નવસારીના 10x10 ના નાનકડા મકાન સાથે ટાટા પરિવારનો જોડાયેલો છે લાગણીનો સંબંધ

Ratan Tata : રતન ટાટાના નિધનથી નવસારીના પારસીઓમાં શોકની લાગણી... નવસારી શહેરની શિક્ષણ સંસ્થાઓ દ્વારા રતન ટાટાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ... નવસારી શહેરને શાળાઓ કોલેજો અને હોસ્પિટલોની ભેટ ટાટા પરિવારે આપી છે... રતન ટાટાના નિધનને પગલે પારસી સમાજે અમૂલ્ય રતન ગુમાવવાનો શોક વ્યક્ત કરી રહ્યાં છે
 

 નવસારીના 10x10 ના નાનકડા મકાન સાથે ટાટા પરિવારનો જોડાયેલો છે લાગણીનો સંબંધ

Navsari News ધવલ પારેખ/નવસારી : ભારતના અનમોલ રતન એવા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. 86 વર્ષની વયે રતન ટાટાએ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા સન્સના અધ્યક્ષ રતન ટાટાની તબિયત ખરાબ હોવાના કારણે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.  દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ રતન ટાટાના નિધન પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.. 

નવસારીનું ઘરેણું અને પનોતા પુત્ર એવા સ્વ. જમશેદજી ટાટાના વંશજ રતન ટાટાનું ગત રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ટાટા સાથે નવસારીની યાદોને આજે નવસારીના સમગ્ર પારસી સમાજે યાદ કરી વિશ્વ ફલક ઉપર તાતાના સામ્રાજ્યને વિકસાવનારા રતન ટાટાને શ્રધાંજલિ અર્પી રહ્યા છે.

ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ જમશેદજી ટાટાનો જન્મ નવસારીના નાનકડા ઘરમાં 10x10 ની કોટડીમાં થયો હતો. નવસારીમાં જન્મ બાદ જમશેદજી ટાટા મુંબઈ સ્થાયી થયા અને ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી હતી. જમશેદજી ટાટાના વારસાને તેમના દત્તક પુત્ર નવલ ટાટાએ આગળ વધારી અને ત્યાર બાદ નવલ અને સુનુ ટાટાના ઘરે ડિસેમ્બર, 1937 માં જન્મેલા પુત્રરત્ન એવા રતન ટાટાએ 1962 માં ટાટા ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈને આગળ વધારવા તરફ ડગ માંડ્યા હતાં અને 1991 માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. સાથે જ સેવાભાવી ટાટા ટ્રસ્ટના પણ તેઓ ચેરમેન બન્યા હતા. 

રતન ટાટા નવસારી આવ્યા હતા 
ટાટા ગ્રુપ સાથે જોડાયા બાદ રતન ટાટા 1978 માં નવસારીમાં આવ્યા હતા અને અહીં નાટક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા નિર્મિત ટાટા હોલનું લોકાર્પણ તેમના હસ્તે થયું હતું. આ સાથે જ પારસી સમાજના નવસારી સાથે સંકળાયેલા ટ્રસ્ટમાં પણ તેઓ ચેરમેન પદે રહ્યા હતા. નવસારીમાં ટાટા ગ્રુપ શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. ત્યારે રતન ટાટાના નિધનથી નવસારીના પારસી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે અને પારસીઓ નવસારી, રાજ્ય અને દેશમાં રતન ટાટાના 
યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક જાહેર
ઉદ્યોગપતિ પદ્મ વિભૂષણ રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ જાહેરાત કરી છે. રતન ટાટાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજના તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. હાલ તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવ્યો છે. રાજકીય, ઔદ્યોગિક અને સામાજિક આગેવાનો તેમના અંતિમ દર્શને આવી રહ્યા છે. સાંજે ચાર વાગ્યા વરલીના પારસી સ્મશાન ગૃહમાં તેમના પાર્થિવ શરીરને લઈ જવામાં આવશે. જ્યાં 45 મિનિટની પ્રાર્થના બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news