ગુજરાતમાં નવી નોકરીઓ આવશે, પીએમ મોદી આજે વડોદરાની મુલાકાતમાં આપશે ખાસ ભેટ

PM Modi Vadodara Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરા અને અમરેલીની મુલાકાતે,,, થોડીવારમાં વડોદરા એરપોર્ટ પર થશે આગમન,,, વડોદરામાં યુદ્ધ વિમાન બનાવતી કંપનીનું સ્પેનના PMની હાજરીમાં કરશે ઉદ્ધાટન,,, તો અમરેલીમાં ભારત માતા સરોવરનું કરશે લોકાર્પણ.. વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે, રોજગારીની અનેક તકોનું સર્જન થશે
 

ગુજરાતમાં નવી નોકરીઓ આવશે, પીએમ મોદી આજે વડોદરાની મુલાકાતમાં આપશે ખાસ ભેટ

Vadodara News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.

વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે
24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.

ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) સુવિધાની સ્થાપના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) હશે.

અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ હબ
આ ફેસિલિટી ખાતે એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) ઉપરાંત, પ્રોડક્શન, એસેમ્બલી અને પરીક્ષણ માટે જરૂરી સહાયક દુકાનો હશે. વડોદરા ખાતેની ફેસિલિટીને અદ્યતન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક શ્રેષ્ઠ ઔદ્યોગિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફેસિલિટી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવે છે, જેમાં એરક્રાફ્ટ ઉત્પાદન માટેની જટિલ પ્રક્રિયાઓને હેન્ડલ કરવા માટેના અત્યાધુનિક સાધનોનો પણ સમાવેશ થાય છે. તે સંવેદનશીલ એસેમ્બલી પ્રક્રિયાઓ માટે આબોહવા-નિયંત્રિત વાતાવરણ ધરાવે છે અને તેમાં ક્લીનરૂમ (ક્લીનરૂમ એ નિયંત્રિત વાતાવરણ છે જે સ્વચ્છ જગ્યાની ખાતરી કરવા માટે પ્રદૂષકોને ફિલ્ટર કરે છે) સાથે અદ્યતન સામગ્રી હેન્ડલિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેસિલિટીમાં ઇન-બિલ્ટ પરીક્ષણ સુવિધાઓ દ્વારા ગુણવત્તા નિયંત્રણની ખાતરી જેમ કે, માળખાકીય ઇન્ટિગ્રિટી, એવિઓનિક્સ કાર્યક્ષમતા અને સિસ્ટમની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી દરેક એરક્રાફ્ટ તહેનાત થાય એ પહેલાં કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે.

સપ્લાય ચેઇન એકીકરણ અને સ્વદેશી સામગ્રી
આ પ્રોજેક્ટમાં કોમ્પોનન્ટ્સ અને પેટા-સિસ્ટમના સપ્લાય માટે કેટલાક ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સહયોગ કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટની સ્વદેશી સામગ્રીમાં નોંધપાત્ર વધારો થવાથી ભારત સરકારની "મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" પહેલને સમર્થન મળશે અને આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે.

આ કાર્યક્રમમાં ભારતીય સપ્લાયર્સનો એક મોટો સમૂહ સામેલ થશે, જે ભારતના વિવિધ રાજ્યોને આવરી લેતી એક મજબૂત સ્થાનિક સપ્લાય ચેઇન અને એક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવશે. આ સપ્લાય ચેઈન દ્વારા દેશભરમાં 10,000થી વધુ નોકરીઓનું સર્જન થશે.

ESG (એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ) ધોરણોનું પાલન કરશે
વડોદરા ખાતેની ફેસિલિટીમાં પ્લાન્ટ ડિઝાઇન અને કામગીરીમાં પર્યાવરણીય સસ્ટેનિબિલિટી પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ઊર્જા-કાર્યક્ષમ પ્રણાલીઓ, કચરો ઘટાડવાની પદ્ધતિઓ અને ટકાઉ સંસાધન વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ ફેસિલિટીના પાવર પાર્ટ્સમાં સોલાર પેનલ્સ જેવા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોનો સમાવેશ કરવાની યોજના ધરાવે છે, જેનાથી તેની કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. વોટર રિસાયક્લિંગ સિસ્ટમ અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રી ESG (એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ) એટલે કે ટકાઉપણાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરે છે. ESG એવા ધોરણોનો સમૂહ છે, જે પર્યાવરણ, સમાજ પર કોઈ વ્યવસાયનો પ્રભાવ અને તે કેટલું પારદર્શક અને જવાબદાર છે તે નક્કી કરે છે.

C-295 ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ ભારતના એરોસ્પેસ ઉદ્યોગને વધુ મજબૂત બનાવશે
C295 ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામની લાંબા ગાળાની વ્યૂહાત્મક અસર થશે, જે ભવિષ્યના સંરક્ષણ સહકાર માટે એક મોડેલ તરીકે સેવા આપશે અને ભારતના એરોસ્પેસ ઉદ્યોગને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ભારતમાં C295 માટે MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) યુનિટ સ્થાપવાની પણ યોજના ધરાવે છે, જે દેશની અંદર લાંબા ગાળાની મેન્ટેનન્સ ક્ષમતાઓને સુનિશ્ચિત કરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ કાર્યોને આઉટસોર્સ કરવાની વર્તમાન પ્રણાલીને સમાપ્ત કરશે.

આ ફેસિલિટીને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં ઉદ્યોગના વિસ્તરણ માટે એરક્રાફ્ટ મોડલ્સ અથવા ઉત્પાદન દરમાં વધારો થાય. તે એરોસ્પેસ ઇનોવેશન માટે હબ બનવાની ક્ષમતા ધરાવે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news