અમદાવાદમાં ઉંઘી ગંગા વહી! પોલીસ કર્મીએ જ આ પોલીસ સ્ટેશન સાથે કરી લાખોની ઉચાપત

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઉંધી ગંગા વહી હોય તે પ્રકારની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ખુદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશન સાથે જ લાખોની ઉચાપત કરતા પોલીસ કર્મીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં ઉંઘી ગંગા વહી! પોલીસ કર્મીએ જ આ પોલીસ સ્ટેશન સાથે કરી લાખોની ઉચાપત

ઉદય રંજન/અમદાવાદ: સામાન્ય નાગરિક સાથે છેતરપિંડી થાય ત્યારે પોલીસ તેની ફરિયાદ નોંધીને તપાસ કરતી હોય છે. પરંતુ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઉંધી ગંગા વહી હોય તે પ્રકારની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ખુદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશન સાથે જ લાખોની ઉચાપત કરતા પોલીસ કર્મીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે.

સાબરમતી પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર છે. જે સાબરમતી પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ કર્મી છે. જે આજે ગુનેગાર બનીને સાબરમતી પોલીસ સ્ટેશનમાં તરીકે ઉભા છે. જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર એ આઠ વર્ષથી ફરજ બજાવી ચૂકેલ છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ક્રાઇમ રાઇટર હેડે તરીકે વર્ષ 2016 થી 2023 સુધીના પોલીસ સ્ટેશનના મુદ્દામાલના જાળવણી કરવાનું કામ આ શખ્સનું હતી. ત્યારે વર્ષ 2016થી 2023 સુધીના કિંમતી મુદામાલ જેની કિંમત 53.65 લાખની થવા પામી છે અને જેની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે. 

આરોપી પોલીસ કર્મી જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર એ નોકરી દરમિયાન કિમતી મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં તિજોરીમાં કે બેન્ક એકાઉન્ટમાં જમા ન કરાવી પોતાની પાસે રાખી લીધો હતો. જ્યારે આરોપીની બદલી થઇ ત્યારે અન્ય પોલીસ કર્મીએ ક્રાઇમ રાઇટર હેડની જવાબદારી હાથમાં લીધી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. જેને લઇને હવે આરોપી પોલીસ કર્મી જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર સામે સાબરમતી પોલીસે ઉચાપતનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

વર્ષ 1999થી પોલીસ ખાતામાં ભરતી થયેલા જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર વર્ષ 2016થી અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે નોકરી કરતા હતા. વર્ષ 2023 ના નવેમ્બર માસમાં તેમની બદલી કમિશનર ઓફિસની સ્પેશિયલ બ્રાંચમાં આવી હતી. તે સમયે ગત તા. 23 નવેમ્બરથી જ તે મેડિકલ સીક લીવ પર ઉતરી ગયા હતા. જેથી ઓઢવથી બદલી થઇને આવેલા વિનોદભાઇને ગત તા.1 માર્ચના રોજ ક્રાઇમ રાઇટર હેડ તરીકે મુકાયા હતા. 

વિનોદભાઇ એ ચાર્જ સંભાળતા મુદ્દામાલ રાખેલ તિજોરીની ચાવી અને બેંકમાં રાખેલા કિમતી મુદ્દામાલની વિગતો તેમને મળતી ન હતી. જેથી તપાસ કરતા મિલકત સંબંધી, શરીર સંબંધી, જુગાર, પ્રોહિબિશન, અકસ્માતના ગુનાનો મુદ્દા માલ રેકર્ડ પર તો હતો. પરંતુ તે મુદ્દામાલ ભદ્ર ખાતેની બેંક ઓફ ઇન્ડિયા ના બેંક એકાઉન્ટ કે તીજોરી માં જમા ન હતો. આ તમામ કામગીરી અગાઉ જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર કરતા હોવાથી તેમનો સંપર્ક કરતા તિજોરીની ચાવી અને તમામ કિમતી મુદ્દામાલ તેમની પાસે હોવાની કબૂલાત કરી હતી.

આરોપી જયેન્દ્રસિંહ બાપાલાલ પરમારે કુલ રૂ. 53.65 લાખનો મુદ્દામાલ પોતાની પાસે રાખી લીધો હતો. અનેક વાર અધિકારીઓએ અને સ્ટાફના લોકોએ પરત માંગતા તે વાયદા ઉપર વાયદા કરીને પરત આપતા ન હતા. જેથી પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા આ મુદ્દામાલ ન મળી આવતા તમામ રકમ તેણે ખર્ચી નાખી હોવાનું સામે આવ્યુ હતું.

આ ઘટના સામે આવતા જ પીઆઇ કક્ષાના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં આટલી મોટી ઘટનાની અનેક વર્ષો સુધી એક પણ અધિકારીને જાણ ન થતાં ઉચ્ચ અધિકારીઓને આ મામલે જાણ કરીને આખરે પોતાના ના જ તાબાના પોલીસ કર્મી જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર સામે ઉચાપત નો ગુનો નોંધી તેની ધરપકડ કરી ને મુદામાલ રિકવર કરવા અને આખા કૌભાંડની તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news