સાહેબ હવે બોલો! મકાનો ગરીબોના કે ભાજપીઓના, 2 કોર્પોરેટરના પતિઓએ 20 મકાન પચાવી પાડ્યા

રાજકોટમાં નવા બનેલા આવાસમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. સંત કબીર રોડ પર બનેલા ગોકુલનગર આવાસનો ગુરુવારે ડ્રો થયો હતો. જેમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે. કવા ગોલતર અને મનસુખ જાદવે ગરીબોના હકના આવાસ પોતાના સંબંધીઓના નામે પચાવી લીધાનો આરોપ થયો છે. 20 ફ્લેટ લાભાર્થીઓની યાદીમાં ઘૂસીને મેળવી લીધાનો આરોપ મુકાતા ખળભળાટ મચી ગયો છે.

સાહેબ હવે બોલો! મકાનો ગરીબોના કે ભાજપીઓના, 2 કોર્પોરેટરના પતિઓએ 20 મકાન પચાવી પાડ્યા

ઝી બ્યુરો/રાજકોટ: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય. પરંતુ ઘણા વ્યક્તિઓ એવા છે જેઓ પોતાનું ઘર નથી કરી શક્તિ. આવા લોકો માટે જ મોદી સરકાર આવાસ યોજના બનાવી છે. મોદી સરકારનું સપનું છે કે દરેક ઘરવિહોણા લોકોને તેમનું પોતાનું ઘર મળે. પરંતુ પ્રધાનમંત્રીના આ સપના પર કેટલાક કૌભાંડીઓ પાણી ફેરવી રહ્યા છે. રાજકોટમાંથી સામે આવેલી આવી જ એક ઘટનાના પડઘા પ્રદેશ ભાજપ સુધી પડ્યા છે. ત્યારે શું છે આ આવાસ કૌભાંડ? કોની સંડોવણી આવી છે બહાર?

  • ગરીબ જનતાનો હક છીનવી રહ્યા છે જનપ્રતિનિધિઓ?
  • પ્રધાનમંત્રીના સપના પર પાણી ફેરવતા કૌભાંડી નેતાઓ
  • ભાજપના મહિલા કોર્પોરેટર્સના પતિ સામે થયા આક્ષેપ
  • પોતાના સગાવ્હાલાઓને નામે પચાવી પાડ્યા 20 મકાન
  • ભાજપ નેતાની સંડોવણીથી મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો 

આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિ
નેતાઓ પાસે પૈસાની કમી નથી હોતી, પરંતુ નેતાઓ ક્યારેય ધરાતા પણ નથી. જે ગરીબનું છે, ગરીબો માટે છે તેને પણ હડપી લેવાનું કામ અત્યારના રાજનેતાઓ કરી રહ્યા છે. પોતાની માલિકીનું એક નાનકડી ઘર બનાવવા માટે ગરીબ વ્યક્તિ પોતાની જિંદગીની આખી મૂડી ખર્ચી નાંખે છે. તેમ છતાં પણ એવા ઘણા લોકો હોય છે જે પોતાનું ઘર બનાવી શક્તા નથી. 

આવા ઘરવિહોણા અને ગરીબ લોકોને આશિયાનું મળી રહે તે માટે મોદી સરકાર આવાસ યોજના બનાવી છે. જે ગરીબોને આધુનિક સુવિધાથી સજ્જ ઘર સસ્તા દરે આપવામાં આવે છે. પરંતુ ગરીબો માટેની આ યોજનાનો ખોટો ફાયદો રાજકોટમાં ભાજપના જ બે કોર્પોરેટરના પરિવારજનો લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓએ આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિ કરાવીને 20 મકાન પચાવી પાડ્યા...પોતાના સગા સંબંધીઓના નામ પર આવાસ લઈ લીધા. આ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ભાજપ પણ એક્શનમાં જોવા મળ્યું
આ ઘટના સામે આવતા રાજકોટ ભાજપને નીચા જોવા પણું થયું છે. ભાજપના જ નેતાઓએ આચરેલી આ ગેરરીતિને કારણે શહેરીજનો ભાજપ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તો આ મામલે રાજકોટ કોર્પોરેશન હરકતમાં આવતા તાત્કાલિક તપાસના આદેશ અપાયા છે. શહેરના મેયરે બન્ને મહિલા કોર્પોરેટરના પતિ સામે તપાસના આદેશ કર્યો છે.  રાજકોટ કોર્પોરેશને તો તપાસ કમિટી બનાવી દીધી છે. પરંતુ આ મામલે ભાજપ પણ એક્શનમાં જોવા મળ્યું છે. શહેર ભાજપ પ્રમુખે બન્ને મહિલા કોર્પોરેટરના પતિની ફરિયાદ પ્રદેશ ભાજપમાં કરી છે. અને પ્રદેશના મોટા નેતાઓની સુચના મુજબ આગામી સમયમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. 

તો આ ઘટના સામે આવતા કોંગ્રેસને જાણે એક નવો મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે આક્રમક અંદાજમાં શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા. રાજકોટ જેવા મહાનગરમાં બનેલી આ ઘટનાથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ગરીબોનો હક છીનવી લેનારા ભાજપના આ બન્ને નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. રાજકોટ કોર્પોરેશને જે ડ્રો થયો હતો તેની પણ તપાસ કરાવવાની ખાતરી આપી છે. ત્યારે જોવાનું રહેશે કે આ ઘટનામાં આગળ શું કાર્યવાહી થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news