રાજકોટમાં કરણસિંહજી બાલાજી મંદિર વિવાદોમાં ફસાયું, ગેરકાયદે બાંધકામ મુદ્દે RMCની નોટિસ

સરકારી જમીન પર ગેરકાયદે મંદિર ખડકી દેવાયાની કલેકટરને કરાઈ જાણ, બાંધકામ કરી પ્લાન માટે માંગી મંજૂરી, સરકારી જમીન પર કોણે આપી મંજૂરી?

રાજકોટમાં કરણસિંહજી બાલાજી મંદિર વિવાદોમાં ફસાયું, ગેરકાયદે બાંધકામ મુદ્દે RMCની નોટિસ

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલું બાલાજી હનુમાન મંદિર વિવાદોમાં ફસાયું છે. આ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે. બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગરે કરણસિંહજી હાઈસ્કૂલનું જર્જરિત બિલ્ડીંગ સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા સરકાર પાસે માંગણી કરી હતી. પરંતુ સરકારે 12 શરતોને આધીન આ બિલ્ડીંગ રીનોવેશન કરી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા અને શૈક્ષણિક હેતુ માટે જ આપ્યું હતું. પરંતુ આ જગ્યા સરકાર હસ્તકની જ છે તેમ છતાં સરકારી જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. જેને લઈને વિવાદ શરૂ થયો છે. 

કરણસિંહજી બાલાજી હનુમાન મંદિરના નવનિર્માણનું કાર્ય શરૂ છે. બે દિવસ પહેલા રાજકોટ શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બાલાજી હનુમાનજી મંદિરે બોલાવી યાત્રાધામ સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યુ હતું. જોકે મુખ્યમંત્રી રાજકોટ થી ગયાને ગણતરીની કલાકોમાં જ મંદિર વિવાદમાં આવ્યું. રાજકોટના વકીલ રાજેશ જળુંએ હાઇકોર્ટમાં PIL દાખલ કરી જેમાં બાલાજી મંદિર ટ્રસ્ટે કરણસિંહજી હાઈસ્કૂલનું રીનોવેશન કરવાના નામે વિદ્યાર્થીઓનું ગ્રાઉન્ડ છીનવી લીધું, પક્ષીઓ માટેનો ચબુતરો તોડી પાડ્યો અને અન્નક્ષેત્ર બંધ કરાવ્યું સહિતની હાઇકોર્ટમાં PIL કરી. જોકે હાઈકોર્ટે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી પાસે 4 દિવસમાં ખુલાસો માંગ્યો છે. 

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી એમ.ડી. સાગઠિયાએ બાલાજી હનુમાનજી મંદિરનું બાંધકામ તાત્કાલિક અસર થી રોકવા મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, બાલાજી મંદિર ટ્રસ્ટને સ્કૂલનું રીનોવેશન કરવા માટે જ સરકારે મંજૂરી આપી છે. જેમાં શૈક્ષણિક હેતુથી સંસ્કૃત પાઠશાળા જ બનાવવાની મંજૂરી છે. 

તેમ છતાં મંદિર બનાવવાનો પ્લાન બે મહિના પહેલા મુકવામાં આવ્યો છે. જેથી RMCના એન્જિનિયર સ્થળ તપાસ કરી ક્ષતિઓ દર્શાવી છે તે દૂર કરવા સૂચનો આપી છે. એટલું જ નહીં આ મંદિર સરકારી જમીન પર નિર્માણ થતું હોવાથી જિલ્લા કલેકટરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. સામાન્ય રીતે 90 દિવસમાં પ્લાન મંજુર થતા હોય છે. તેમાં ક્ષતિઓ દૂર નહિ કરે તો પ્લાન મંજુર નહિ થાય.

સરકારી જમીન પર બાંધકામ કરવાની મંજૂરી કોને આપી ?
વડતાલ સ્વામિનારાયણ સંસ્થા રાજકીય વગ ધરાવતી સંસ્થા તે સૌ કોઈ જાણે છે. રાજકોટનું બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર તાબેનું મંદિર છે. જેના કોઠારી સ્વામી વિવેક સાગર છે. વિવેક સાગર સ્વામી અનેક વખત વિવાદમાં આવેલા છે. તાજેતરમાં બાલાજી મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા, મુખ્યમંત્રીના અંગત ગણાતા અને ભાજપના નેતાએ શ્રીમદ્દ ભગવદ કથા-ઘરસભાનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદ સભ્યો, પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો સહિતનો જમાવડો જોવા મળ્યો હતો. 

સરકારી જમીન પર આટલું મોટું ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ ખડકી દેવામાં આવ્યું છતાં તંત્રના એક પણ અધિકારીએ પગલાં લેવાની હિંમત દાખવી નહિ તેજ બતાવે છે કે રાજકીય પીઠબળ જવાબદાર છે. જ્યાં માત્ર 20 ચોરસ મીટરમાં મંદિર હતું તે જગ્યાએ ભવ્ય મંદિર નિર્માણ લઈ રહ્યું છે તેમ છતાં ટાઉન પ્લાનિંગ શાખા અથવા તો જિલ્લા કલેકટરને કેમ ધ્યાન પર ન આવ્યું તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news