અમદાવાદઃ રિવરફ્રન્ટ પાસે કોન્સ્ટેબલની દાદાગીરી, યુવકને લાકડી વડે માર્યો માર

અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર શાહીબાગ તરફ બહાર નીકળતા માર્ગ પર અમુલ પાર્લર નજીક કોન્સ્ટેબલ  બતસંગજી ઠાકોરે યુવકને લાકડી વડે માર માર્યો હતો જેમાં યુવક ઈજાગ્રસ્ત પણ થયો હતો. 

અમદાવાદઃ રિવરફ્રન્ટ પાસે કોન્સ્ટેબલની દાદાગીરી, યુવકને લાકડી વડે માર્યો માર

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમો અને દંડની જોગવાઈનું પોલીસ દ્વારા કડકાઈથી અમલીકરણ કરાવાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ તેના અમલીકરણને લઈને પોલીસકર્મી દ્વારા યુવકને લાકડી વડે બહેરેમીથી માર મારવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ બતસંગજી ઠાકોરે યુવકને એવો માર માર્યો હતો કે મારતા મારતા તેમની લાકડી પણ તૂટી ગઈ હતી.

અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર શાહીબાગ તરફ બહાર નીકળતા માર્ગ પર અમુલ પાર્લર નજીક કોન્સ્ટેબલ  બતસંગજી ઠાકોરે યુવકને લાકડી વડે માર માર્યો હતો જેમાં યુવક ઈજાગ્રસ્ત પણ થયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોન્સ્ટેબલ બતસંગજી ઠાકોર જ્યારે ફરજ પર હતા ત્યારે રીવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકને તેણે રોકવાનો પ્રયાસ કર્યો.

પરંતુ તે વાહનચાલક નાસી જતા કોન્સ્ટેબલ બતસંગજી ઠાકોરે તેના હાથમાં રહેલી લાકડી વાહનચાલક પર છૂટી ફેંકી હતી. પરંતુ નિશાન ચુકી જતા લાકડી ત્યાંથી પસાર થઈ રહેલા યુવક પાસે જઈને પડી હતી. આ ઘટના બાદ યુવકે પોલીસકર્મીને લાકડી કેમ ફેંકી તેવો સવાલ કરતા વાત ગાળાગાળી સુધી જઈ પહોંચતા કોન્સ્ટેબલ બતસંગજી ઠાકોરે યુવકને લાકડી વડે માર માર્યો હતો જેમાં લાકડી પણ તૂટી ગઈ હતી અને યુવક ઈજાગ્રસ્ત થયો હતો. 

ઘટનાની ગંભીરતા જોતા રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ પઠાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પીડિત યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં યુવક અને પોલીસકર્મી વચ્ચે સમજુતી કરાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સામાન્ય ઘટનામાં યુવકને પોલીસકર્મી દ્વારા જે રીતે માર મારવામાં આવ્યો તે ઘટના પોલીસ બેડા માટે જરૂરથી શરમજનક કહી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news