દરિયામાં ફેંકી દેવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ભંગાણ માટે આવેલ અન્ય શિપને ખેંચી લાવનાર ટગ બોટ ચર્ચામાં આવી છે. ભંગાણ માટે આવેલા ડેડ વેસલ અબા-4 ને ખેંચી લાવનાર હલ્ક-2 ટગમાં સેટેલાઇટ ફોનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. 

ટગ બોટમાં સેટેલાઈટ ફોન ઓન-ઓફ થયો 
રિગ અબા-4 ને અલંગ સુધી લાવવા દરમ્યાન સેટેલાઇટ ફોન ઓન-ઓફ થયો હોવાના ડેટા મળ્યા છે. જે આધારે કસ્ટમ, નેવી, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને એસઓજી સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. 11 કલાક સુધી પૂછપરછ અને બોટની તપાસ કરી પરંતુ સેટેલાઇટ ફોન મળ્યો ન હતો. 

સેટેલાઈટ ફોન પર છે પ્રતિબંધ
ભારતમાં સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે, પરંતુ અલંગમાં આવતા જહાજમાં સેટેલાઇટ ફોન હોય તો તેના માટે નિયમો બનાવાયા છે. જો કોઈ જહાજમાં સેટેલાઈન ફોન મળે તો કેપ્ટન દ્વારા સ્ટેટમેન્ટ આપી સરન્ડર કરી શકાય છે. ઈન્ટરનેશનલ ટેરીટરીમાં સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હોય તો રૂપિયા 5000 સુધીની પેનલ્ટી અને ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યો હોય તો 50,000 સુધીની પેનલ્ટીનો નિયમ છે. 

શા માટે ભારતમાં છે સેટેલાઈટ ફોન પર પ્રતિબંધ
2008 ના મુંબઈ 26/11 નો હુમલો, જેમાં કસાબ સહિતના આતંકવાદીઓ એ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો, તેઓ દરિયાઈ માર્ગે આવ્યા એ દરમ્યાન પણ સતત સેટેલાઇટ ફોનનો ઉપયોગ થયો હતો, સેટેલાઇટ ફોન જેને કોઈ સીમ કાર્ડ કે ટાવરની જરૂર રહેતી નથી એને દુનિયાના કોઈ પણ છેડેથી ઓપરેટ કરી શકાય છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. સેટેલાઇટ ફોન વાપરવા પર ભારતમાં પ્રતિબંધ છે. જેથી દરિયાઈ માર્ગે આવતા જહાજો જે ભારતીય જળ સીમામાં પ્રવેશ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકતા નથી. સેટેલાઇટ ફોન બે પ્રકારના હોય છે, એક EMR સેટ સી લેન્ડલાઇન ફોન જેવો હોય છે, અને થુરાયા જે મોબાઈલ સેટ જેવો હોય છે. ભારતીય જળ સીમામાં પ્રતિબંધના પગલે એજન્સીઓ એ તપાસ હાથ ધરી હતી.

જહાજ ડીડ-1ના કેપ્ટને સેટેલાઈટ ફોન દરિયામાં ફેંક્યો હતો 
થોડા દિવસ અગાઉ શારજહાનું અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.82 (કિરણ શિપબ્રેકિંગ કંપની) દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં 1લી ઓક્ટોબરે આવી પહોંચ્યુ હતુ. જહાજના કેપ્ટન દ્વારા થુરાયા સેટેલાઇટ ફોન દ્વારા વિદેશમાં વાત કરી હોવાની બાબત દિલ્હી સ્થિત એજન્સીઓ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી. જહાજ દરિયા કિનારે પહોંચતા પહેલા જ કેપ્ટને સેટેલાઈટ ફોન દરિયામાં ફેંકી દીધો હતો. સાથે જ ડીડ-1 જહાજ 26મી સપ્ટેમ્બરે અલંગ પહોંચી જવાનું હતુ, પરંતુ અચાનક જાફરાબાદ ખાતે 5 દિવસ રોકાણ કર્યુ હતું. જેથી તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. આ વિવાદ બાદ ડીડ-1ને હજી સુધી ક્લિયરન્સ મળ્યુ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news