પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કવિ દાદ બાપુનું 82 વર્ષની ઉંમરે નિધન

ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. પદ્મ શ્રી કવિ દાદનું આજે નિધન થયુ છે. તેઓ 82 વર્ષના હતા. 
 

પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કવિ દાદ બાપુનું 82 વર્ષની ઉંમરે નિધન

અમદાવાદઃ પદ્મ શ્રી એવોર્ડ વિજેતા કવિ દાદ બાપુનું આજે નિધન થયુ છે. તેઓ 82 વર્ષના હતા. જૂનાગઢના રહેવાસી કવિ દાદનું નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી હતું. તેમના નિધનથી સાહિત્યજગતમાં મોટી ખોટ પડી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે સાહિત્યમાં યોગદાન આપવા માટે કવિ દાદનું પદ્મશ્રીથી સન્માન કર્યુ હતું. 

કવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા.

કવિ દાદએ 14-15 વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.

માત્ર ચાર ચોપડી ભણ્યા છે દાદુદાન ગઢવી 
દાદુદાન ગઢવી કવિ દાદના હુલામણા નામથી પ્રખ્યાત છે. જુનાગઢ ( junagadh ) ના આ કવિ દાદ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. મૂળ ઈશ્વરીયા ગીરના અને વર્ષોથી જુનાગઢમાં નિવાસ કરતાં 82 વર્ષીય કવિ દાદનું નામ સાહિત્ય ( literature ) માટેના પદ્મશ્રીમાં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કવિ દાદને પદ્મશ્રી એવોર્ડ મળતાં ગુજરાત અને ચારણ સમાજનું ગૌરવ વધ્યું છે. દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદના ઉપનામથી જાણીતા છે. માત્ર ચાર ચોપડી ભણ્યાં હોવા છતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ દાદનું મોટું યોગદાન છે. 

કવિ દાદના ફિલ્મી ગીતો
કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત 'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…' અને ફિલ્મ શેઠ શગાળશાનું 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે.

પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું "કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું" પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે,કવિ દાદને "મેઘાણી સાહિત્ય એવોર્ડ", "કવિ દુલા કાગ એવોર્ડ", "હેમુ ગઢવી એવોર્ડ" વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

ટેરવા નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો 
કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ છે. ‘ટેરવાં’ નામનો તેમનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગત ( gujarati literature ) માં લોકપ્રિયતા બતાવે છે. સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દી સાથે 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો...’ કવિ દાદની પ્રખ્યાત રચના છે. નારાયણ સ્વામીના કંઠે ગવાયેલું ‘કૈલાશ કે નિવાસી...’ અને પ્રાણલાલ વ્યાસના કંઠં ગવાયેલું ‘ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે...’ જેવા અનેક અમરગીતોના રચિયતા કવિ દાદ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news